Samvedana Happiness Hospital

Samvedana Happiness Hospital A centre par excellence in Psychiatry, Deddiction, child psychiatry & S*xual Health related problems We believe in minimum medicines maximum output.

“A HEALTHY YOU IS POSSIBLE WITH A HAPPY YOU”

The clinical roots of Samvedana Psychiatry track back to 1984 when psychiatric clinic was established at Relief Road by Dr Mrugesh Vaishnav. The current establishment originates from 16th October 1996. Since its inception the clinic has been serving the masses in field of psychiatry. We have been working seamlessly to cater clients suffering from various mental ailments, psychological issues, relationship stressors, youth problems, severe mental illness like bipolar Mood Disorder and Schizophrenia. We have a registered 9 bed indoor facility and psychiatric emergency round the clock. We also provide home visits in case of non co operative patients. In tune with time we have started Skype sessions for counselling/ Psychotherapy to clients abroad or at difficult to reach places. We cater to super speciality psychiatric services like, S*x and relationship Therapy, Deaddiction and Child Psychiatry. The clinic uses latest advances in the field of psychiatry either psychotherapeutic approaches or pharmacological management. Regular case meetings for complicated cases and individualized case based approach help in managing difficult to treat or treatment resistant psychiatric cases. Any ongoing medication is explained to patient and relatives and we refrain from polytherapy or practices least helpful to patients. Samvedana Psychiatry has been involved in many clinical studies in the past and have been recognized by highest of the audit agencies as the most efficient and ethical sites across the globe in field of clinical trials. We are involved in human behaviour research and modification activities. Through our Foundation “Samvedana Foundation” we have been regularly organizing CMSs, Public seminars, Lectures, Workshops and self help group meetings to make the masses aware about psychiatric illnesses and the possible outcomes and measures to prevent them. We have been associated in many school and college projects as well as corporate collaborations to maximize output among students and employees In their assigned tasks like exams or work performance. Regular free as well as low cost check up OPDs are set up on behalf of Samvedana Foundation to help the weaker sections of the society in a bid to make psychiatric treatment financially viable and prevent relapses of the disease. We encourage you to take a step forward and be a part of the Samvedana family and help us propagate out motto

25/03/2026

સંબંધોમાં સાચું કહીએ તો... - Dr Mrugesh Vaishnav

Gujarat Samachar – Shatdal – Vedana Samvedana Columnબાળક સમજાવવું એક કળા- વેદના-સંવેદના- મૃગેશ વૈષ્ણવ*******************...
25/03/2026

