02/01/2023
આજ થી આંતરરાષ્ટ્રીય મિલેટ વર્ષ ૨૦૨૩ શરૂ થઇ રહ્યુ છે. આપ સૌને કિસાનબંધુ પરિવાર તરફથી શુભકામના.
પહેલી સ્પષ્ટતા એ કરવાની છે કે મિલેટ એટલે બાજરો નહીં. પણ જાડું કે હલકું તૃણ ધાન્ય. મિલેટના આ વર્ગમાં ભારતમાં ૨૫ પ્રકારનું ધાન્ય થાય છે. ધીરે ધીરે આ ધાન્ય અદ્રશ્ય થવાના આરે હતું, જે આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબની દૂરંદેશીને કારણે હવે જીવંત થશે. આ ધાન્યની ખેતીમાં વિશ્વમાં ભારત અગ્રેસર છે. વિશ્વના કુલ ઉત્પાદનમાં ૪૧% હિસ્સો એકલા ભારતનો જ છે.
ઘાસ કુળનું આ ધાન્ય ગ્લુટેન ફ્રી હોય છે. બીજું તેમાં ફાઇબર નું પ્રમાણ વધુ હોવાથી કબજિયાત રહેતો નથી. આપણે જાણીએ છીએ કે દરેક રોગનું મૂળ કબજિયાત જ હોય છે.
ભારતમાં થતાં આ ૨૫ ધાન્ય(મિલેટ) પૈકી ગુજરાતમાં સાત ધાન્ય જાણીતા છે. જે નીચે મુજબ છે.
૧. કાંગ (Foxtail Millet) - Setaria italics
૨. કોદરો (Kodo Millet) - Paspalum scrobiculatum
૩. સામો (Barnyyard Millet)- Echinochloa
૪. ગજરો/કુરી(Little Millet)- Panicum sumatrens
૫. રાગી(Finger Millet) - Eleusine
coracana
૬. બાજરો(Pearl Millet) - Cenchrus
americanus
૭. જુવાર (Great Millet) - Sorghum bicolor.
મૈસુરના ડૉ.ખાદર વલ્લી ભારતીય મિલેટમેન તરીકે ઓળખાય છે. જેમણે ભારતીય ખોરાકમાં સિરિધાન્યના વપરાશ માટે ઝુંબેશ ઉપાડેલ છે. સિરિ એટલે સંપતિ. આપણું આરોગ્ય એ જ સૌથી મોટી સંપત્તિ છે. એ અર્થમાં આ ધાન્ય આપણા આરોગ્ય માટે મહત્ત્વનું છે. આ ધાન્ય પાકો ઓછા વરસાદમાં વિષમ પરિસ્થિતિમાં થઇ શકે છે. ઓછા સમયમાં પાકે છે. જૈવિક વિવિધતા વધારે છે. આ પાકોમાં જંતુનાશક દવાઓ કે રાસાયણિક ખાતરોની જરૂર પડતી નથી. અને આ ધાન્યો ટ્રેડિશનલ પણ છે. ઉપરાંત આ ધાન્યનો ચારો પશુઓ માટે પણ મહત્વનો છે. આ ધાન્ય પક્ષીઓને પણ પ્રિય છે. આજે મિલેટસ સુપરફુડ તરીકે ઉભરી રહેલ છે.
આપણે ત્યાં બાજરો અને જુવાર જાણીતું ધાન્ય છે. ડાંગના આદિવાસીઓની રાગી(નાગલી)થી પણ આપણે પરિચિત છીએ. પણ આ ત્રણે ધાન્ય કરતાં પણ કાંગ, સામો, કોદરો અને ગજરો વધારે ઉપયોગી છે. આ ચારે ધાન્ય સકારાત્મક ગણાય છે. જયારે બાજરો, જુવાર અને રાગી ન્યુટ્રલ ગણાય છે. ઘઉં, ચોખા, મકાઇ(સ્વીટ કોર્ન) નકારાત્મક ધાન્ય છે. જો કે દેશી મકાઇ નયુટ્રલ ગણાય છે.
કાંગ મધુપ્રમેહ માં ખૂબ જ ફાયદો કરે છે. કોલેસ્ટ્રોલ ઘટાડે છે. ચામડીના તમામ રોગોમાં ઉપયોગી છે. સામો થાઇરોઇડ અને સ્વાદુપિંડ માટે ઉપયોગી છે. રાગી એનિમિયા થી બચાવે છે. રાગી ફણગાવીને ખાવાથી વિટામિન સી મળે છે. અને તે આયર્નથી પણ ભરપુર છે.
આજે ભારતના શહેરોમાં આહાર તરીકે ઘઉં અને ચોખાનો વપરાશ ૯૫ % છે. ૪.૫ % બાજરી, જુવાર, મકાઇનો વપરાશ છે. બાકીના અડધા (૦.૫) % માં રાગી, સામો, કોદો, ગજરો વગેરે છે. ગામડામાં ઘઉં, ચોખા ૮૫ % આહારમાં વપરાય છે. જયારે ૧૪% માં બાજરી, જુવાર, મકાઇ ખવાય છે. ૧ % લોકો નાગલી, સામો, કોદો, કાંગ, ગજરો ખાય છે. આશા રાખીએ કે અડધા અને એક ટકામાંથી દશ ટકા થાય.
તો ચાલો આપણે પણ આ ધાન્યને અપનાવી રોગમુક્ત રહીએ. બાજરા, જુવાર, નાગલીના રોટલાની સાથે સિરિધાન્યમાંથી ઊપમા, ખીચડી, પુલાવ, શીરો, ઈડલી વગેરે મનગમતી આઇટમ બનાવીને આ ધાન્ય ખાવાની શરૂઆત કરીએ.
શરૂઆતમાં ઘઉંના લોટ સાથે જુવાર કે રાગીનો લોટ મિક્સ કરી રોટલી બનાવો. ખીચડી કે પુલાવમાં ચોખાની જગ્યાએ કોદો વાપરો. ઈડલીમાં ચોખાની જગ્યાએ રાગી વાપરો. ઊપમા બનાવવા માટે રવાની જગ્યાએ કાંગનો લોટ વાપરો.