11/03/2026
Gujarat Samachar – Shatdal – Vedana Samvedana Column
સમય સાથે જીવનમાંથી થતું વિમોચન
- વેદના-સંવેદના- મૃગેશ વૈષ્ણવ
*****************
રીટાયરમેન્ટના આ સમયમાં તમે જે હોદ્દા પર હતાં અને તમારો જે માન મરતબો અને અહંકાર હતો એ છોડી અને તમારા વ્યવસાયે તમને આપેલી ઓળખથી પર જઈને તમારે ફરીથી તમને પોતાને ઓળખવાનો પ્રયાસ કરવો પડે છે
*****************
જીવન પરિવર્તનશીલ છે. માણસ જન્મે છે ત્યારથી મૃત્યુ સુધી એ વિવિધ ભૂમિકાઓ ભજવે છે. ક્યારેક સંતાન તરીકેની, ક્યારેક વિદ્યાર્થી તરીકેની, ક્યારેક વ્યવસાયી કે નોકરી કરતા વ્યક્તિ તરીકેની, ક્યારેક માતા અથવા પિતા તરીકેની તો ક્યારેક મિત્ર તરીકેની. આ પ્રત્યેક ભૂમિકા જીવનનો એક આહ્લાદક આનંદ લઈને આવે છે અને પછી જેમ જેમ ઉંમર વધતી જાય છે તેમ તેમ જીવનમાં કેટલીક વસ્તુઓ અને કેટલીક ભૂમિકાઓ ધીરેધીરે આપણાથી દૂર થતી જાય છે. જીવનમાં આપણે જે ભૂમિકા ભજવવામાં પાવરધા થઇ ગયા હોઈએ એ ભૂમિકા આપણે છોડવી પડે કે આપણા હાથમાંથી ખૂંચવાઈ જાય એવો સમય આવે છે. આ સમયે હૃદયને એક ઝાટકો જરૂર લાગે છે. ક્યારેક ખાલીપણું અને એકલતા પણ લાગે છે. પરંતુ આમાંની કેટલીક ભૂમિકાઓનો બદલાવ એ આપણે માની લઈએ છીએ એવી દુ:ખદ ઘટના હોતી નથી. ક્યારેક એ જીવનનો સામાન્ય ક્રમ, સામાન્ય નિયમ કે પછી બદલાતા સમયની માંગ હોય છે.
સૂર્ય ઉગે છે, મધ્યાહને પહોંચે છે અને સાંજ પડયે આથમી જાય છે. માનવજીવનમાં પણ આવી જ અવસ્થાઓ આવે છે. જ્યારે વ્યક્તિનો ઉદય થાય છે ત્યારબાદ યશ, કારકિર્દી, માનમરતબો, ધન દોલત બધું મેળવવાના મધ્યાને પહોંચે છે અને પછી ધીમે ધીમે જીવનની સંધ્યા આવે છે. જેમાં માણસ પોતાની ઓળખ, માન-સન્માન, સંબંધો, જવાબદારીઓ અને ભૂમિકામાંથી ધીરેધીરે દૂર થતો જાય છે.
જિંદગી જીવવાથી કે માનવજીવનમાંથી આપણને દૂર લઇ જતી આ અવસ્થાઓને આપણે ઓળખવી પડે, સ્વીકારવી પડે અને તેને અનુરૂપ થવું પડે.