Gujarat Samachar – Shatdal – Vedana Samvedana Column

બાળક સમજાવવું એક કળા
- વેદના-સંવેદના- મૃગેશ વૈષ્ણવ

*************************
બાળકને કઈ પણ સમજાવતા પહેલા તે શું ઇચ્છે છે એ સમજવું અત્યંત આવશ્યક છે
*************************

બાળકો સાથે વાત કરવી એ માત્ર શબ્દો બોલવાની પ્રક્રિયા નથી. તે સમજણ, ધીરજ અને પ્રેમથી ભરેલી પ્રક્રિયા છે. ઘણીવાર માતા-પિતા અથવા શિક્ષકો ફરિયાદ કરે છે કે 'બાળક મારી વાત સમજતું નથી.' પરંતુ સાચો પ્રશ્ન એ છે કે શું આપણે બાળકની સમજણ મુજબ વાત કરી રહ્યા છીએ ?
આજે મોટાભાગના માતા-પિતા ઇચ્છે છે કે બાળક હંમેશા સીધી રેખામાં ચાલે, મોટા લોકોની દરેક આજ્ઞાનું પાલન કરે અને ક્યારેય વિરોધ ન કરે. પરંતુ આવા વિચારો ધરાવતા દરેક માતા-પિતાને એક સરળ પ્રશ્ન પૂછવો જોઈએ- શું તમે જ્યારે નાના હતા ત્યારે સંપૂર્ણ આદર્શ બાળક હતા ?
સામાન્ય રીતે આપણે દુનિયાને પોતાની આંખોથી અને પોતાની સમજ પ્રમાણે જ જોતા હોઈએ છીએ. આપણને ઘણીવાર એવું લાગે છે કે બીજાએ પણ આપણું કહેવુ જ માનવું જોઈએ. પરંતુ હકીકતમાં આપણે પણ ઘણી વખત બીજાનું કહેવું માનતા નથી.
પ્રસિદ્ધ માનસશાસ્ત્રી મેકડુગલએ માનવ સહજવૃત્તિઓ અંગેનો સિદ્ધાંત રજૂ કર્યો હતો. તેમના અનુસાર માણસ જન્મથી જ કેટલીક સહજ વૃત્તિઓ સાથે દુનિયામાં આવે છે. તેમાં પોતાની ઇચ્છા મુજબ વર્તવાની વૃત્તિ પણ સામેલ હોય છે. બાળક જન્મે છે ત્યારે તે સ્વતંત્ર સ્વભાવ લઈને આવે છે અને જેમ જેમ તે મોટું થાય છે તેમ તેમ તેનો સ્વભાવ, વિચારો અને સામાજિક સમજણ વિકસતી જાય છે.
આથી બાળકને સમજાવવું એ એક કળા છે. દરેક બાળક અલગ હોય છે. તેથી તેને સમજાવવાની રીત પણ અલગ હોવી જોઈએ. જ્યારે આપણે બાળકને એક સ્વતંત્ર અસ્તિત્વ તરીકે સ્વીકારીએ છીએ ત્યારે સમજાય છે કે તેની પોતાની માન્યતાઓ, રસ અને પસંદગી હોય છે.
એવા સમયે માતા-પિતાનું કામ બાળકને દબાવવાનું નહીં પરંતુ યોગ્ય રીતે સમજાવવાનું હોય છે. જો બાળક કોઈ સમાજવિરોધી કે નુકસાનકારક કામ કરે તો તેને પ્રેમપૂર્વક અને અસરકારક રીતે સમજાવવું જોઈએ. વાર્તાલાપ કરતી વખતે બાળકની ઉમર અને સમજણ ધ્યાનમાં રાખવી જોઈએ. બાળકને ઠપકો આપવાનો થાય ત્યારે પણ શબ્દો સકારાત્મક હોવા જોઈએ. તેને અપમાનિત કરવાની જગ્યાએ સુધરવા માટે પ્રેરિત કરવું જોઈએ. સાચો ઉછેર માલિકીનો વિષય નથી. પરંતુ માવજતનો વિષય છે. તેથી બાળકને સમજાવતાં પહેલા આપણે એ સમજવું જરૂરી છે કે બાળક શું વિચારે છે અને શું ઇચ્છે છે. બાળકને સમજાવવાની પ્રક્રિયા ઘણી વખત હિમાલય જેટલી ધીરજ માંગે છે. પરંતુ આપણે તરત પરિણામની આશામાં ઘણીવાર ધીરજ ગુમાવી દઈએ છીએ.
કિશોરાવસ્થામાં ખાસ સમજ જરૂરી : જ્યારે બાળક તરુણાવસ્થામાં પ્રવેશે છે ત્યારે તેને સમજાવવું વધુ નાજુક કાર્ય બની જાય છે. આ ઉંમરે સીધા ઉપદેશ કે કડક સલાહ ઘણીવાર અસરકારક રહેતી નથી. આવી સ્થિતિમાં માતા-પિતાએ પોતાના જીવનના અનુભવ શેર કરવા જોઈએ. બદલાયેલા સમય અને ભવિષ્યને ધ્યાનમાં રાખીને પરિસ્થિતિઓ સમજાવવી જોઈએ. આ રીતે બાળક સાથે સંવાદ વધુ અસરકારક બની શકે છે. બાળપણ-શીખવાનો અને ભૂલથી શીખવાનો સમય: બાળપણ એ શીખવાનો સમય છે. ભૂલો કરીને શીખવાનો સમય છે. બાળક દોડે, રમે, પ્રશ્નો પૂછે અને ક્યારેક ભૂલ પણ કરે- આ બધું તેના વિકાસનો સ્વાભાવિક ભાગ છે. જો બાળકને હંમેશા કડક નિયમોમાં બાંધી દેવામાં આવે તો તેની જિજ્ઞાસા અને સર્જનાત્મકતા ધીમે ધીમે ઓછી થઈ શકે છે.
