Dr.Smit Mehta

Dr.Smit Mehta GastroIntestinal and laparoscopic surgeon working in Government Hospital Bhavnagar

"હારા-કિરી" શબ્દ જાપાની શબ્દો "હારા" (પેટ) અને "કિરી" (કાપવા) પરથી આવ્યો છે અને તેનો અર્થ પેટમાં તીક્ષ્ણ વસ્તુથી ઘા મારવ...
28/05/2025

"હારા-કિરી" શબ્દ જાપાની શબ્દો "હારા" (પેટ) અને "કિરી" (કાપવા) પરથી આવ્યો છે અને તેનો અર્થ પેટમાં તીક્ષ્ણ વસ્તુથી ઘા મારવાનો થાય છે. ૧૨મી થી ૧૭મી સદી સુધી, જાપાનમાં હારા-કિરી ધાર્મિક આત્મહત્યાનું એક સ્વરૂપ હતું. પરાજિત યોદ્ધાઓ (સમુરાઈ) ઘણીવાર હારા-કિરીનો આશરો લેતા હતા. ૧૭મી થી ૧૯મી સદી સુધી, હારા-કિરી જાપાનના યોદ્ધા વર્ગના આરોપી વ્યક્તિઓ માટે આત્મહત્યાના વેશમાં મૃત્યુદંડનું એક સ્વરૂપ હતું. સામાન્ય રીતે, હારા-કિરી જાપાની આદર્શ પર આધારિત છે કે શરમજનક જીવન કરતાં માનનીય મૃત્યુ વધુ ઇચ્છનીય છે.

સર ટી હોસ્પિટલમાં હજીતો એક ઓપરેશન શરુ હતું ત્યાં જ ફોન આવ્યો કે casulaty માં એક દર્દી આવ્યું છૅ એકવીસ વર્ષનું, self inflicted stab સાથે અને નાના આંતરડા બધા બહાર આવી ગયા છૅ!
આવું કોઈ કઈ રીતે કરી શકે? વિચારી તો જુઓ.
આમ તો આ પારિવારિક કલેશ થી ભાઈ એ જીવન ટૂંકાવવા માટે કર્યું.
આવા કિસ્સા માનસિક અસ્થિર દર્દીઓ માં પણ જોવા મળતા હોય છૅ. અગાઉ પણ બે વાર આવા કિસ્સાઓ આવ્યા છૅ પણ તેઓ માનસિક અસ્થિર હતા. આમ જોવા જઇયે તો આત્મહત્યા કરનારા દરેક વ્યક્તિ માનસિક પીડાતા હોય એ સ્વાભાવિક છૅ.
મને યાદ છૅ અમારે MBBS દરમિયાન પેથોલોજીમાં હિમેટોલોજી ના પ્રેક્ટિકલ કરવાનાં આવતા. ત્યારે લેન્સેટ વડે આપણી આંગળીમાં કાણું પાડી લોહી નીકાળવાનું અને એને સ્લાઈડ પર મૂકી માઈક્રોસ્કોપમાં નિરીક્ષણ કરવાનુ.
એમાં પણ બીક લાગતી. ન ગમતું. પણ કોઈ છૂટકો ન હોય એટલે કરવું જ પડે.
ત્યાં અહીં તો ચપ્પા વડે ખુદ ને કેટલા વેગથી માર્યું હશે કે અંદર જઈને આંતરડા બહાર કાઢી નાખ્યાં??
આતે કેવો રસ્તો? આત્મહત્યા એ કોઈ રસ્તો નથી જ એ વિશે સહુ જાણે છૅ પણ એમાં પણ આં તે કેવો અત્યંત પીડાદાયક રસ્તો?
મને ઘણી વાર આવા વ્યકતિઓ ની માનસિકતા જાણવામાં રસ પડે,

દર્દી આવ્યું ત્યારે જ લોહી લુહાણ હાલત માં હતું , બહાર પણ ઘણું લોહી વહી ગયું હતું અને ઓપરેશન દરમિયાન પેટમાં પણ ઘણું લોહી પડ્યું હતું.લોહી ના બાટલા ચડાવતા ચડાવતા જ ઓપરેશન થિયેટરમાં શિફ્ટ કર્યું.
આંતરડાની ઇજાઓ , ત્યાંની અમુક લોહીની નસોં ફાટી હતી, બધું રીપેર કર્યું અને ઓપરેશન પૂરું કર્યું. હાલ આ ભાઈ ની હાલત એકદમ સ્ટેબલ છે અને મોઢે થી ખાવાનું શરુ પણ કરી દીધું છે.
ભાઈ ને મરવું હતું પણ આવો જટિલ રસ્તો અપનાવ્યો, ભયંકર ઇજા થઇ, અમારી પાસે આવ્યું, અને હવે બચી તો ગયા છે, પણ એમને અફસોસ થશે કે ખુશી થશે??
એટલી જ આશા કે પારાવાર પસ્તાવો થાય અને જે તે કારણસર એણે આ પગલું ભર્યું એ કલેશ કંકાસ આ ઘટના પછી પૂરો થાય તો જ એનું આગળનું જીવન કામનું..અને અમારી મહેનત કામની.એ માટે
રજા આપતાં પહેલા માનસિક વિભાગ નો રેફરન્સ ચોક્કસ કરાવીશું.

૨૦૨૪ ની જબરદસ્ત જાપાનીસ વેબસિરીઝ 'SH**UN' માં પણ આ 'હારા- કિરી' જોવા જાણવા મળે છૅ.
- ડો. સ્મિત મહેતા

સુમિત સાહેબ, હવે તો છ મહિના થઇ ગયા ઓપરેશનને હવે તો કામે જવાય ને??નેસડા ગામના એક દર્દી અને હવે મિત્ર જેવા એક 24-25 વર્ષના...
05/01/2025

સુમિત સાહેબ, હવે તો છ મહિના થઇ ગયા ઓપરેશનને હવે તો કામે જવાય ને??
નેસડા ગામના એક દર્દી અને હવે મિત્ર જેવા એક 24-25 વર્ષના ભાઈ એ આજે ઓપીડીમાં આવીને પૂછ્યું.
મેં કહ્યું હાસ્તો, જવાય ને પણ હા બળ વાળું કામ નહી કરવાનું અને પેટે ઓલો બેલ્ટ બાંધી રાખવાનો!
પણ તારે કામ કયું કરવાનું છે??
કહે હમણાં તો અહીં છૂટક નાનું મોટુ કામ કરું છું કેમકે ક્યાં સુધી ગઈઢા બાપા ને કામ કરવાનું! બે વરહ થી એ ગાડીના ફેરા કરે રાખે છે એટલે ઘર હાલે.
હવે સુરત જઈને હીરા ઘસવાનું કરવું છે. હું અહીં દાખલ થયો ઈ પહેલા હું ત્યાં જ કામ કરતો.