સૌપ્રથમ કામની જગ્યાએથી રીટાયર્ડ થવાની અવસ્થા આવે છે. જે સ્થળ તમારું કાર્યક્ષેત્ર રહ્યું હોય, જ્યાં તમારા એકી અવાજે સોંપો પડી જતો હોય એ સ્થળ પર તમે શિક્ષક હોવ, પ્રિન્સીપાલ હોવ, પ્રોફેસર હોવ કે સરકારી ઉચ્ચ હોદ્દા પર હોવ. એ સ્થળ તમને ૬૦ વર્ષની આસપાસ રીટાયર્ડ કરી દે છે. તમે ભલે ગમ્મે તેટલા મહત્વપૂર્ણ હોવ, તમે અત્યંત કુશળ અને સન્માનિત વ્યક્તિ હોવ, તમારી બુદ્ધિમત્તા અને બલિદાનથી તમે તમારા એ ક્ષેત્રને આગવું યોગદાન આપ્યું હોય તો પણ નિવૃત્તિની ઉંમર આવે ત્યારે તમને નિવૃત્ત કરી દેવામાં આવે છે. મોટા ભાગના દેશોમાં આ અવસ્થા ૫૮ થી ૬૨ વર્ષ સુધીની હોય છે. આજના જમાનામાં ફિટનેસનાં અને તંદુરસ્તી સાચવવાના આયામો વધી ગયા છે ત્યારે તમને એવું સહેજ પણ લાગે કે આ કામ કરવા માટે હવે હું જેટલો ફીટ છું અને મેચ્યોર છું એટલો આની પહેલા ક્યારેય નહતો. છતાં પણ એક દિવસ તમારું સ્થાન કોઈ બીજી વ્યક્તિ લઇ લે છે. અને ધીમે ધીમે એ સ્થળમાંથી, એ ક્ષેત્રમાંથી અને એ સીસ્ટમમાંથી તમારું નામ ભૂસાવા લાગે છે.
કેટલાક સંવેદનશીલ માણસો આ સમયે પોસ્ટ રીટાયરમેન્ટ ડીપ્રેશન અનુભવે છે. ક્યારેક આ પ્રકારના ડીપ્રેશનને હળવીથી ભારે સારવાર પણ આપવી પડે છે. પરંતુ આખરે વ્યક્તિએ એક સત્ય સમજવું પડે છે કે આ તેમને થતો કોઈ અન્યાય નથી પણ આ કુદરતનો ક્રમ છે. સમયનાં ચક્રનો આ નિયમ છે. એટલે એને સ્વીકારવો જ રહ્યો. રીટાયરમેન્ટના આ સમયમાં તમે જે હોદ્દા પર હતાં અને તમારો જે માન મરતબો અને અહંકાર હતો એ છોડી અને તમારા વ્યવસાયે તમને આપેલી ઓળખથી પર જઈને તમારે ફરીથી તમને પોતાને ઓળખવાનો પ્રયાસ કરવો પડે છે અને અતિવ્યસ્તમાંથી સાવ સરળ થઇ ગયેલા જીવનમાં આનંદ શોધવો પડે છે.
એટલે એક વાત નક્કી છે કે જીવનમાં એવો એક દિવસ ચોક્કસ આવશે જ્યારે તમારા કામની જગ્યા તમને દૂર કરી દેશે. જે લોકો નોકરી નથી કરતાં એ લોકોને રીટાયરમેન્ટનો આ અવસર આવતો નથી અને તેઓ શરીર અને મન સાથ આપે ત્યાં સુધી ગમે તેટલી ઉંમર સુધી કામ કરી શકે છે. કેટલાક લોકો રીટાયર્ડ થયા પછી પણ અન્ય વૈકલ્પિક વ્યસ્તતા શોધી લે છે અને જીવનમાંથી દૂર થવાની આ અવસ્થાને શરીર થાકી જાય અને નાદુરસ્ત ન થાય ત્યાં સુધી લંબાવી શકે છે. કારણ કામમાં વ્યસ્તતા વ્યક્તિનું આયુષ્ય ચોક્કસ વધારી શકે છે.