બાળકની સમજણ મુજબ ભાષા વાપરો : બાળકોનું માનસિક વિકાસ અલગ અલગ સ્તરે થાય છે. મોટા લોકો જ શબ્દો સહેલાઈથી સમજી શકે છે તે બાળક માટે મુશ્કેલ હોઈ શકે છે. તેથી સરળ ભાષા, ટૂંકા વાક્યો અને જાણીતા ઉદાહરણોનો ઉપયોગ કરવો જોઈએ.
દૃષ્ટાંત : જો માતા બાળકને કહે કે 'તારે જવાબદારીપૂર્વક વર્તવું જોઈએ.' તો બાળક કદાચ તેનો અર્થ સમજશે નહીં. પરંતુ જો માતા કહે- 'રમ્યા પછી તારા રમકડાં પોતાની જગ્યાએ મૂકી દે,'તો બાળક તરત સમજી શકે છે કે તેને શું કરવું છે.
વાર્તા અને ઉદાહરણ દ્વારા સમજાવવું: બાળકોને વાર્તાઓ ખૂબ ગમે છે. વાર્તા દ્વારા આપવામાં આવેલી સમજણ લાંબા સમય સુધી યાદ રહે છે.
દૃષ્ટાંત : જો બાળકને સચ્ચાઈનું મહત્ત્વ સમજાવવું હોય તો સીધું 'ખોટું બોલવું ખરાબ છે' કહેવા કરતાં એક નાની વાર્તા કહી શકાય. જેમ કે એક બાળક વારંવાર ખોટું બોલતો હતો અને પછી કોઈ તેની વાત પર વિશ્વાસ ન કરતું. આવી વાર્તા બાળકને સચ્ચાઈનું મહત્ત્વ સરળ રીતે સમજાવે છે.
દૃશ્ય અને પ્રયોગ દ્વારા સમજાવવું : બાળકો ઘણીવાર જોઈને અને કરીને વધુ સારી રીતે શીખે છે. ચિત્રો, રમકડાં, ચાર્ટ અથવા પ્રયોગ દ્વારા સમજાવવાથી બાળકને વાત ઝડપથી સમજાય છે.
દૃષ્ટાંત: જો શિક્ષક છોડની વૃદ્ધિ વિશે સમજાવે તો માત્ર પુસ્તકમાં વાંચવા કરતાં વિદ્યાર્થીઓને નાનો છોડ વાવીને બતાવે તો બાળકને વિષય વધુ સારી રીતે સમજાય છે.
ધીરજ રાખવી ખૂબ જરૂરી : બાળક તરત જ બધું સમજી જશે એવું જરૂરી નથી. ઘણીવાર એક જ વાત ફરી-ફરી સમજાવવી પડે છે. માતા-પિતાએ ગુસ્સો કર્યા વગર ધીરજથી સમજાવવું જોઈએ. ગુસ્સાથી બાળક ડરી જાય છે અને શીખવાની પ્રક્રિયા મુશ્કેલ બની જાય છે.
દૃષ્ટાંત : જો બાળક વારંવાર હોમવર્ક કરવાનું ભૂલી જાય તો ગુસ્સો કરવા કરતાં તેને યાદ અપાવવું અને સમયપત્રક બનાવવામાં મદદ કરી વધુ અસરકારક છે.
બાળકને પ્રશ્ન પૂછવા પ્રોત્સાહિત કરો : બાળક જ્યારે પ્રશ્ન પૂછે છે ત્યારે તે શીખવાની પ્રક્રિયામાં સક્રિય બને છે. માતા-પિતાએ અને શિક્ષકોએ બાળકને પ્રશ્ન પૂછવા પ્રોત્સાહિત કરવું જોઈએ.
દૃષ્ટાંત : જો બાળક પૂછે- 'આકાશ નિલું કેમ હોય છે ?'- તો તેને અવગણવા કરતાં સરળ રીતે સમજાવવાનો પ્રયાસ કરવો જોઈએ. આથી બાળકની જિજ્ઞાસા અને જ્ઞાન બંને વધે છે.
રમતમાં શીખવાની રીત : રમત દ્વારા શીખવવું સૌથી અસરકારક રીતોમાંથી એક છે.
ગેમ, પઝલ, અથવા સર્જનાત્મક પ્રવૃત્તિઓ દ્વારા બાળક સરળતાથી અને આનંદથી શીખી શકે છે.
દૃષ્ટાંત : અક્ષર શીખવવા માટે માત્ર લખાવવું નહીં પરંત અક્ષરોના કાર્ડ, ચિત્રો અને શબ્દોની રમતોનો ઉપયોગ કરવામાં આવે તો બાળક આનંદ સાથે શીખે છે.
પ્રોત્સાહન અને પ્રશંસા : બાળક જ્યારે કંઈક નવું શીખે અથવા પ્રયત્ન કરે ત્યારે તેની પ્રશંસા કરવી જોઈએ. પ્રોત્સાહન મળવાથી બાળકનો આત્મવિશ્વાસ વધે છે.
દૃષ્ટાંત : જો બાળક પોતાનું કામ સ્વયં પૂર્ણ કરે તો 'શાબાશ, તું ખૂબ સારું કર્યું' જેવા શબ્દો તેના માટે મોટી પ્રેરણા બની શકે છે.
નિષ્કર્ષ : બાળકને સમજાવવું એટલે માત્ર વાત કહેવી નહીં, પરંતુ તેની સમજણ, રસ અને ઉંમરને ધ્યાનમાં રાખીને માર્ગદર્શન આપવું.
બાળક રોબોટ નથી. તે એક જીવંત વ્યક્તિ છે, જેના પોતાના વિચારો, લાગણીઓ અને સપનાઓ હોય છે.
જ્યારે માતા-પિતા અને શિક્ષકો બાળક સાથે પ્રેમ, ધીરજ અને સમજણથી વાત કરે છે ત્યારે બાળક પણ તેમની વાત વધુ સરળતાથી સ્વીકારી લે છે.

