28/01/2026
Gujarat Samachar – Shatdal – Vedana Samvedana Column
2026નાં સંકલ્પસૂત્રો (2)
- વેદના-સંવેદના- મૃગેશ વૈષ્ણવ
*********************
જીવનમાં ક્યારેય એ બધું નથી મળતું જે તમે ઈચ્છો છો પરંતુ એ મળે છે જેને તમે યોગ્ય હોવ છો
*********************
( ગતાંકથી આગળ )
૨૦ ૨૬માં અમલમાં મુકવા જેવા પાંચ સંકલ્પ સુત્રોમાંથી બે ગોલ્ડન રૂલ્સ પેનલ્ટી સિસ્ટીમ અને પહેલા સેક્રીફાઈસ અને પછી સકસેસની ચર્ચા આપણે ગતાંકમાં કરી ગયા હવે વાંચો આગળ.
૩. ગોલ્ડન રુલ - ૩ : - સંગતનું ધ્યાન રાખવું. કારણ સંગતની તમારા ઉપર બહુ જ મોટી અસર પડે છે. વિરાટ કોહલીને તો તમે બધાં જ ઓળખો છો. એમને કોઈકે પૂછયું કે શું તમે પાઠપૂજા કરો છો? ત્યારે એણે ઉડાવ જવાબ આપ્યો હતો કે શું હું તમને પાઠપૂજા કરવાવાળો લાગુ છું? પણ તમે જ હવે નાના મોટા સ્ક્રીન પર એ જુઓ છો કે અનુષ્કા શર્મા સાથે એના લગ્ન થયાં અને સંગત બદલાઈ ગઈ. હવે એ ભાઈ સાહેબ થોડા થોડા દિવસે પ્રેમાનંદજી મહારાજનાં ચરણોમાં નતમસ્તકે હાથ જોડેલા દેખાય છે. આ છે સંગતની અસર.
ખોટા માણસની પાછળ ચાલશો તો ખોટી જગ્યાએ પહોંચશો અને સાચા માણસની પાછળ ચાલશો તો સાચી જગ્યાએ પહોંચશો. તો આ સમગ્ર વર્ષ તમારી જાતને દુર્ગંધ મારતા અને નકારાત્મક લોકોથી દૂર રાખજો. જો તમને ખબર હોય કે કોઈ એક વ્યક્તિમાંથી દૂર્ગંધ આવી રહી છે તો શું તમે એને ગળે લગાડશો? શું તમે એક ગંદા પાણીનાં નળ કે જેની આસપાસ ગંદકી હોય એમાંથી પાણી પીશો? જવાબ હશે, ના. ક્યારેય નહીં. શું તમે ગંદી જગ્યાએ બેસીને ભોજન કરવાનું પસંદ કરશો?, ના ક્યારેય નહીં. તમે ગંદા યુરીનલમાં પેશાબ કરવા પણ જશો? દા.ત. તમે એરપોર્ટ કે સિનેમાઘરનાં ટોયલેટમાં પહોંચી ગયા અને ત્યાં એક ગંદુ ઉભરાતું યુરીનલ છે તો શું તમે ત્યાં પેશાબ કરવા જશો?, ના એને છોડીને કોઈક બીજા યુરીનલ તરફ જશો. આમ કોઈપણ માણસ ગંદી વસ્તુને કોઈ જ પસંદ કરતુ નથી. તો તમે એવું કેવીરીતે ધારી લો છો કે સફળતા નકારાત્મકથી ભરેલા ગંદા માણસની સોબતથી તમને મળશે?