સમાજમાંથી ધીમે ધીમે દૂર થવાની બીજી અવસ્થા સામાન્ય રીતે ૭૦ વર્ષની આસપાસ શરુ થાય છે. આ સમય દરમ્યાન મોટે ભાગે એવું બને છે કે જે લોકો તમારા ઉપર નિર્ભર હતાં, એક સમયે તમારી સલાહ મેળવવા ઉત્સુક હતાં, નાનામાં નાની વાતની તમારા સાથે ચર્ચા કરી અને નિર્ણય લેવામાં માનતા હતાં એ લોકો ધીમે ધીમે તમારાથી દૂર થતા જાય છે અને તમારી વિચારધારાથી આગળ વધવાની યોજનાઓ ઘડવા માંડે છે. કુટુંબમાં, સંસ્થાઓમાં અને સમાજમાં આ નવા લોકો ચોક્કસ આવે છે. તેઓ નવી વિચારધારા લઈને આવે છે. એ લોકોને હવે તમારી હાજરીની એટલીબધી જરૂર રહેતી નથી. તમને ક્યારેક એવું લાગે છે કે એક સમયમાં જે કુટુંબ, જે સંસ્થા જે સમાજ તમારું Brainchild હતું એમાંથી નવા લોકોએ તમને ચા માંથી માખી કાઢી નાંખે
એમ દૂર કરી દીધા છે. પરંતુ એક વાત સમજી લેવાની છે કે સમય સાથે સલાહ, સત્તા અને વિચારધારાનું કેન્દ્ર પણ બદલાય છે. આ તબક્કે દુ:ખી થવાની જરૂર હોતી નથી. પરંતુ આ સમયને પણ સ્વીકારી લેવો પડે છે અને આ સમય શાંતિથી આનંદ માણવાનો સમય છે એ સમજણ વિકસાવી નવા શોખ અને નવા સંબંધો ઉભા કરવા પડે છે. એટલુંજ નહીં પણ આ સમયે આંતરિક વિકાસ તરફ ધ્યાન આપવાનો એક ઉત્તમ સમય હોય છે.
ત્રીજી અવસ્થા છે પરિવારની જરુરિયાતોમાં ઘટાડો. સામાન્ય રીતે આ અવસ્થા ૮૦ વર્ષની આસપાસ દેખાય છે. જે બાળકો એક સમયે તમારા ઉપર નિર્ભર હતાં. તમારી આવક, ઓળખાણ અને ટેકાથી આગળ વધ્યા હતાં અને નાનીનાની વાતમાં તમારી સલાહ અને માર્ગદર્શન માંગતા હતાં તેઓ પણ પોતાના જીવનમાં ગોઠવાઈ જાય છે. એમને પોતાના સંતાનોની અને પરિવારની જવાબદારીઓ અને વ્યસ્તતાઓ હોય છે. જેવી રીતે તમે તમારી જાતને પ્રેમ કરો છો અને તમારું ધ્યાન રાખો છો એવી રીતે તેઓ પણ તેમની જાતને પ્રેમ કરવા લાગે છે અને પોતાની જાતનું ધ્યાન રાખવા લાગે છે. હવે રોજબરોજનાં આયામોમાં એમને તમારી જરૂર હોતી નથી. આજના આ ડીજીટલ યુગમાં કુટુંબો છુટા પડતા જાય છે. વડીલોએ આ ઉંમરે એવું પણ કહેવું પડે છે કે તમે તમને મનફાવે એમ કરો. મારે કોઈ જંજાળમાં પડવું નથી.' આ વાક્ય અપેક્ષાની સામે હારેલા માણસના મનનું હોય છે. સમય સામે લડી ઝઘડીને પોતાનો હક માંગવાની કે ઝૂંટવી લેવાની હવે શક્તિ નથી એટલે તેઓ શાંતિથી એક ખૂણે બેસી રહેવાનું પસંદ કરે છે. આ ચુપ્પી તેમની પસંદગી નથી પણ એક મૌન વ્યથા છે. જે આધુનિક પેઢીનાં હેડફોન ચીરીને તેમના કાન સુધી પહોંચતી નથી.