ન્યુરોગ્રાફ :
સાચો ઉછેર એટલે બાળકને ડરથી નહીં પરંતુ સમજ અને પ્રેમથી માર્ગદર્શન આપવું.

21/03/2026

Overthinking - વાસ્તવિકતા કે મનઘડંત વાર્તા?

Gujarat Samachar – Shatdal – Vedana Samvedana Columnબાળકોમાં મોબાઈલનું વ્યસન- વેદના-સંવેદના- મૃગેશ વૈષ્ણવ***************...
18/03/2026

Gujarat Samachar – Shatdal – Vedana Samvedana Column

બાળકોમાં મોબાઈલનું વ્યસન
- વેદના-સંવેદના- મૃગેશ વૈષ્ણવ

**********************
વ્યસ્ત મા-બાપો બાળકને શાંત રાખવા કે ખાવાનું ખવડાવવા બાળકને હાથમાં મોબાઈલ આપી દે છે. એનાથી બાળક શાંત ચોક્કસ થાય છે પણ થોડા સમયની શાંતિ પછી લત બની જાય છે
**********************

સ્માર્ટફોન અને ઈન્ટરનેટનો આવિષ્કાર માનવીનાં રોજીંદા જીવનને ખૂબજ પ્રભાવિત કરી રહ્યો છે. એક સમયે સમય બચાવવા માટે શોધાયેલ આ સાધનો આજે આપણો સમય બરબાદ કરી રહ્યા છે. એ ગંભીર વિચારનો વિષય છે. ઈન્ટરનેટ દ્વારા વિશ્વભરની માહિતીઓ આપણા સુધી તો પહોંચી જાય છે પરંતુ એના કારણે ઘણુબધું આપણાથી દૂર થતું જાય છે એનો આપણે વિચાર કરતા નથી. આજના સમયમાં મોબાઈલ ફોન જીવનનો એક મહત્વપૂર્ણ ભાગ બની ગયો છે. સંચાર, માહિતી અને મનોરંજન માટે તે ખૂબજ ઉપયોગી સાધન છે. પરંતુ જ્યારે આ સાધન બાળકોના જીવનમાં અતિરેક રીતે પ્રવેશી જાય ત્યારે તે ગંભીર સમસ્યા બની શકે છે. ઘણી વખત માતા-પિતા પોતાની વ્યસ્તતા, કામનો ભાર અથવા શાંતિ માટે બાળકને મોબાઈલ આપી દે છે. શરૂઆતમાં તે સરળ અને નિર્દોષ ઉપાય લાગે છે. પરંતુ ધીમે ધીમે આ આદત વ્યસનમાં ફેરવાઈ શકે છે.
ઘણાં ઘરોમાં એવું દ્રશ્ય જોવા મળે છે કે નાનું બાળક ખાવા માટે તૈયાર નથી હોતું તો તેની સામે મોબાઈલમાં કાર્ટૂન ચાલુ કરી દેવામાં આવે છે. બાળક મોબાઈલ જોતા જોતા ખાઈ લે છે અને માતા-પિતાને લાગે છે કે સમસ્યા હલ થઇ ગઈ. પરંતુ સમય જતાં બાળકને ખાવા માટે મોબાઈલ અનિવાર્ય બની જાય છે. જો મોબાઈલ ન મળે તો તે કંઈ પણ ખાવાનો સ્પષ્ટ ઇનકાર કરી દે છે. આ ડીજીટલ નિર્ભરતા (Digital Dependency) નો પ્રારંભિક સંકેત છે.
એક ૧૦ વર્ષનાં બાળકને મારી પાસે લાવવામાં આવ્યો. તેના માતા-પિતાની ફરિયાદ હતી કે બાળક રોજ ૬ થી ૮ કલાક મોબાઈલમાં ગેમ રમે છે. જ્યારે માતા-પિતા તેના પાસેથી મોબાઈલ ખેંચવી લે ત્યારે તે ખૂબજ ગુસ્સે થઇ જાય છે, ચિસો પાડે છે, વસ્તુઓ ફેંકી દે છે. મોબાઈલના વધારે વપરાશનાં કારણે આ બાળકનો અભ્યાસમાં રસ ઓછો થતો જતો હતો. તેની ઉંઘ ઘટવા માંડી હતી અને તે મિત્રો સાથે બહાર રમવા પણ જતો નહતો. આ માતા-પિતાને ડીજીટલ હાઈજીન (Digital Higene) શીખવવામાં આવ્યું અને બાળકને ડીજીટલ ડીટોક્ષ (Digital Detox) કઈ રીતે કરી શકાય તેનો ચોક્કસ પ્રોગ્રામ ઘડી આપવામાં આવ્યો. માતા-પિતાએ પોતાના માટે પણ ચોક્કસ નિયમ બનાવ્યા. મોબાઈલનો સમય ઓછો કર્યો અને બાળકને ક્રિકેટ, ચિત્રકામ જેવી રચનાત્મક પ્રવૃત્તિમાં જોડયો. થોડા સમયમાં બાળકનું વર્તન ફરીથી સંતુલિત બન્યું.