દોઢેક વર્ષ પહેલા આ ભાઈ એકદમ નાજુક હાલતમાં આંતરડા ના અટકાવ અને ઉલ્ટી સાથે આવ્યા હતા, 36-38 કિલો માંડ વજન હશે, પેટ ફુલેલું અને બીપી સાવ ઓછું.
એકાદ બે દિવસ તો સ્ટેબલ કરવામાં લાગ્યા અને પછી ઓપરેશન માટે લીધા.
તકલીફ શું હતી??
આંતરડાનો ટીબી!
સામાન્ય જનમાનસના મનમાં એમજ હોય કે ટીબી એટલે ફેફસાનો રોગ પણ એવુ નથી.
ઓલમોસ્ટ દરેક અવયવમાં ટીબી નો ચેપ થઇ શકે.
હા બહુ જૂજ કિસ્સા હોય પણ અમારે પેટના ટીબીના ઘણા બધા દર્દીઓ અવારનવાર આવતા રહે છે. આની સારવાર એ જટિલ અને થોડી કોમ્પ્લીકેટેડ હોય છે.
પણ સરળ ભાષા માં સમજીયે તો કાચા દૂધ માં ટીબી ના જીવાણું હોઈ શકે છે અને જો ગરમ કર્યા વગર પિતા હોં અને તમારી રોગપ્રતિકારક શક્તિ ઓછી હોય તો આંતરડાની દીવાલમાં ટીબી નો ચેપ લાગે અને જાત જાતની તકલીફો પેદા કરે. ફેફસાનો ટીબી થયો હોય તો એ ગળફા વારમવાર ગળી જવાય તો પણ થઇ શકે પણ એ બહુ ઓછા કિસ્સામાં..
આંતરડા.ના ટીબી માં આંતરડામાં અનેક તકલીફ થાય પણ અહીં નાના આંતરડાનો 20-25 સેન્ટિમીટર જેટલો ભાગ સાવ સાંકડો થઇ ગયેલો. ઓપરેશન કરી અને એટલો ભાગ કાપી ને કાઢી નાખ્યો અને બે છેડા પેટ પર બહાર મુક્યા. પછી ત્યાં પ્લાસ્ટિલ ની સ્પેશિયલ બેગ ચોંટાડવાની કે જેમાં સંડાસ આવતું રહે, દરમિયાન ટીબીની જે ભારે દવાનો કોર્સ આવે એ શરુ કરવાનો અને 3-6 મહિના પછી પાછું બીજું ઓપરેશન કરી એ બેય આંતરડા જોડી ને પાછા અંદર મૂકી દેવાના..
આ બધું આ કિસ્સામાં સરસ રીતે પાર પડ્યું.
પણ વિચારો અહીં હોય ત્યારે ઓલી બેગ અમારે આવે છે એટલે જ્યારે જ્યારે નીકળે, એટલે નવી લગાડી આપીયે, વારે વારે ઉખડી ન જાય એટલે પટ્ટીઓ પણ મારતા રહીયે.
પણ ઘરે જાય પછી??

આજે એણે પેટ છૂટી વાત કરી ત્યારે ખબર પડી કે એ સાહેબ અહીં બધું એમનેમ 50-60 હજાર તો એને એ થેલીઓ લાવવામાં જતા રહ્યા.
હું અવાક થઇ ગયો. આટલા બધા??
એક થેલી 300/- ની આવે ક્યારેક ક્યારેક તો મને પરસેવો બહુ થતો એટલે જાજુ ચોંટે નહી થેલી એટલે બે બે ત્રણ ત્રણ થેલી વપરાઈ જતી.

આ ઇલોયોસ્ટોમી એટલે આંતરડું બહાર કાઢ્યું હોય એમાં આ મોટી તકલીફ.
મેં કહ્યું તારે કહેવાય ને હું કોઈક પાસે માંગી મંગાવીને કંઈક પૈસા કે થેલીનો જુગાડ કરવાનો ટ્રાય તો કરેત.
તમે બધા ઘણી વાર અમને ટેકો પૂરો પાડતા જ ને પછી જાજુ માંગી કહી ને શરમવાય થોડી?
શું કહું હું સમજાતું ન હતું.

મેં કહ્યું પણ પહેલા ઓપરેશન પછી તું બે ત્રણ મહિના દેખાયો જ નહતો. તો અમને કઈ રીતે ખબર પડવાની?

અમારા ગામમાં બધાને એમ કે મારું હવે પૂરું થઇ ગયું. નો બચે. અને હાચુ કવતો મનેય એવુ લાગતું તું એટલે મને કઈ ગમતું ય નહી પણ બાપા પરાણે દવા પીવડાવે ને મારી ઘરડીમાં મારી સેવા કરે રાખે.
હું તો જ્યારે બીજા ઓપરેશન માટે આવ્યો ત્યારે પરાણે જ આવ્યો તો , જવાની માં માં બાપ પાહે આટલી સેવા કરાવવી એના કરતા તો....
મેં અટકાવતા કહ્યું કઈ નઈ ભૂલી જવાનુ બધું. હવે તો હારું ને બસ! વજન એ હવે તો ૪૮ કિલો થઇ ગયું. ખાઓ પીઓ મજા કરો.
એટલામાં એણે એનો ફોન કાઢીને સેલ્ફી લીધો અને ફરી જૂની વાત , તમને કેટલી વાર બોલાવ્યા પણ તમે મારે ઘરે નઈ જ આવતા.
દર વખતે હા યે હા કરો. કાલ તો રવિવાર છે ને કાલે આવો.
મેં કીધું કાલે અહીં ભાવનગર આપણા મુખ્યમંત્રી આવે છે એટલે મારે એમાં ડ્યુટી આવે.
કેમ તમારે એમાં હું કરવાનું હોય??
મેં કહ્યું એમને કઈ થાય તો ઇમર્જન્સીમાં સારવાર! એ હસવા લાગ્યો, એને એમ કે સાહેબ મજાક કરે છે પછી વીઆઈપી ડ્યુટીનો ઓર્ડર વંચાવ્યો તો એવુ આશ્ચર્ય થયું એને! કહે કે મુખ્યમંત્રીની સારવાર માટે જેને રાખે એ ડોક્ટરે મારાં ઓપરેશન કર્યા એમને!
જાજી તો આ બાબતે ચોખવટ કે ચર્ચા શું કરવી એટલે મેય હકારમાં રોફથી માથું ધુણાવ્યું.😄

હોસ્પિટલ પાસે એક કાફેમાં અમે ચા નાસ્તો પૂરો કરી પૈસા આપવા ગયો ત્યાં કહે તમારે થોડી આપવાના? તમે ત્યાં આવતા નથી એટલે તો મારાં તરફથી આ હતું ...
મેં વાત કાપતા કહ્યું , નેસડા આવું ત્યારે તારો વારો!!
પણ તમે આવો તો ને..
એટલું કહી અમે ઉભા થયાં ને ગાડીમાં નીલમબાગ સર્કલ પાસે એને ઉતાર્યો. બસ અહીં થી મને ૨૦/- માં જ રીક્ષા મળી જાશે..
કાંઈ ઇમર્જન્સી કામ હોય તો ફોન મેસેજ કરજે. કહીને અમે છુટા પડ્યા!

-ડો. સ્મિત મહેતા


સમય હોય તો ચોક્કસ વાંચજો 🙏✅ થોડા જ દિવસો પહેલા પાંચ દિવસમાં જ આ આઠેય  ઓપરેશનો કર્યા છે.➡️૫૦ વર્ષના કાકા, ખેતીકામ કરે. ડા...
06/07/2024

સમય હોય તો ચોક્કસ વાંચજો 🙏✅
થોડા જ દિવસો પહેલા પાંચ દિવસમાં જ આ આઠેય ઓપરેશનો કર્યા છે.

➡️૫૦ વર્ષના કાકા, ખેતીકામ કરે. ડાબી બાજુ સારણગાંઠ વર્ષો થી પણ કઈ તકલીફ નહતી કરતી એટલે ચલાવે રાખ્યું! અંતે ફસાઈ ગયી, એટલે કે આંતરડું ફસાયી ગયું ને ઇમર્જન્સીમાં ઓપરેશન કર્યું. કાકા એચ.આઈ. વી. HIV પોઝિટિવ હતા, પણ ખેર અમારે તો એ જોવાનું જ ન હોય પણ એમનો CD4 કાઉન્ટ થોડો ઓછો આવ્યો પણ આવા ઇમર્જન્સી કિસ્સામાં બધા રિસ્ક સાથે ઓપરેરશન તો કરવું જ રહ્યું.