યાદ રાખો, સફળતા હંમેશા સારી જગ્યાએ જ રોકાય છે. તમે તમારા ઘરમાં ગમે તેટલું સુંદર મંદિર બનાવો. કોઈ જાહેર ધર્મસ્થળ પર મોટું દાન આપી તમારા નામની તક્તી લગાવો કે તમે રોજબરોજ લોકોને દાન આપતા રહો પણ જો તમારા મનમાં નકારાત્મક વિચારો ભર્યા હશે, ગંદકી ભરી હશે તો તમારી કોઈ પ્રગતિ નહીં થાય. તમારી પ્રગતિ ત્યારે જ થશે જ્યારે તમારું મન અંદરથી શુદ્ધ હશે અને તમારી આસપાસનું વાતાવરણ માત્ર હકારાત્મકતાથી ભરેલું હશે. હંમેશા એવા લોકોની સાથે રહો જે ભવિષ્યની વાત કરે છે, નહીં કે ભૂતકાળની. એવા લોકોની સાથે રહો જેઓ નવા નવા વિચારો વિશે વાત કરે છે. નહિ કે લોકોની કુથલી કરે. એવા લોકોનો સાથ શોધો જેમના માત્ર શરીર પરથી નહીં પણ વિચારોમાંથી પણ સુગંધ આવતી હોય.
સંગતથી જ માણસનું ભવિષ્ય ઘડાય છે. તો ૨૦૨૬માં દુ:ખી અને પોતાને કમનસીબ કે જમાનાનો શિકાર એટલેકે વિકટીમ સિન્ડ્રોમથી પીડાતા લોકોથી દૂર રહેજો. કારણ કે એવા લોકો એમના દુ:ખથી જ તમને મારી નાખશે. હકારાત્મક અને હસમુખા લોકો સાથે રહેજો. તો આ વર્ષ તમારા જીવનનું સૌથી બહેતર વર્ષ નીવડશે. આ વર્ષ આપણા માટે ખુશીઓ લઈને આવશે એની માત્ર પ્રાર્થના જ નથી કરવાની પણ એને લાયક પણ બનવાનું છે. કારણ જીવનમાં ક્યારેય એ બધું નથી મળતું જે તમે ઈચ્છો છો પરંતુ એ મળે છે જેને તમે યોગ્ય હોવ છો. આ વર્ષ ઈચ્છાઓ કરતાં યોગ્યતાઓ ઉપર ધ્યાન વધારે આપો. કારણ માત્ર ઈચ્છાઓ રાખવાથી કામ નહીં થાય. તમે દિવાલ સાથે માથું પટકીને ખૂનથી લથપથ થઇ જશો તો પણ દિવાલ તમને રસ્તો નહીં કરી આપે.
૪. ગોલ્ડન રુલ- ૪ : જાત પર દયા ક્યારેય ન કરશો. આ ચોથો ગોલ્ડન રુલ નવા વર્ષે સફળતા મેળવવા માટેનો છે.
શું તમને તમારા પર દયા આવે છે?
શું તમને એમ થાય છે કે મારું તો નસીબ જ ખરાબ છે?
શું તમને એવું લાગે છે કે મારી મુશ્કેલીઓ બહુ ઝડપથી વધી રહી છે?
શું તમને એવું લાગે છે કે મારી પીડાને સમજી શકે એવું કોઈ નથી?
શું તમને એવું લાગે છે કે મને કોઈ સમજી શકતું નથી ?
શું તમને એવું લાગે છે કે બીજાનું જીવન કેટલું હર્ષોઉલ્લાસથી ભરેલું છે અને હું ખૂબ પાછળ રહી ગયો છું ?
શું તમને એવું લાગે છે કે હું હંમેશા કંઇક સારું કરવાની ઈચ્છા રાખું છું અને મારી સાથે ખોટું જ થાય છે ?
જો મારા આ બધા પ્રશ્નોનો જવાબ 'હા' છે તો તમે તમારી જાત પર દયા ખાવ છો અને આ આત્મદયાનું કૃત્ય તમને બરબાદ કરી શકે છે અને તમારા આ વિચારોજ એક દિવસ તમારા વ્યવહારમાં બદલાય જાય છે. તમે તમારા વિશે જે વિચારો છો બસ એવુંજ થવાનું શરુ થઇ જાય છે. યાદ રાખો, પોતાની જાતને હંમેશા સમય અને સંજોગોનો શિકાર માનવો એ કોઈપણ મનુષ્યનો સૌથી મોટો દુર્ગુણ છે. આ દુર્ગુણને બને એટલો જલ્દી હટાવી દો.