મોબાઈલનો વધારે પડતો ઉપયોગ બાળકોના મગજનાં વિકાસ પર વિપરીત અસર કરે છે અને તેનું વર્તન અને વલણ પણ અકળ થઇ જાય છે. સતત સ્ક્રીન પર ઝડપથી બદલાતા દ્રશ્યો જોવાને કારણે બાળકનો એટેન્શન સ્પાન (Attention Span) એટલે ધ્યાનનું સાતત્ય ઘટતું જાય છે. પરિણામે તેને પુસ્તક વાંચવામાં અથવા અભ્યાસમાં ધ્યાન કેન્દ્રિત કરવામાં મુશ્કેલી પડે છે. આ ઉપરાંત બાળકોમાં અન્ય વર્તનલક્ષી સમસ્યાઓ પણ જોવા મળે છે.
૧. ચિડીયાપણું અને ગુસ્સો વધે છે.
૨. શારીરિક સક્રિયતા ઘટે છે.
૩. ધ્યાન અને એકાગ્રતા ઘટે છે.
૪. ઉંઘમાં ખલેલ પડે છે.
૫. આંખોની તકલીફ અને માથાનો દુ:ખાવો થાય છે.
૬. સામાજિક સંવાદ ઘટે છે.
કેટલાક બાળકોમાં તેમને મોબાઈલથી દૂર કરવાથી આક્રમક વર્તન પણ જોવા મળે છે. ચીસો પાડવી, વસ્તુઓ ફેંકવી, માતા-પિતાને સામા જવાબો આપવા. આ બધાં લક્ષણો જો તમારા બાળકમાં જોવા મળે તો એ સ્પષ્ટ સંકેત આપે છે કે બાળક મોબાઈલ પર વધારે પડતું નિર્ભર બની રહ્યું છે.
અન્ય એક ૧૮ વર્ષની યુવતીને મારી પાસે લાવવામાં આવી. તે ખૂબજ ચીસો પાડતી હતી. ઘરમાં વાસણો ફેંકી દેતી હતી. માતા પિતાને મારતી હતી. આ બધું વર્તન જો તેની પાસેથી મોબાઈલ લઇ લેવામાં આવે તો તે કરતી હતી. તે ૧૧માં ધોરણમાં ભણતી હતી પરંતુ ડમી સ્કૂલ રાખવાને કારણે તે નતો સ્કૂલમાં હાજરી આપતી કે નતો કલાસીસમાં. તેણે અભ્યાસમાં સંપૂર્ણ રસ ગૂમાવી દીધો હતો. તે આખો દિવસ પોતાનો રૂમ બંધ કરી અને મોબાઈલ સાથે પડી રહેતી હતી. ક્યારેક તેને ખાવાની પણ કોઈ સુધબુધ રહેતી ન હતી. એકવાર તો તે મોબાઈલમાં એટલી બધી તલ્લીન બની ગઈ કે ઘરનું બારણું તોડીને તેને રૂમમાંથી બહાર કાઢવી પડી. મોબાઇલમાં વીડીયો ગેમ ઉપરાંત ઇન્સ્ટાગ્રામના વધારે વપરાશના કારણે બે-ચાર છોકરાઓની ફ્રેન્ડ રીક્વેસ્ટ પણ તેણે સ્વીકારી હતી અને તેઓની સાથે આખો દિવસ ચેટ કર્યા કરતી.
મોબાઈલની શોધ પહેલા બાળકો પરિવાર સાથે રમતો રમતાં, વધુમાં વધુ સમય પોતાના માતા-પિતા અને ભાઈ-બહેન સાથે વિતાવતા. પરિણામે તેમની વચ્ચે વધુમાં વધુ સંવાદ થતો અને એકબીજા સાથે ઘનિષ્ટ સંબંધ બંધાતો. બાળકનું પ્રકૃતિ સાથેનું પણ જોડાણ રહેતું અને તેની અભિવ્યક્તિની કુશળતા ખીલી ઉઠતી. આ પ્રકારના ઘડતરથી બાળક પોતાની સમસ્યાઓનું જાતેજ સમાધાન શોધી લાવતો. જીવનમાં આવતા કોઈપણ ટેન્શનનો ઉપાય મિત્રો અને પરિવારજનો પાસેથી મળી રહેતો. કારણકે તેનો વધુમાં વધુ સમય માણસો સાથે પસાર થતો. આ કારણે તેનું વ્યક્તિત્વ પણ બહુમુખી પ્રકારનું રહેતું. પરંતુ આજે ઘરના એક ખૂણામાં કલાકો સુધી મોબાઈલ સાથે એકલી અટુલી બેસતી વ્યક્તિઓ દેખીતી રીતે તો દુનિયાભરનાં સંપર્કમાં હોય છે પરંતુ ભીતરથી ખાલીપો અને હતાશા અનુભવતી હોય છે.
મોબાઈલ ફોન અને ઈન્ટરનેટનો જો સકારાત્મક ઉપયોગ કરવામાં આવે તો તેના થકી વિવિધ વિષયોનું ઉત્તમ શિક્ષણ મેળવી શકાય છે. વિવિધ પ્રકારનાં કૌશલ્યો વિકસાવતા ઓનલાઈન કોર્સ અને વીડીયો ટયુટોરીયલ્સના માધ્યમથી વ્યક્તિ કોઈપણ ક્ષેત્રનું જ્ઞાન મેળવી શકે છે. અને ફુરસતનાં સમયમાં ઈ-બુક્સ અને ઓડિયો બુક્સ દ્વારા મનોરંજન અને માહિતી પણ મેળવી શકે છે. મોબાઈલનું વ્યસન છોડાવવા માટે નીચે મુજબ પગલા ભરવા જરૂરી છે.
૧. માતા-પિતા પોતે ઉદાહરણ બને.
બાળકો હંમેશા માતા-પિતાની નકલ કરે છે. તેઓ માતા-પિતા કહે તેમ કરતા નથી પણ કરે તેમજ કરે છે.