➡️૮૦ વર્ષના કાકા, પેટમાં અતિશય દુઃખાવા સાથે આવ્યા .. ઘણા દૂર થી આવતા હતા. ત્યાં ઘણી જગ્યા એ દાખલ પણ થયાં. દવા બાટલા લીધા પણ તકલીફ વધી એટલે અહીં આવ્યા.. આ HBSAg પોઝિટિવ નીકળ્યા. એટલે કે ચેપી કમળો.
ઓપરેશન કરીને જોયું તો પેટ જાણે રસીનો કૂવો. લગભગ 1 લીટર જેટલી રસી કાઢી અને કારણ શું? મોટુ આંતરડું ચેપને કારણે ફાટીને બે કટકા થઈને પડ્યું હતું.ઉંમર વધુ હોય અને આવા જટિલ કિસ્સામાં ઓપરેશન ઝડપથી પણ કરવું રહ્યું. પણ એમાં સ્કિલ ઓછી ન જ થાય.
મોટી ઉંમરે ખરાબ ફેફસા સાથે એનેસ્થશિયા આપ્યા બાદ લાબુ ઓપરેશન ચાલે એટલા પોસ્ટ ઓપરેટીવ સરવાઈવલ ચાન્સ ઓછા હોય છે.

➡️23 વર્ષના બેન એક મહિનાથી ઘણી જગ્યા એ દવા લઇ રહ્યા હતા. એક જગ્યા એ ઓપરેશનનું સમજાવ્યું પણ આર્થિક પરિસ્થિતિ એવી કે ન કરાવ્યું અને અંતે રાત્રે અહીં આવ્યા હતા. પેટમાં જ્યાં અડો ત્યાં દુખાવો ❗રિપોર્ટ પણ equivocal ❗એટલે ચોક્કસ ખ્યાલ ન આવે. સીટી સ્કેન કરાવ્યુ તો અપેન્ડિક્સ ફાટી ગયું છે અને પેલ્વિક કનજેશન સિન્ડ્રોમ,બીજા દિવસે દૂરબીનથી ઓપરેશન માટે લીધા તો જ્યાં જુઓ ત્યાં રસી જ રસી.. આંતરડા ચેપ ને કારણે પણ ઘણા ખરાબ થઇ ગયા હતા. પણ again slow and steady wins the race! આખુ ઓપરેશન દૂરબીનથી જ પાર પડ્યું. ઉંમર નાની હોય એટલે પ્રયત્ન હોય કે સાવ ઓછા સ્કાર સાથે દૂરબીનથી જ થઇ જાય.
ભલે અમારે ત્યાં સરકારી હોસ્પિટલmમાં મોટા ભાગે દર્દી એવી કોઈ સામે થી ડિમાન્ડ ન જ કરે કે અમારું ઓપરેશન દૂરબીનથી જ કરો, એમને તો બસ સારા થવાની આશા હોય.પણ જરૂર મુજબ જે તે દર્દી માટે જે બેસ્ટ હોય એજ અમે કરવા પ્રયત્ન કરતા હોય છે.

➡️૧૨ વર્ષનો દીકરો પેટમાં અત્યંત દુઃખાવા અને ઉલ્ટી સાથે આવ્યો. રિપોર્ટ કરાવ્યા તો આંતરડા ક્યાંક ફાટી ગયા હશે, કાણું હશે એવુ આવ્યું. ઇમર્જન્સીમાં ઓપરેશન કરીને જોયું તો લગભગ ૧૫ સેન્ટિમીટર જેટલું નાનું આંતરડું એને ડબલ હતું. ડુપ્લીકેશન ઓફ ઈલિયમ.Again its very rare.
આ બીજી એક્સટ્રા આંતરડું હતું એ ફાટી ગયું હતું અને ત્યાંથી આખા પેટમાં સંડાસ ફેંકાયી ગયું હતું. (F***l peritonitis )
એ આખો ખરાબ ભાગ કાપીને કાઢી નાખ્યો અને સારા આંતરડા જોડી નાખ્યા.

➡️ ૬૦ વર્ષના કાકા રાજકોટથી આવ્યા હતા. તકલીફ તો ઘણા દિવસોથી હતી. દવા ને બીજી સારવાર પણ લીધી. પણ જયારે ત્યાં ઓપરેશન નું કહ્યું ત્યારે આર્થિક પરિસ્થિતિ ને કારણે તેઓ કોઈ બીજા સગાના કહેવાથી અહીં આવ્યા.
ઓપરેશનમાં નાના આંતરડામાં ઘણા બધા પાઉચ બની ગયા હતા અને એમાંથી બે પાઉચ ફાટી ગયા હતા. ( Perforation of jejunal diverticula ) અને એટલે તેટલા ભાગમાં પેટમાં સંડાસ ભેગું થઇ રહ્યું અને તેમાંથી રસીનો ગઠ્ઠો બની ગયેલો ❗એ બધો ખરાબ ભાગ સાફ કરી ફાટી ગયેલા આંતરડા કાઢી, સાંધ્યા.

➡️૨૨ વર્ષનો જુવાન દર્દી. પણ જોતા જ લાગે કે આને કંઈક ગંભીર બીમારી હશે. સાવ હાડપિંજર જેવું શરીર. પણ પેટ ફૂલીને નગારા જેવું. પહેલી નજરે ખ્યાલ આવી જાય કે ટીબીનું દર્દી હશે. અને સીટી સ્કેનમાં નીકળ્યું પણ એવુ જ.
પણ આંતરડું ફાટી ગયું હતું. ટીબીમાં પેટમાં પણ ચાંદા પડી શકે અને એ ફાટી જઈ શકે.આમતો ટીબીના કિસ્સામાં આંતરડા એટલા ખરાબ હોય કે આંતરડા પેટ પર બહાર કાઢવા પડે પણ ફાઇનલ નિર્ણંય તો જેતે સમયે દર્દી નું પેટ ખોલીયે એ પછી જ લેવાતો હોય. ચોંટી ગયેલા આંતરડા થોડા છુટા પાડ્યા અને આંતરડું સાંધ્યું. પેટ પર ન કાઢ્યું. અને ટીબીની દવાઓ શરુ કરી.

➡️ ૬૦ વર્ષના અંધ માતા. સુરતથી અહીં અમારી પાસે આવ્યા હતા. વારે વારે પેટમાં દુખાવો થયાં કરે. Appendix નો atypical કેસ હતો. સુરતમાં ઓપરેશનનું કહ્યું હશે અને જોગનુજોગ એમના દીકરાનું ઓપરેશન અમે જ કર્યું હતું એટલે તે એમની મમ્મીને લઈને અહીં આવી ગયા.
અપેન્ડિક્સની સાથે નાના આંતરડામાં ચેપ પણ લખતા હતા. દૂરબીનથી ઓપરેશન માટે લીધા અને જોયું તો આપેન્ડિક્સ આંતરડાની ભાગના એવુ ચોંટી ને છુંપાઈ ગયું હતું કે તમને મળે જ નહિ. એની ઉપર બીજા આંતરડા ફેવિકોલની જેમ ચોંટી ગયેલા. પણ આવા ખરાબ કેસનો અમારો અહીંનો જ વર્ષોનો અનુભવ કામ લાગતો રહે અને ઈશ્વરની કૃપાથી કોઈ કોમ્પ્લીકેશન્સ વગર એ પણ સરસ રીતે થઇ દૂરબીનથી જ થઇ ગયું. એક વાર તો આવા કિસ્સામાં ચેકો મૂકીને ખોલી ને કરવું પડશે એવો વિચાર આવે જ અને એવુ લાગે તો જરાય ઓવરકોન્ફિડેન્સમાં આવ્યા વિના ઓપન પણ કરવું જ પડે. પણ ભૂતકાળમાં આવા ખરાબ કેસ પણ દૂરબીનથી જ કર્યા હોય એટલે એ અનુભવો કામ લાગતા હોય છે.
➡️૮૦ વર્ષના માડી, શરીર પણ એકદમ ભારે અને એકદમ ફૂલેલા પેટ સાથે આંતરડાના અટકાવ સાથે આવ્યા હતા.બીજી બધી તકલીફો પણ હતી એમને સાથે. ઉંમર વધુ હોય એટલે એ તો રહેવાનું. ઓપરેશનમાં મોટુ આંતરડું ટાયરની જેમ ફૂલી ગયેલું અને એમાં આંટી વળી ગઈ હોય. મેડિકલમાં એને sigmoid volvulous કહે.