ક્યારેક આત્મદયા વ્યક્તિના મન પર એટલી બધી સવાર થઇ જાય છે કે એને લાગવા માંડે છે કે બધાજ મારો ઉપયોગ કરે છે. આ વર્ષે જો સફળ થવું હોય તો આવું ક્યારેય ન વિચારશો. તમે તમારી વિચારધારા બદલશો અને તમારું વલણ બદલશો તો તમારું જીવન પણ બદલાશે. લોકો એમની દુ:ખ ભરેલી કહાની એટલું મીઠું મરચું ભભરાવીને કહે છે કે જેથી એમને સહાનુભુતિ મળે. કોઈ એમને મદદ કરે. આવું કરતાં આવા લોકો એ સત્ય ભૂલી જાય છે કે એમની આ આદત તમને અંદરથી બેહદ કમજોર બનાવતી જાય છે. યાદ રાખો, દુ:ખનાં રોદણા રોવા
એ માત્ર સમયની બરબાદી છે અને આવું કરવાથી પરિસ્થિતિ ક્યારેય બદલાતી નથી.
મેં એકવાર જોયું હતું કે એક શોપિંગ મોલનાં પાર્કિંગમાં એક સાથે બે ગાડી રીવર્સ લઇ રહી હતી એમાં બંને ગાડી અથડાણી. આ કારણે બંને ગાડીને થોડું ઘણું નુકશાન થયું. એક ગાડીમાંથી ડ્રાઈવર કૂદીને બહાર નીકળ્યો અને બરડા પાડતો બોલ્યો 'બસ હવે આજ બાકી રહી ગયું હતું. આમ પણ જિંદગીમાં કેટલીયે બબાલ ચાલે છે. ખબર નથી આજે સવારે ક્યાં મનહુસનો ચહેરો જોઇને નીકળ્યો હતો. સાલો આજનો દિવસ જ ખરાબ છે. માત્ર મારી સાથે જ આવું કેમ થાય છે.' એવામાં બીજી ગાડીનો ડ્રાઈવર હસતો હસતો ગાડીની બહાર આવ્યો અને બહુ જ શાંતિથી કહ્યું 'આપણે બહુ નસીબદાર છીએ કે મોટી દુર્ઘટનામાંથી આજે બચી ગયાં. કોઈને વધારે નુકસાન નથી થયું અને કોઈને કંઇ જ વાગ્યું નથી.' બંને સાથે એક જ ઘટના થઈ. બંનેએ એક જ ઘટનાનો અનુભવ કર્યો પણ બંનેની એ ઘટનાને જોવાની દ્રષ્ટિ જુદી જુદી હતી. એકે પોતાના નસીબને દોષ આપ્યો હતો તો બીજો પોતાને નસીબદાર ગણાવી રહ્યો હતો.
જિંદગી પણ કંઇક એવી જ છે. તમારી સાથે શું બની ગયું છે એ મહત્વનું નથી પણ તમે એ ઘટનાને કેવો પ્રતિસાદ આપો છો એ મહત્વનું છે. તમારી જીવનની દિશા તમારો આ પ્રતિભાવ જ નક્કી કરે છે. તમારી સાથે ઘટતી ઘટના 'અડધો ગ્લાસ ભરેલો છે કે અડધો ગ્લાસ ખાલી છે' એ ફિલોસોફી પર કામ કરે છે. વસ્તુ કેવી છે એ મહત્વનું નથી પરંતુ તમે એને કેવી રીતે જુઓ છો એ મહત્વનું છે. એટલું યાદ રાખો કે સફળ લોકો ક્યારેય પોતાની જાતની દયા ખાતા નથી. એ ક્યારેય રોતા નથી. તેઓ પ્રત્યેક પરિસ્થિતિને પોતાને માટે એક અવસર કે ભેટ સમજે છે. Nick Vujicic- નીક વુજીસીસ ને જુઓ. હાથ અને પગ વગરનો આ માણસ પૂરી દુનિયાને પ્રેરણા આપવા વિશ્વપ્રવાસ કરી રહ્યો છે. એ ઘણાં ગર્વથી કહે છે કે જિંદગી કેટલી ખુબસુરત છે. એને વિશાળતાથી ખુલીને જીવવી જોઈએ. તમારે એ કરવું જોઈએ કે જે ખૂબ મુશ્કેલ હોય. શૈબંનું ઉદાહરણ આપણને સમજાવે છે કે જિંદગીમાં ક્યારેય આત્મદયા ન રાખશો. ફૈબૌસ ભચગિ ક્યારેય ન ખેલશો.