જીવનનો આ કઠિન તબક્કો છે. પરંતુ આ સમયે અપેક્ષા જેટલી ઓછી રાખી અને તમારી લાગણી અને પ્રેમને બીજાઓ માટે બંધન નહીં પણ આશીર્વાદરૂપ બનાવી લો તો આ તબક્કે પણ ખુશીથી જીવન જીવી શકશો. આ ઉંમરમાં અવગણના અનુભવતા વડીલો વિવિધ શારીરિક, મનોશારીરિક અને માનસિક સમસ્યાઓથી પીડાય છે પરંતુ વ્યસ્ત પેઢી એમને એક કેર ટેકર શોધી આપે છે, કારણ તેમને જોઈતું ધ્યાન અને સંભાળ આપવાનો તેમની પાસે સમય નથી. સામાન્ય રીતે લોકો એવું માને છે કે ઉંમર વધવાની સાથે વ્યક્તિની લાગણીઓ બુઠ્ઠી થતી જાય છે અને કુટુંબીજનો સાથેનો લગાવ ખતમ થતો જાય છે. પરંતુ આ સાચું નથી. હકીકતમાં એ લગાવ ખતમ નથી થતો પણ સામેથી મળતી ઉપેક્ષા વ્યક્તિને પોતાની અંદર સમેટાઈ જવા માટે મજબુર કરે છે. જ્યારે વડીલોને એવું લાગવા માંડે છે કે તેમના શબ્દોની કોઈ કિંમત નથી અને તેમની સલાહને દખલગીરી માનવામાં આવે છે ત્યારે લડીને હક મેળવવાને બદલે ચુપકીદી સેવવાનું પસંદ કરે છે. આજના આ ડીજીટલ યુગમાં વ્યક્તિ એકલી પડે છે ત્યારે બંધરૂમને પોતાનો કિલ્લો બનાવી વ્હોટસએપ અને સોશીયલ મીડિયામાં વ્યસ્ત થઇ જાય છે. કારણ તેમને ખાતરી થાય છે કે હવે તેમને સાંભળનારું કોઈ નથી. મોબાઈલ તેમના માટે દુનિયાથી કપાઈને પોતાની એકલતા છુપાવવાનું એક સાધન બની જાય છે.
હું એવું કહેવા માંગતો નથી કે સંયુક્ત કુટુંબની વ્યવસ્થા હજી પણ ચાલુ રહેવી જોઈએ પણ એટલું ચોક્કસ કહેવા માંગુ છું કે સંયુક્ત લાગણીઓ તો જાળવવી જ જોઈએ. કારણ વધતી ઉંમર એ સૂર્યાસ્ત જેવી હોય છે. આ ઉંમરે જો પરિવારનાં પ્રેમ અને હૂંફનું તેજ મળે તો જીવન જીવવા જેવું લાગે છે. બાકી એકલતાનાં ઘનઘોર વાદળો હોય તો જીવન અંધકારમય બની જાય છે.
ચોથી અવસ્થા જીવનમાંથી શાંતિપૂર્ણ વિદાયની છે. જીવનના આ અંતિમ વર્ષોમાં શરીર ધીમે ધીમે થાકી જાય છે. યાદશક્તિ ઓછી થતી જાય છે. જુના મિત્રો જગત છોડીને ચાલ્યા જાય છે. લોકો સાથેનો સંપર્ક પણ ઘણો ઓછો થવા લાગે છે. પણ આ અવસ્થા ડરવાની અવસ્થા નથી કે ટીકી ટીકીને મોતની સામે જોયા કરવાની પણ અવસ્થા નથી. જેમ સૂર્ય ઉગે છે અને સાંજના સમયે આથમે છે તેમ આ સમય પણ સુંદર સાંજનો હોય છે. આ સમયે સૌથી મહત્વની વસ્તુ છે શાંતિ, સ્વીકાર અને કૃતજ્ઞાતા. તમે આજસુધી જે કંઈ મેળવ્યું છે. તમારા સ્નેહીજનો એ તમને જે કંઈ આપ્યું છે એ બદલ કૃતજ્ઞાતા અનુભવો. જો તમે જીવનમાં અપેક્ષાઓ ઓછી કરી હોય અને પ્રેમથી જીવન જીવ્યા હોવ તો અંતિમ અવસ્થા પણ ભયજનક નહીં પણ શાંત અને સંતોષપૂર્ણ બને છે. જીવનનાં આ આખરી તબક્કાની ભૂમિકા પણ રસપ્રદ રીતે ભજવવી એ આપણા સૌનું કર્તવ્ય છે.
જીવનનાં આ ચારેય તબક્કાઓ આપણને ચોક્કસ પાઠ શીખવીને જાય છે. પ્રથમ તબક્કો શીખવે છે કે અહંકાર છોડવો. બીજો તબક્કો શીખવે છે કે સમયને સ્વીકારવો. ત્રીજો તબક્કો શીખવે છે કે અપેક્ષાઓ ઓછી રાખવી. અને ચોથો તબક્કો શીખવે છે કે શાંતિથી વિદાય લેવી.
ન્યુરોગ્રાફ :-
જીવનની સૌથી મોટી સિદ્ધિ શાંતિથી જીવવા અને શાંતિથી જવામાં છે.