✅આ આઠેય દર્દીને કોઈ પણ કોમ્પ્લીકેશન્સ વગર રજા આપી દેવાઈ છે. ❤️
એટલે આજે આ લખી રહ્યો છું. આમતો આ આઠેય કિસ્સાઓની એક અલગ જ સ્ટોરી બને એવુ છે. પણ ખેર વાત અહીં એ છે કે દરેક ઓપરેશન તો જટિલ જ હોય, નાનું હોય કે મોટુ, પણ એ બાદ પોસ્ટ ઓપરેટીવ મેનેજમેન્ટ પણ એટલું જ અગત્યનું હોય છે. ઓપરેશન દરમિયાન એનેસથે્ટિસ્ટનો રોલ પણ એટલો જ મહત્વનો હોય છે.
આવા અઘરા કેસ પણ સારા સાજા થઇ ઘરે જાય એટલે સમજો કે સરકારી હોસ્પિટલmમાં પણ એ હાઈગ્રેડ લેવલની સારવાર અપાતી હોય છે. ભલે અહીં વોર્ડ ન ગમે અને બીજી નાની મોટી તકલીફો હોય છે પણ જો અમારી આવડત અને નિપુણતામાં આવતું હોય તો દર્દીને best possible treatment આપવામાં કોઈ કસર નથી બાકી રાખતા. સમગ્ર સર ટી હોસ્પિટલની ટીમ નો આભાર ❤️
આમ તો સરકારી હોસ્પિટલ હોય એટલે ઓપરેશનો તો રૂટિન થતા જ હોય અને દર વખતે સોશિયલ મીડિયા પર મૂકવું બિનજરૂરી અને અનાવશ્યક લાગે પણ પછી થાય કે પહેલા લખતા હતા અને હવે નથી લખતા તો ક્યાંક એવુ ન લાગે કે ઑપરેશન ઓછા અથવા નહિ થતા હોય.
બે અઠવાડિયા પહેલા,પાંચ દિવસમાં જ એટલા ઓપરેશનો કર્યા ❗અલગ અલગ જાતના.. અહીં મોટા ભાગે ક્લિયર કટ કેસ હવે નથી આવતા. કાર્ડના સમયમાં એ બહાર થઇ જાય છે પણ અમુક કોમ્પ્લીકેટેડ કે આર્થિક પરિસ્થિતિ ને કારણે અહી આવવાના જ ..

-ડો. સ્મિત મહેતા

01/05/2024

એક વાર શાંતિથી વાચજો અને વિચાર કરજો.
ગળે ઉતરે તો શેર કરજો
(મેં કોવિશિલ્ડ જ લીધી છે .)
કોવિશિલ્ડ વેક્સીન માટે ઘણું ઘણું નવું આવ્યું અને ઘણા મીમ્સ પણ બને છે અને ઘણા આને રાજકીય મુદ્દો પણ આપી શકે.
હું મારી રીતે જે થોડું ઘણું સમજુ છું એ આપને કહું.

કોવીડનો સમય યાદ કરો. રામડેસીવીર જેની કોઈ ખાસ ઉપયોગીતા નહતી એની માટે કેવી કાળા બજારી થતી હતી.
રામડેસીવીરથી પણ ઘણા એક્યૂટ કિડની ફેલયર ના કિસ્સા ઉપરાંત sudden cardiac death ના કિસ્સા સામે આવ્યા હતા. અને એતો લિટરેચરમાં પણ લખેલુ જ હતું. ત્યારે આપણે બધું ભૂલી જઇએ,થવી હોય તો થાય, રેર સાઈડ ઈફેક્ટ્સ છેને.. બાકી રામડેસીવીર તો જોઈએ જ.

દરેક દરેક દવાઓ ની સાઈડ ઇફેક્ટ્સ હોય જ છે. એ પછી વેક્સીન કેમ ન હોય.
અને ત્યારે ટૂંકા સમય ગાળામાં તે શોધાઈ હોય અને phase 2 પછી તરત એને માણસો ને આપવાની હોય તો શું કરવાનું? આટલા કરોડો લોકોને આ અપાઈ હોય પછી 0.00001 ટકા એટલે કે લાખે એક લોકોમાં આ તકલીફ થાય છે તો આથી વધુ જોખમ તો રોડ પર ગાડી ચલાવવામાં છે.
ભારતમાં જ રોડ ટ્રાફિક એક્સીડંટથી મૃત્યુ પામનારાની સંખ્યા એક લાખે 12 છે.
કોવિશિલ્ડથી થતી આ આડઅસર કરતા બાર ગણી વધારે શક્યતા. તો આપણે ગાડી ચલાવવાનું છોડી દેવું જોઈએ?

Azithromycin દવા કે જે હરેકના મોઢા પર હશે અને જીવનમાં કેટલીય વાર લીધી હશે, કોરોનમાં પણ શરદી ઉધરસમાં લીધી હશે એની પણ સિરિયસ સાઈડ ઇફેક્ટમાં QT prolongations અને sudden cardiac attack છે જ.
આટલા વર્ષો વપરાયા પછી હવે એને બેન કરવી કે નઈ એવી પણ ચર્ચા ક્યાંક વાંચી હતી. છતાં હું પણ જરૂર પડે લઉં જ છું અને લોકો પણ લેતા જ હશે.
કોવિશિલ્ડ કામ કરતી હતી એ ચોક્કસ વાત છે અને એ એન્ટિબોડી પણ શરીરમાં સારા એવા પ્રમાણમાં બનાવતી હતી. તો કોવિશિલ્ડ લેવાને કારણે હજારો લાખો ના જીવ બચી શક્યા છે એ દિશામાં આપણે કદી નથી વિચારતા..
જો લીધી જ ન હોત તો?? અત્યારે કદાચ એવુ થાય કે સારું થયું હોત ન લીધી હોત પણ ત્યારે તે સમયે આ રસી જ આપણને રાહતનો શ્વાસ આપ્યો હતો.
એટલે આ સમાચાર આવ્યા કે એસ્ટ્રાઝેનેકા (કોવિશિલ્ડ ) બનાવનાર કંપની એ સ્વીકાર્યું કે અમુક કિસ્સાઓમાં TTS -thrombosis with thrombocytopenia syndrome થાય છે તો એમાં બિલકુલ દુઃખી થવા વાળી કે આય હાય હવે બધાનું શું થશે એમ વિચારી મેસેજો ફોરવર્ડ કરવાની કોઈ જરૂર નથી.
અને કોવેક્સીન પણ ત્રીજા ફેઝના ટ્રાયલ વગર જ આપવામાં આવી હતી. કારણકે એ એટલા ઓછા સમયમાં શક્ય જ નહતું. એટલે વહેલા મોડા એની પણ આવી કોઈ આડઅસર બહાર આવે તો એમાં કોઈ શંકા ને સ્થાન નથી.
ફરી એક દાખલો આપું.
Safest લોકલ એનેસથેટીક એજન્ટ lignocaine થી પણ 10000 એ એક કેસમાં જીવલેણ anaphylaxis રિએકશન આવે છે. વેક્સીનથી થતી આ આડઅસર કરતા દસ ગણું જોખમી છે. છતાં આખી દુનિયા વાપરે જ છે ને.
કોઈ પણ દવા કોઈ પણ ઇન્જેક્શન, કોઈ પણ ઓપરેશનની ઘણી ઓછા વત્તા પ્રમાણમાં આડઅસરો હોય છે પણ એની સરખામણીમાં એ કેટલા ને ઉપયોગી નીવડે છે એ જોતા એને વાપરવામાં આવતી હોય છે. તો રસીમાં, કરોડો લોકો ને એક સાથે અપાયી હોય તો 0.00001 % કેસમાં કોઈક તકલીફ થાય તો એનો મતલબ એ નથી કે એ ખરાબ હતી અથવા એ ન હતી વાપરવા જેવી.
એટલે મારાં માટે કોઈ ગભરાવાની કે ચિંતાની જરૂર જ નથી. એના થી હજારો ગણા મૃત્યુ તમાકુ, સિગરેટ અને દારૂની આડઅસરોથી થાય છે પણ એ તો આપણે ક્યાં કઈ ગણીએ જ છીએ. એના તો કોઈ હેલ્થ માટે ફાયદા પણ નથી માત્ર નુકશાન છે. અહીં રસી એ ફાયદો તો કર્યો જ છે..વિશ્વમાં વર્ષે બે લાખ લોકો માત્ર દારૂ ના કારણે મરે છે એ છતાં ભારતમાં પણ એવરેજ 15-20% લોકો દારૂ પીવે જ છે.અને એમાંથી દોઢેક લાખ લોકો alcoholic liver cirrhosis થી મૃત્યુ પામે છે.છતાં એ વિશે કોઈ ચિંતા નથી કરતુ?!
(ખેર આલ્કોહોલ, કે કોઈ પણ વ્યસનમા તો જે તે માણસને ખબર હોય છે કે આનાથી કેટકેટલા નુકશાન થાય છે છતાં મરજી થી લે છે એટલે ચાલે.)