જો માતા-પિતા અને દાદા-દાદી સતત મોબાઈલમાં વ્યસ્ત રહેતા હોય તો બાળકને નિયંત્રણ શીખવાડવું બહુજ મુશ્કેલ બની જાય છે. તેમાં પણ બાળકની જીદ, કજિયા કે પ્રશ્નોથી છૂટવા વ્યસ્ત માતા-પિતા તેના હાથમાં મોબાઈલ પકડાવી દે છે એટલે બાળક શાંત થઇ જાય છે. પરંતુ માતા-પિતાએ સમજી લેવું જરૂરી છે કે આ થોડા સમયની શાંતિ ધીમે ધીમે આદત અને પછી લત બની જાય છે. માતા-પિતા પોતેજ પોતાના માટે મોબાઈલ અને સ્ક્રીનના ઉપયોગની આચાર સંહિતા નક્કી કરે તે અત્યંત જરૂરી છે.
૨. સ્ક્રીન ટાઈમની મર્યાદા રાખવી.
બાળકનો સ્ક્રીન ટાઈમ એટલેકે મોબાઈલ, ટેબ્લેટ અને ટીવીનો ઉપયોગ ચોક્કસ સમય પુરતો જ કરે એ જરૂરી છે. આ અંગે ગાઈડલાઈન્સ આ પ્રમાણે છે. ૦ થી ૨ વર્ષ માટે બાળકને મોબાઈલનો ઉપયોગ કરવા દેવો જોઈએ નહીં. ૩ થી ૫ વર્ષના બાળકને કોઈપણ પ્રકારનો સ્ક્રીન ૧ કલાકથી વધારે જોવા ન દેવાય અને ૬ થી ૧૨ વર્ષના બાળકને ૧ થી ૨ કલાકથી વધારે સ્ક્રીનનો ઉપયોગ ન કરવા દેવાય. એ સિવાય ૧૨ વર્ષથી મોટા બાળકો, વયસ્કોએ પણ ૨ કલાકથી વધારે મનોરંજન માટે મોબાઈલ કે અન્ય સ્ક્રીનનો ઉપયોગ ન કરવો.
૩. સૂતા પહેલા મોબાઈલ ટાળવો.
સૂવાના ઓછામાં ઓછા ૧ કલાક પહેલા મોબાઈલનો ઉપયોગ બંધ કરી દેવો. કારણ મોબાઈલની બ્લ્યુ લાઈટને કારણે ઉંઘમાં ખલેલ પહોંચે છે અને મગજ વધારે સક્રિય થઇ જાય છે.
૪. રાત્રે મોબાઈલ રૂમમાં ન રાખવો.
બાળકો અને કિશોર, કિશોરીઓ રાત્રે મોડે સુધી મોબાઈલ ગેમમાં વ્યસ્ત રહે છે તેથી રાત્રે તેમના રૂમમાં મોબાઈલ ન રાખવો.
૫. સોશિયલ મીડિયા ઉપયોગમાં સાવધાની.
બાળકને સમજાવવું કે દરેક માહિતી, ફોટો કે વ્યક્તિ વિશ્વસનીય નથી. પ્રાઈવસી, સાયબર બુલીંગ અને ઓનલાઈન જોખમો વિશે જાગૃતિ કેળવવી.
૬. ઓફલાઈન પ્રવૃતિઓ વધારવી.
રમત-ગમત, સંગીત, વાંચન, ચિત્રકામ, યોગ અથવા અન્ય શોખ બાળકોના માનસિક વિકાસ માટે જરૂરી છે. દરરોજ ઓછામાં ઓછા એક કલાક શારીરિક પ્રવૃત્તિ કરવાની બાળકોને આદત પાડવી.
૭. પરિવાર સાથે સમય વિતાવવો.
દરરોજ પરિવાર સાથે થોડો સમય વાતચીત, ભોજન અથવા કોઈ રમત માટે રાખવો. આનાથી બાળકનું ભાવનાત્મક જોડાણ અને સંવાદ મજબુત બને છે.
૮. ઘરમાં ''મોબાઈલ મુક્ત સમય'' બનાવો.
ભોજન સમયે, પરિવાર સાથે વાતચીત દરમ્યાન અને સૂતા પહેલા મોબાઈલનો ઉપયોગ ટાળો.
૯. ધીમે ધીમે સમય ઘટાડો.
બાળકનાં હાથમાંથી એકદમ મોબાઈલ ખૂંચવી લેવાની બદલે ધીરે ધીરે સમય ઓછો કરો અને બાળકને સ્ક્રીન નહીં પણ માતા-પિતા સંબંધ અને સમય આપે.
જાગ્યા ત્યારથી સવાર એવું માનીને આપણે સૌ સંકલ્પ કરીએ કે આપણે બધાં મોબાઈલનાં ઉપયોગની સમયમર્યાદા નક્કી કરીએ. જરૂર હોય ત્યાંજ ઓનલાઈન સામગ્રીનો ઉપયોગ કરીએ. વધુમાં વધુ જીવીત વ્યક્તિઓ સાથે સમય વિતાવીએ. વધુમાં વધુ શારીરિક પ્રવૃત્તિઓ કરીએ, રમતો રમીએ અને રાત્રે સૂતા પહેલા મોબાઈલ નહીં પણ પુસ્તક વાંચીને સૂઈએ. મોબાઈલનો ઉપયોગ માત્ર શીખવા માટે અથવા તો મર્યાદિત મનોરંજન માટે કરીએ. સૌથી મહત્વનું કામ કરવા જેવું એ છે કે અઠવાડિયામાં ઓછામાં ઓછો એક દિવસ મોબાઈલનો ઉપવાસ રાખીએ. યાદ રાખો, બાળકોને મોબાઈલ કરતા વધારે જરૂરી છે માતા-પિતાનો સમય અને માર્ગદર્શન. જો આજે જાગૃતતા રાખીશું તો આવતી પેઢીને મોબાઈલનાં વ્યસનથી બચાવી શકીશું અને તેમને સ્વસ્થ અને સંતુલિત જીવન આપી શકીશું.