૫. ગોલ્ડન રુલ : ૫. આ સંસારમાં તમારી છાપ છોડવાનો પ્રયત્ન કરો.
મિત્રો, જ્યારે આપણે પેદા થયા ત્યારે આપણું જીવન એક કોરા કાગળ સમાન હતું. તમારી મહેનત અને લગન એ કાગળમાં રંગ ભરતા ગયા. મૃત્યુ સમયે કાંતો એ કાગળ ખૂબ જ કિમતી હશે કાંતો રદ્દીમાં ફેંકવાને લાયક હશે. જીવન લોખંડના એક સળિયા જેવું છે. કોઈ એમાંથી ઘોડાની નાળ બનાવે છે જેની કિંમત એક હજાર રૂપિયા હોય છે તો કોઈ એમાંથી કીમતી સોઈ બનાવે છે જેની કિંમત ૧૦ હજાર હોય છે અને કોઈ એમાંથી ઘડિયાળની સ્પ્રિંગ બનાવે છે જેની કિંમત ૧ લાખ રૂપિયા હોય છે. તમારી કિંમત એ વાતથી નક્કી નથી થતી કે તમે શું છો? પરંતુ એ વાતથી નક્કી થાય છે કે તમારી ક્ષમતા તમારી જાતને શું બનાવવાની છે.
બાળકો માટે આપણે જ એક કુરાન છીએ જેને એ જીવનભર વાંચશે. આપણે જ એક વેદ કે પુરાણ છીએ જેને એ અનુસરશે. આપણે જ એ એક બાયબલ છીએ જેનો એ અનુભવ કરશે. એટલેકે આપણે જ એ એક માત્ર ધર્મ છીએ જેને એ અનુસરશે. આપણું જીવન એ બાળક માટે એક ચેતવણીરૂપ બનશે અથવાતો એક મશાલરૂપ બનશે. જો આપણે કોઈ માટે આધાર નથી બની શકતા તો કોઈ માટે સાંત્વનાં તો બની જ શકીએ છીએ. જો આપણે કોઈ સહાયતા નથી કરી શકતા તો કોઈને નુકશાન પહોંચાડવાથી તો બચી જ શકીએ છીએ. શક્ય છે કે એ આપણે સમસ્યાનું નિવારણ ન કરી શકીએ પણ સમસ્યાનું કારણ તો ન બનીએ. જો આપણે સ્પીડ વધારી શકતા નથી તો ઓછામાં ઓછો સ્પીડને અવરોધ તો ન કરીએ. પરેશાન માણસનાં માથાનાં દુ:ખાવાનું કારણ બનવા કરતાં એને માટે ઠંડક પહોચાડવાવાળો મલમ બની શકીએ તો સંસાર આપણને સર આંખો પર બેસાડશે. દર વર્ષે દરેકનું કેલેન્ડર તો બદલાય જાય છે પણ આ વર્ષે આપણી હાલત પણ બદલાઈ જાય એવું આત્મબળ આ પાંચ સૂત્રોમાંથી આપણને મળે જે તમારી જિંદગી બદલવાવાળું પુરવાર થાય એજ ઈશ્વરને પ્રાર્થના છે.
ન્યુરોગ્રાફ :
છોને હું ના કનક દિવડી, કોડિયું માટીનું થઇ
ઉજ્જવાળું કો ગૃહ ગરીબનું, તોયે મારે ઘણું છે.