મને નથી લાગતું કે આમ આ સમાચારથી કઈ જ ડરવાની જરૂર છે.તમે તમારી જાતે કોઈ પણ ઇન્જેક્શન કોઈ પણ દવાની serious side effects શોધજો. તમને આપો આપ સમજાયી જશે હું શું કહેવા માંગુ છું.
_____________________________
ઘણા એવુ માને છે અને કહે છે કે ઓલરેડી કોરોના પછી પહેલાં કરતાં હાર્ટએટેકના કેસ વધ્યા છે.
એમાં કોરોના કારણભૂત હોઈ જ શકે છે. Its post covid syndrome, very possible.
એમાં રસી થી આવ્યો એવુ સાબિત થતું હોય છે.
બધા એ રસી લીધી જ હશે.
અને માનો ન માનો ઓછા વત્તા પ્રમાણમા symptomatic કે assymptomatic covid જેને તેમને થયો જ હશે.
શરદી ઉધરસ થઇ હોય, બીક થી રિપોર્ટ ન કરાવ્યો હોય. એની મેળે અથવા symptomatic દવાઓ થી મટી ગયો હોય. એ પછી રસી તો લીધી જ હશે એટલે હવે એટેક આવે તો માત્ર રસી એજ કારણ ન હોય.
Post covid symdrome પણ કારણ હોઈ શકે છે. એમાં રિસર્ચ થઇ રહ્યા છેવેક્સીન તો ખાલી એમનેમ બદનામ થઇ રહી છે. મુખ્ય કારણ કોવીડ ઇન્ફેક્શન ખુદ હોઈ શકે છે.

-ડો. સ્મિત મહેતા

GastroIntestinal and laparoscopic surgeon working in Government Hospital Bhavnagar

ગેસ થી ગેંગ્રીન(Gas Gangrene) થાય??ઘણી વાર જીવનમાં કોણ ક્યાંથી તમને મોટીવેટ કરી જાય એનું કઈ નક્કી નહી!!મને થોડા મહિના પહ...
01/04/2024

ગેસ થી ગેંગ્રીન(Gas Gangrene) થાય??

ઘણી વાર જીવનમાં કોણ ક્યાંથી તમને મોટીવેટ કરી જાય એનું કઈ નક્કી નહી!!
મને થોડા મહિના પહેલા જમણાં ઘૂંટણમાં ઇજા થઇ. ટ્વીસ્ટ થઇ ગયો હતો અને દોડવામાં અથવા નીચે બેસવામાં થોડો દુખાવો રહેતો.
MRI કરાવ્યો તો ઘૂંટણની ગાદી ફાટી ગઈ એવુ આવ્યું. મેડિકલની ભાષામાં કહીયે તો grade 3 medial meniscus tear.
એટલા બધા વિચારો આવી જાય.ઓર્થોપેડિક સર્જનને પણ દેખાડ્યુ..90 ડિગ્રીથી વધુ પગ વાળવાનો નહી. એ સાથે હાલ પૂરતું ઓપરેશન વગર જોવાનું નક્કી થયું. પણ સ્વાભાવિક છે કે પછી આપણે વધુ ડરી જઇયે અને સાદુ ચાલવામાં પણ થોડું સાંભળીને ચાલીયે. અને મનમાં ઘણા વિચારો આવતા જતા રહેતા હોય? કે મટશે કે નહી? ઓપરેશન આવશે તો રજા કેટલી પડશે? અને બીજું ઘણું....
આવા દરમિયાનની વાત છે.

અમે ફિલ્મ જોવા થિયેટરમાં ગયા.લિફ્ટમાં ચઢ્યા. લિફ્ટ મેન ભાઈ એ ત્રીજો માળ દબાવ્યો ને પછી મારી સામે જોવા લાગ્યા. મને થોડો લંગડાઈને ચાલતા જોઈ એમણે પૂછ્યું? તમને શું થયું સાહેબ?? હું સ્તબ્ધ હતો કે આ કેમના મને ઓળખે છે? મેં કીધું થોડું વાગ્યું છે.. સર્જન સાહેબ ને પણ તકલીફ થાય એમને? મેં કીધું થાય જ ને. સર્જન પણ માણસ પહેલા... પછી સર્જન....પણ તમે...?? એટલું પૂછ્યું ત્યાં કહે,સાહેબ ઓળખ્યો નઈ મને એમને ? મેં નિરાશા સાથે નકારમાં માથું ધુણાવ્યું.પેન્ટ થોડું ઊંચું કરીને ખોટો પગ દેખાડ્યો. સાહેબ તમે તો મારો પગ કાપ્યો હતો. પણ પછી તમે મોકલ્યો હતો ત્યાં આ ખોટો પગ બની ગયો. અને એ પણ લોક વાળો! એમ કહી પગનું લોક ખોલી ભાઈ ઉભા થઇ ગયા. મેં આશ્ચર્ય સાથે પૂછ્યું ઓહ! કોઈને ખબર જ ના પડે હો!
ત્રીજો માળ આવી ગયો. લિફ્ટનો દરવાજો ખુલી ગયો પણ હું બહાર એ અંદર, દરવાજો ખુલ્લો રખાવી પૂછ્યું, પાકું મને યાદ નથી આવતું.
એમણે યાદ અપાવ્યું.હું ને મારી માં ત્યાં કોરોના ટાઈમમાં ઉપર ચોથા વોર્ડમાં મહિનો રહી ગયા હતા.
આટલુ કહ્યું એમાં જાણે ફિલ્મની જેમ આખી ઘટનાઓ નજર સમક્ષ આવી ગઈ.
મેં કહ્યું પાકું યાદ આવી ગયું હો ❗
સાહેબ હમણાં થી અહીં ખજવાળ બહુ આવે છે. તમે હજુ ત્યાં જ છો? મેં કીધું હા. કાલે શનિવારે જ આપણી ઓપીડી છે.૧૦-૧૧ વાગે આવીને દેખાડી જજો.
એટલું કહી આવજો કહી થિયેટર તરફ ચાલતા થયાં.