ન્યુરોગ્રાફ :-
ટેકનોલોજીનો યોગ્ય ઉપયોગ વિકાસ લાવે છે પરંતુ તેનો અતિરેક વ્યસન લાવે છે.

17/03/2026

मानसिक बीमारी, दवाई और मनोबल - Dr Mrugesh Vaishnav

14/03/2026

Why Sleep Matters? - Dr Mrugesh Vaishnav

11/03/2026

Gut Brain Axis - Dr Mrugesh Vaishnav

Gujarat Samachar – Shatdal – Vedana Samvedana Columnસમય સાથે જીવનમાંથી થતું વિમોચન- વેદના-સંવેદના- મૃગેશ વૈષ્ણવ*********...
11/03/2026

Gujarat Samachar – Shatdal – Vedana Samvedana Column

સમય સાથે જીવનમાંથી થતું વિમોચન
- વેદના-સંવેદના- મૃગેશ વૈષ્ણવ

*****************
રીટાયરમેન્ટના આ સમયમાં તમે જે હોદ્દા પર હતાં અને તમારો જે માન મરતબો અને અહંકાર હતો એ છોડી અને તમારા વ્યવસાયે તમને આપેલી ઓળખથી પર જઈને તમારે ફરીથી તમને પોતાને ઓળખવાનો પ્રયાસ કરવો પડે છે
*****************