આખા ફિલ્મ જોતા જોતા ઘણા વિચારો આવ્યા. આપણે ઘણી વાર કેવી નાની નાની વાતમાં કેટલું મોટુ ટેંશન લેતા હોઈએ છીએ.
શરીર છે. કંઈક તકલીફ થાય તો સ્વીકારીને એનું શક્ય હોય એ સોલ્યુશન કાઢવાનું.
આપણા હાથમાં બીજું તો કઈ છે નહી સિવાય કે સ્વીકાર?
અહીં આપણા કેસમાં તો માત્ર ઍક ઇજા થઇ છે. બહુ બહુ તો શું થશે? ઓપરેશન કરાવવું પડશે. પણ કેટલાય લોકો છે જેને પગ નથી અને તો પણ ખુદ્દારીથી અને ખુશીથી સ્વીકારીને જીવે છે.
આ વિષયમાં ઘણું લખી શકાય પણ અહીં એની વાત નથી કરવી.
આ ભાઈની વાત કરીએ.
કોરોનનો શરૂઆતનો સમય હતો. ભાઈ સાયકલ પરથી પડી ગયા હશે. સારું એવુ ઊંડું છોલાયું હશે. પણ રોજનું રોજ કામ કરતા હોય ત્યાં રજા કેમ પાડવી? આજુ બાજુમાંથી ટીકડીઓ લઇ અને હળદર લગાવીને ચલાવે રાખ્યું. એ સમયે આમ પણ મોટા હોસ્પિટલમાં આવતા બધાને બીક લાગતી કે કોરોના કરીને દાખલ કરી દે વગેરે.. અફવાઓને ક્યાં કાયદાઓ નડે છે?
અહીં એ છઠ્ઠા દિવસે અસહ્ય દુખાવો શરુ થયો ત્યારે એમની માં સાથે આવ્યા હતા અને ઘૂંટણથી નીચેના આખો પગમાં કાળા ફોડલા અને અત્યંત ખરાબ વાસ સાથે અડો તો અંદર હવા હોય એવુ લાગે.
Typical case of Gas Gangrene.
અહીં તાત્કાલિક ઘૂંટણથી નીચે પગ કાપવો જ પડે.
(Below knee amputation )
પણ એમ કોઈક સીધું પગ કાપવાનું કહે એટલે પગ નીચેથી ધરતી જ ખસી જાય ને?
શરૂમાં તો એમણે સમજાવવા છતાં પગ કાપવાની ના પાડી. આ દર્દીને સમજાવવું, એ ન જ માને. છતાં ફરી સમજાવવું વગેરે પણ ઍક જટિલ વિષય છે. પછી ક્યારેક વાત. હાલ પૂરતું ચેકા મૂકી બગાડ કાઢી નાખ્યો. જેને મેડિકલની ભાષામાં Debridement કહે.
અને ગેસ ગેંગ્રીન માટેના ભારે ભારે ઇન્જેક્શન શરુ કર્યા.
બીજે દિવસે સુધારવા કરતા હજી વધુ ખરાબ થયુ. ચેપ ઘૂંટણ ઉપર જવાં લાગ્યો.
પછી એમની બા ને સમજાવ્યા. એમને સમજાવ્યા.
એક્ચ્યુલી ભાઈ એ લગ્ન નહતા કર્યા. માં દીકરા બેય જોડે રહે. પગ કપાઈ જાય તો પછી કામ કેમનું કરવું?? આવા અનેક મનમાં પ્રશ્નો હોય પણ ત્યારે દર્દીને સમજાવવું પડે અહીં ખાલી પગ નહી પણ આ ચેપ લોહીમાં ભળી જાય તો જીવ જતો રહે.
ઘણી વાર દર્દીઓ બધું સમજાવવા છતાં ન માને તો
હું તો એમ પણ કહેતો હોવ છું કે અમે તમારા દુશમન થોડી છીએ? ના તો અમારે તમારી પાસે થી પૈસા લેવાના છે. તમે ના કહેશો તો અમારા બધાના દોઢ બે કલાક બચી જશે.
તો પણ અમે તમને કેમ આટલુ સમજાવીએ છીએ?
આ ભાઈ અને બા ને તો મેં ખુદ કાઉન્સેલિંગ કર્યું હતું એટલે ખાસ મને આ કિસ્સો યાદ છે. બાકી આ કામ રેસીડન્ટ ડોક્ટરો જ કરી લેતા હોય છે. પણ ઘણી વાર તેમનાથી ન માને પણ અમે વજન થઇ સમજાવીએ તો માની જતા હોય છે.
મેં એટલું કહ્યું, કે પગ ભલે કપાઈ જશે પણ જો જીવ બચશે તો ભવિષ્યમાં નવો પગ પણ લગાડી શકાશે. પણ આ જીવલેણ ચેપ લોહીમાં ભળી જશે ને જીવ જતો રહેશે તો આ પગનું શું કરશો?
હા સાહેબ તમારી વાત સાચી પણ...
કઈ નહી જલ્દી વિચારીને કહેજો..
એ દિવસે રાત્રે તેઓ માન્યા અને ઘૂંટણ ઉપરથી પગ કાપ્યો. (Above knee amputation) અને એ પછી ચેપ પણ આગળ ન વધ્યો. બે અઠવાડિયા પછી રજા કરી હશે.
_______________________________________

ગેસ ગેંગ્રીન એ મોટા ભાગે Clostridium perfringens નામના બેક્ટેરિયા દ્વારા થતો ખૂબ જ ગંભીર અને ઝડપી ફેલાતો ચેપ છે કે ના પૂછો વાત.આ બેક્ટેરિયા ઇન્ફેક્શન કરી સ્નાયુને મારી નાખે છે અને એ દરમિયાન ગેસ બનતો હોય છે.
મોટા ભાગે પગમાં અને ક્યારેક હાથમા કંઈક ઊંડી ઇજા થાય તે પછી આ થતો હોય છે.
ઉપર છલ્લુ છોલાયું હોય તો ડોક્ટરને ન દેખાડો તો ચાલે. પણ થોડું પણ ઊંડું વાગે અને ધૂળ માટી અડે તો આ થઇ શકે છે.
ધનુર થઇ શકે એ બધાને ખ્યાલ છે.કારણ કે અવારનવાર આ શબ્દ સાંભળતા હોઈએ છીએ એની રસી પણ તાત્કાલિક લઇ લેતા હોઈએ છીએ.
અહીં તો કોઈ પણ દર્દી ઘા સાથે આવે એને ધનુર (ટીટેનસ ) નું ઇન્જેક્શન તો અપાતું જ હોય છે. અને બધા નાનપણમાં ત્રિગુણી રસી લેતા હોય તેમાં પણ ધનુરની રસી હોય છે. એટલે હવે એ જવલ્લે જોવા મળે છે. પણ આ ગેસ ગેંગ્રીનની કોઈ રસી નથી શોધાઈ! એટલે કોઈ પણ ઊંડો ઘા હોય જ એને અતિશય બળતરા કરતા હાઈડ્રોજન પેરોક્સાઈડથી(અને બીટાડીન ).સાફ કરવું અનિવાર્ય છે. અનહદ પીડાદાયક હોય છે આ હાઇડ્રોજન પેરોક્સાઈડ. દર્દી બૂમો પાડે ચિસાચીસ કરી મૂકે પણ એ બધું અવગણી ઘા સાફ કરવો જ પડે.
આ પીડા ભવિષ્યની ગેસ ગેંગ્રીન જેવી બહુ મોટી તકલીફ નિવારવા આપવી પડે છે. આજુ બાજુ વાળાને ઘણી વાર લાગે કે ડોક્ટર તો બહુ હેરાન કર્યો, બહુ તકલીફ આપી અને ક્યારેક અમુક દર્દીઓ તો ગાળો પણ આપે.
પણ ત્યારે અમારા કાન બંધ રાખીને કામ કરતા રહેવું એજ દર્દીના ભવિષ્ય માટે લાભદાયક હોવાનું છે જેનો કોઈ પણ દર્દીને ખ્યાલ ન હોય એ સ્વાભાવિક છે.

- ડો. સ્મિત મહેતા

Speed kills!Stay safe !સામાન્ય લાગતા બાઈક સ્લિપમાં ,બહારથી ઘસરકો પણ નાં દેખાય એ છતાં ક્યારેક જીવલેણ  તકલીફમાં મૂકાઈ જવાત...
03/01/2024

Speed kills!
Stay safe !

સામાન્ય લાગતા બાઈક સ્લિપમાં ,બહારથી ઘસરકો પણ નાં દેખાય એ છતાં ક્યારેક જીવલેણ તકલીફમાં મૂકાઈ જવાતું હોય છે !

બાઈક સ્લીપ થઈ જાય ઍજ દુઃખદ ! એટલે પહેલી વાત તો એ કે એક્સિડન્ટ થયા વગર એટલી સ્પીડ એ બાઈક ન જ ચલાવાય કે રસ્તામાં આપણા કંટ્રોલમાં ન રહે .
પણ જ્યાં સુધી આપણી સાથે અથવા આપણા નજીકનાં સગા વહાલા સાથે ગમખ્વાર ઘટના ન બને ત્યાં સુધી સમજે એ બીજા .
આજકાલ યુવાનોમાં બેફામ બાઈક ચાલવાનું ચલણ જોરોં શોરો પર છે .
ઘણી વાર આવો કોઈક બાઈક વાળો સડસડાટ નીકળી જાય ત્યારે તમને પણ થતું હશે કે આવડો આ પડે નહી તો સારું ,અથવા પડે તો સારું અથવા પડે કે નાં પડે પણ બીજા કોઈને અડફેટે ના લે તો સારું !
પણ આવા સજ્જનો ક્યારેક તો પછડાટનોં સ્વાદ ચાખે જ છે .
એટલે એમ કદી ન સમજવું કે જેઓ મારમાર બાઈકો લઈને નીકળે છે એમને કદી કંઈ નથી થતું .(થવાનું હોય તો રસ્તા પર બાજુમા ઊભા ઊભા અડફેટે આવી જવાય પણ એ તો આપણા હાથની વાત છે નહી !)

વાત એમ છે કાલે રાત્રે સાડા દસ -અગીયાર વાગે એક વાગે ૧૮ વર્ષનોં છોકરો સારી એવી સ્પીડે જઈ રહ્યો હતો ને એમાં બાઈક રામમંત્ર મંદિર પાસે સ્લીપ થઈ ગયું .
પૂછ્યું તો એને કંઈ ખ્યાલ જ નહતો કે કેવી રીતે સ્લિપ થઈ .
થોડ઼ી વાર હેબતાઈ ગયો ચોક્કસ હશે પણ જાતે બાઈક ચલાવીને ઘરે જતો રહ્યો .
પેટમાં સામાન્ય દુખતું હશે પણ પડ્યા એટલે ઉપર બાઈકનુ સ્ટિયરિંગ આવ્યું હોય એટલે થોડું તો દુખે એમ સમજી સહન કરી લીધું !અને બહારથી જોતા એક પણ ઘસરકો નહી .એવુજ લાગે કે આબાદ બચાવ થઈ ગયો જાણે !
(કાલે કાળી ચૌદસ પણ હતી ...શું આ અકસ્માત પાછળ કોઈ ...??)
જલ્દી મૂળ વાત પર આવીએ તો રાત પડતી ગઈ ને પેટનોં દુઃખાવો વધતો ગયો ! સહન થાય પણ ક્યા સુધી ,શરીરની પણ લિમિટ હોય્ ને ?વહેલી સવારે સર ટી હોસ્પિટલમાં લાવ્યા અને ક્લિનિકલ તપાસ અને એક્સ રે પરથી સમજાય ગયું કે આંતરડુ ક્યાક ફાટી ગયું છે અને સાથે સાથે બીજા કોઈક અંગમાં પણ ઈજા હોઈ શકે .સોનોગ્રાફીમાં તો પેટમાં લોહી છે એટલું જ ખબર પડે .સિટી સ્કેન કરી શકાય એટલું સ્ટેબલ પેશન્ટ પણ નહતું .
એના પપ્પાને બધુ સમજાવી ઓપરેશનમાં લીધું અને મોટું આંતરડુ -caecum અડધું ફાટી ગયેલું !અને પેટમાં લોહી અને સંડાસ બેય ભરાયેલા !!આંતરડુ ફાટે એટલે એમાથી સંડાસ તો લીક થવાનું અને સાથે આંતરડામાં લોહી પૂરું પાડતી ધમની -શિરાઓં પણ ફાટી હોય એટલે લોહી પણ એમાં ભળવાનું !
સામાન્ય રીતે આવા પેટની ઇજામાં નાનું આંતરડુ ફાટતું હોય છે !!જવલ્લે મોટું આંતરડુ પણ ફાટે છે .
ખેર ઓપરેશન થઈ ગયું છે .દર્દીની હાલત સ્ટેબલ છે .૫-૬ દિવસ પછી ઓવરોલ કંડીશન ખબર પડશે .

અહીં વાત એટલી શીખવાની કે બાઈક - ટુ વ્હીલર ધીમા ચલાવવા ! હેલ્મેટ પહેરવું !!આપણા માં બાપ આપણી ઘરે રાહ જોતા હોય છે અને આપણને ભલે એમની ચિંતા કરવી ન ગમે પણ , એમને ક્યાક ડર છે આપણી સલામતીનોં ,એટલે જ એમને હમેશા આપણી ચિંતા થતી હોય છે .

શારીરિક ,માનસિક ,સામાજિક,આર્થિક કે કોઈ પણ જાતના 'અકસ્માત' થી તમો અને તમારા પરિવારજનો દુર રહે અને સર્વેનુ નવું વર્ષ 2024 શુભ રહે ❤
-ડૉ.સ્મિત મહેતા

યોગાનુયોગ એટલે શું ? Law of attraction એટલે શું ? આમતો આપણી રોજબરોજની લાઇફમા આવું ઘણી વાર બનતું હોય છે .ઘણી વાર એવા અનુભ...
24/09/2023

યોગાનુયોગ એટલે શું ? Law of attraction એટલે શું ? આમતો આપણી રોજબરોજની લાઇફમા આવું ઘણી વાર બનતું હોય છે .ઘણી વાર એવા અનુભવ થાય કે આપણને જાણે એવુ લાગે કે કોઈ અદ્રશ્ય શક્તિ જ કામ કરી રહી છે જે આપણને જોઈ રહી છે અને એટલે આ ઘટના ઘટી .

ગણપતિ ઉત્સવનો માહોલ ચાલે છે એટલે ક્યાક ને ક્યાક આમંત્રણ મળતું હોય.ક્યાક જઈ શકીએ ક્યાક નહી .મારા વાઈફ પ્રિયંકા ઘણાને યોગ કરાવવા ઘરે જતાં હોય છે .યોગ એ ધીમે ધીમે રોજિંદી જીવન શૈલીમા એક અગત્યનુ ઘટક બની રહ્યું છે એમાં ના નહી .લોકોની યોગ પ્રત્યેની જાગ્રુતતા પણ વધી રહી છે .બધા માટે યોગ ક્લાસમા જવું શક્ય નથી અને ઓનલાઈન ક્લાસમા એવી મજા આવે નહી .
તો વાત એમ છે કે એ જેમના ઘરે યોગ કરાવવા જાય છે એમને ત્યાં થી એવો ખાસ આગ્રહ હતો કે તમે અને તમારા હસબન્ડ અવશ્ય આવજો .
મને બઉ ખાસ ઇચ્છા હતી નઈ .અને ઇમરજન્સીનો દિવસ હતો એટલે સાંજે એક મેજર ઓપરેશન પણ કદાચ લેવું પડે એવુ હતુ .
તો મે તો ના જ પાડી હતી કે તું જજે મને નહી ફાવે .
થયુ એવુ કે પેલુ ઓપરેશન પોસ્ટપોન્ડ થયુ .
વરસાદ શરૂં થયો અને પ્રિયંકા તૈયાર બેઠી હતી ને કહે કે વરસાદ પડે છે તો હું રેનકોટ પહેરી ને જઉં છુ .
મને એકદમ થયુ કે આવા વરસાદમા ..
એકદમ હું ઊભો થઈ ગયો.કહ્યું ચાલ આપણે બેય જતાં આવીએ .

ત્યાં ગયા .ગણપતિના દર્શન કર્યા .આરતી કરી .
જેવા બહાર પ્રસાદ લેવા આવ્યા કે ત્યાં જમવાનું પીરસનાર એકદમ ઉત્સાહ ભેર બોલ્યો !!
ઓહ સ્મિત સાહેબ !! તમને મે હમણાં બે ત્રણ દિવસ પહેલા જ જોયા હતા .પ્રિયંકા સામે જોઈને કહે સ્મિત સાહેબ અને ફિરદૌસ સાહેબ હતા તો હું બચી ગયો છુ . હું થોડું હસ્યો અને કીધુ કે શું ઓપરેશન કર્યુ હતુ તમારુ ?અરે સાહેબ ૭ વર્ષ થઈ ગયા .એમ કહેતા એમણે એમનું ટી
શર્ટ ઊંચું કરીને ઘા દેખાડ્યા ! અપેંડિક્સ અને લેપ્રોટોમી બેય scar હતા .અને ત્યાંજ ભાઈ પ્રિયંકા સામે જોતા કહે સાહેબે મારું બઉ ડ્રેસિંગ કર્યુ છે .દબાવી દબાવી ને ડ્રેસિંગ કરતા ,એટલું દુખાડતા ! હું હસ્યો ત્યાં જ પ્રિયંકા કહે પણ તમારા સારા માટે જ ને ? ત્યાં તો ભાઈ એ મારી પાસે ડિશ મુકવીને મારા હાથ ખેચી પ્રણામ કરવા લાગ્યા કે આ બે સાહેબો ના હોત તો ..
સાહેબ તમે નઈ માનો હમણાં થોડા દિવસ પહેલા મને પેટમા દુખાવા આવ્યું હતુ .તો સર ટી મા આવ્યો હતો ત્યારે તમને તાત્કાલિક સારવારમા જોયા હતા .મને થયુ કે સ્મિત સાહેબ જ લાગે છે પણ બાટલો પૂરો થયો અને મળવા આવું એ પહેલા તમે નીકળી ગયા હતા .
અને આજે તમે જ અહીં મળી ગયા .
તમે હજુ ભાવનગર જ છો ? કેમ અમદાવાદ ન ગયા ?( એ દાખલ હશે ત્યારે મારી બોલી પરથી એવી કોઈ ચર્ચા થઈ હશે કે હું અમદાવાદનો છુ )
મે કીધુ અત્યારે તો ભાવનગર જ જિન્દાબાદ છે .
હવે પેટમા કેવું છે ? એમ તો હવે સારું જ છે .પણ તો પણ એક વાર ઓપીડીમા આવી ને દેખાડી જજે તપાસી લઈશું ને એક્સ રે સોનોગ્રાફી પણ કરવી દઈશું .હજુ તમે ફિરદૌસ સાહેબ જોડે જ છો ?મે કીધુ હા હો ! તું આવજે ને આપણા વારા મા એટલે એમને ય મળી લેવાશે !

વાત સાવ સામાન્ય લાગી શકે પણ આ પાછળ કેટલા પરિબળો કામ કરી ગયા ? એમનું પેટમા દુઃખવું , મને મળવા આવવું .ન મળી શકાયું .
મારું ઓપરેશન postponed થવુ.વરસાદ આવવો ! અચાનક મારું ત્યાં જવું અને એ ભાઈ નુ મળવું !
લાગે ને કોઈ અદ્રશ્ય શક્તિ જાણે આ પાછળ કામ કરી રહી હોય?

આવા ઘણા ઓપરેશનો કરી ચૂક્યા હોય એટલે બધા દર્દી ના ઓપરેશન યાદ હોવા તો શક્ય નથી સિવાય કે રજા કાર્ડ વાંચો .પણ આ દર્દી નુ ઓપરેશન એટલે યાદ છે કે મારી સર્જીકલ કારકિર્દીનુ પહેલું જટિલ ઓપરેશન હતુ .
બહારથી ઓપન અપેંડિક્સનુ ઓપરેશન કરીને થોડા દિવસ બાદ અહીં આવ્યું હતુ ! અને એટલે એક એનો ચેકો હતો અને બીજો ચેકો અમે પેટ વચ્ચે થી ખોલ્યું એનો હતો (laparotomy )
એપેન્ડીક્સ જ્યાં થી નીકળતું હોય એ મોટાં આંતરડાનો ભાગ સડી ગયો હતો અને એટલે આખો એ ભાગ કાપીને કાઢવો પડ્યો હતો !
આવા મેજર ઓપરેશનમા શરૂં શરૂંમા ફિરદૌસ સાહેબ ની સલાહ મુજબ જ આગળ વધતા હોય એટલે એ પણ આવ્યા હતા .
અને quadrucolectomy કર્યુ હતુ .ભયંકર રસી વાળા અને ચોંટેલા આંતરડા હતા !
એટલે આવા દર્દીઓમા ટાંકા ઘણી વાર પાકે અને એટલે આમનું ડ્રેસિંગ લાંબુ ચાલ્યું હતુ .આમતો ડ્રેસિંગ રેસિડન્ટ કરતા હોય પણ મને એવી શરૂંમા આદત હતી કે બધા મેજર ઓપરેશનના ડ્રેસિંગ હુજ રાઉન્ડ મા કરતો ! એટલે એને હજી યાદ છે કે સાહેબ બહુ દુઃખવતા !
ખેર માને તો જાણે ગણપતિ ઉત્સવ એક જ દિવસમા બે બે વાર ઉજવાય ગયો એવુ લાગ્યું !
અને મારા કરતા પ્રિયંકા માટે આવું પહેલી વાર અનુભવ થયો હશે એને પણ આજે લાગ્યું હશે કે સ્મિત લખે છે બધુ સાચે સાચું જ લખે છે !
-ડૉ.સ્મિત મહેતા

Address

Bhavnagar

Opening Hours

Monday 9am - 5pm
Tuesday 9am - 5pm
Wednesday 9am - 5pm
Thursday 9am - 5pm
Friday 9am - 5pm
Saturday 9am - 5pm

Website

Alerts

Be the first to know and let us send you an email when Dr.Smit Mehta posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share

Category