જીવન પરિવર્તનશીલ છે. માણસ જન્મે છે ત્યારથી મૃત્યુ સુધી એ વિવિધ ભૂમિકાઓ ભજવે છે. ક્યારેક સંતાન તરીકેની, ક્યારેક વિદ્યાર્થી તરીકેની, ક્યારેક વ્યવસાયી કે નોકરી કરતા વ્યક્તિ તરીકેની, ક્યારેક માતા અથવા પિતા તરીકેની તો ક્યારેક મિત્ર તરીકેની. આ પ્રત્યેક ભૂમિકા જીવનનો એક આહ્લાદક આનંદ લઈને આવે છે અને પછી જેમ જેમ ઉંમર વધતી જાય છે તેમ તેમ જીવનમાં કેટલીક વસ્તુઓ અને કેટલીક ભૂમિકાઓ ધીરેધીરે આપણાથી દૂર થતી જાય છે. જીવનમાં આપણે જે ભૂમિકા ભજવવામાં પાવરધા થઇ ગયા હોઈએ એ ભૂમિકા આપણે છોડવી પડે કે આપણા હાથમાંથી ખૂંચવાઈ જાય એવો સમય આવે છે. આ સમયે હૃદયને એક ઝાટકો જરૂર લાગે છે. ક્યારેક ખાલીપણું અને એકલતા પણ લાગે છે. પરંતુ આમાંની કેટલીક ભૂમિકાઓનો બદલાવ એ આપણે માની લઈએ છીએ એવી દુ:ખદ ઘટના હોતી નથી. ક્યારેક એ જીવનનો સામાન્ય ક્રમ, સામાન્ય નિયમ કે પછી બદલાતા સમયની માંગ હોય છે.
સૂર્ય ઉગે છે, મધ્યાહને પહોંચે છે અને સાંજ પડયે આથમી જાય છે. માનવજીવનમાં પણ આવી જ અવસ્થાઓ આવે છે. જ્યારે વ્યક્તિનો ઉદય થાય છે ત્યારબાદ યશ, કારકિર્દી, માનમરતબો, ધન દોલત બધું મેળવવાના મધ્યાને પહોંચે છે અને પછી ધીમે ધીમે જીવનની સંધ્યા આવે છે. જેમાં માણસ પોતાની ઓળખ, માન-સન્માન, સંબંધો, જવાબદારીઓ અને ભૂમિકામાંથી ધીરેધીરે દૂર થતો જાય છે.
જિંદગી જીવવાથી કે માનવજીવનમાંથી આપણને દૂર લઇ જતી આ અવસ્થાઓને આપણે ઓળખવી પડે, સ્વીકારવી પડે અને તેને અનુરૂપ થવું પડે.
સૌપ્રથમ કામની જગ્યાએથી રીટાયર્ડ થવાની અવસ્થા આવે છે. જે સ્થળ તમારું કાર્યક્ષેત્ર રહ્યું હોય, જ્યાં તમારા એકી અવાજે સોંપો પડી જતો હોય એ સ્થળ પર તમે શિક્ષક હોવ, પ્રિન્સીપાલ હોવ, પ્રોફેસર હોવ કે સરકારી ઉચ્ચ હોદ્દા પર હોવ. એ સ્થળ તમને ૬૦ વર્ષની આસપાસ રીટાયર્ડ કરી દે છે. તમે ભલે ગમ્મે તેટલા મહત્વપૂર્ણ હોવ, તમે અત્યંત કુશળ અને સન્માનિત વ્યક્તિ હોવ, તમારી બુદ્ધિમત્તા અને બલિદાનથી તમે તમારા એ ક્ષેત્રને આગવું યોગદાન આપ્યું હોય તો પણ નિવૃત્તિની ઉંમર આવે ત્યારે તમને નિવૃત્ત કરી દેવામાં આવે છે. મોટા ભાગના દેશોમાં આ અવસ્થા ૫૮ થી ૬૨ વર્ષ સુધીની હોય છે. આજના જમાનામાં ફિટનેસનાં અને તંદુરસ્તી સાચવવાના આયામો વધી ગયા છે ત્યારે તમને એવું સહેજ પણ લાગે કે આ કામ કરવા માટે હવે હું જેટલો ફીટ છું અને મેચ્યોર છું એટલો આની પહેલા ક્યારેય નહતો. છતાં પણ એક દિવસ તમારું સ્થાન કોઈ બીજી વ્યક્તિ લઇ લે છે. અને ધીમે ધીમે એ સ્થળમાંથી, એ ક્ષેત્રમાંથી અને એ સીસ્ટમમાંથી તમારું નામ ભૂસાવા લાગે છે.
કેટલાક સંવેદનશીલ માણસો આ સમયે પોસ્ટ રીટાયરમેન્ટ ડીપ્રેશન અનુભવે છે. ક્યારેક આ પ્રકારના ડીપ્રેશનને હળવીથી ભારે સારવાર પણ આપવી પડે છે. પરંતુ આખરે વ્યક્તિએ એક સત્ય સમજવું પડે છે કે આ તેમને થતો કોઈ અન્યાય નથી પણ આ કુદરતનો ક્રમ છે. સમયનાં ચક્રનો આ નિયમ છે. એટલે એને સ્વીકારવો જ રહ્યો. રીટાયરમેન્ટના આ સમયમાં તમે જે હોદ્દા પર હતાં અને તમારો જે માન મરતબો અને અહંકાર હતો એ છોડી અને તમારા વ્યવસાયે તમને આપેલી ઓળખથી પર જઈને તમારે ફરીથી તમને પોતાને ઓળખવાનો પ્રયાસ કરવો પડે છે અને અતિવ્યસ્તમાંથી સાવ સરળ થઇ ગયેલા જીવનમાં આનંદ શોધવો પડે છે.
એટલે એક વાત નક્કી છે કે જીવનમાં એવો એક દિવસ ચોક્કસ આવશે જ્યારે તમારા કામની જગ્યા તમને દૂર કરી દેશે. જે લોકો નોકરી નથી કરતાં એ લોકોને રીટાયરમેન્ટનો આ અવસર આવતો નથી અને તેઓ શરીર અને મન સાથ આપે ત્યાં સુધી ગમે તેટલી ઉંમર સુધી કામ કરી શકે છે. કેટલાક લોકો રીટાયર્ડ થયા પછી પણ અન્ય વૈકલ્પિક વ્યસ્તતા શોધી લે છે અને જીવનમાંથી દૂર થવાની આ અવસ્થાને શરીર થાકી જાય અને નાદુરસ્ત ન થાય ત્યાં સુધી લંબાવી શકે છે. કારણ કામમાં વ્યસ્તતા વ્યક્તિનું આયુષ્ય ચોક્કસ વધારી શકે છે.
સમાજમાંથી ધીમે ધીમે દૂર થવાની બીજી અવસ્થા સામાન્ય રીતે ૭૦ વર્ષની આસપાસ શરુ થાય છે. આ સમય દરમ્યાન મોટે ભાગે એવું બને છે કે જે લોકો તમારા ઉપર નિર્ભર હતાં, એક સમયે તમારી સલાહ મેળવવા ઉત્સુક હતાં, નાનામાં નાની વાતની તમારા સાથે ચર્ચા કરી અને નિર્ણય લેવામાં માનતા હતાં એ લોકો ધીમે ધીમે તમારાથી દૂર થતા જાય છે અને તમારી વિચારધારાથી આગળ વધવાની યોજનાઓ ઘડવા માંડે છે. કુટુંબમાં, સંસ્થાઓમાં અને સમાજમાં આ નવા લોકો ચોક્કસ આવે છે. તેઓ નવી વિચારધારા લઈને આવે છે. એ લોકોને હવે તમારી હાજરીની એટલીબધી જરૂર રહેતી નથી. તમને ક્યારેક એવું લાગે છે કે એક સમયમાં જે કુટુંબ, જે સંસ્થા જે સમાજ તમારું Brainchild હતું એમાંથી નવા લોકોએ તમને ચા માંથી માખી કાઢી નાંખે
એમ દૂર કરી દીધા છે. પરંતુ એક વાત સમજી લેવાની છે કે સમય સાથે સલાહ, સત્તા અને વિચારધારાનું કેન્દ્ર પણ બદલાય છે. આ તબક્કે દુ:ખી થવાની જરૂર હોતી નથી. પરંતુ આ સમયને પણ સ્વીકારી લેવો પડે છે અને આ સમય શાંતિથી આનંદ માણવાનો સમય છે એ સમજણ વિકસાવી નવા શોખ અને નવા સંબંધો ઉભા કરવા પડે છે. એટલુંજ નહીં પણ આ સમયે આંતરિક વિકાસ તરફ ધ્યાન આપવાનો એક ઉત્તમ સમય હોય છે.
ત્રીજી અવસ્થા છે પરિવારની જરુરિયાતોમાં ઘટાડો. સામાન્ય રીતે આ અવસ્થા ૮૦ વર્ષની આસપાસ દેખાય છે. જે બાળકો એક સમયે તમારા ઉપર નિર્ભર હતાં. તમારી આવક, ઓળખાણ અને ટેકાથી આગળ વધ્યા હતાં અને નાનીનાની વાતમાં તમારી સલાહ અને માર્ગદર્શન માંગતા હતાં તેઓ પણ પોતાના જીવનમાં ગોઠવાઈ જાય છે. એમને પોતાના સંતાનોની અને પરિવારની જવાબદારીઓ અને વ્યસ્તતાઓ હોય છે. જેવી રીતે તમે તમારી જાતને પ્રેમ કરો છો અને તમારું ધ્યાન રાખો છો એવી રીતે તેઓ પણ તેમની જાતને પ્રેમ કરવા લાગે છે અને પોતાની જાતનું ધ્યાન રાખવા લાગે છે. હવે રોજબરોજનાં આયામોમાં એમને તમારી જરૂર હોતી નથી. આજના આ ડીજીટલ યુગમાં કુટુંબો છુટા પડતા જાય છે. વડીલોએ આ ઉંમરે એવું પણ કહેવું પડે છે કે તમે તમને મનફાવે એમ કરો. મારે કોઈ જંજાળમાં પડવું નથી.' આ વાક્ય અપેક્ષાની સામે હારેલા માણસના મનનું હોય છે. સમય સામે લડી ઝઘડીને પોતાનો હક માંગવાની કે ઝૂંટવી લેવાની હવે શક્તિ નથી એટલે તેઓ શાંતિથી એક ખૂણે બેસી રહેવાનું પસંદ કરે છે. આ ચુપ્પી તેમની પસંદગી નથી પણ એક મૌન વ્યથા છે. જે આધુનિક પેઢીનાં હેડફોન ચીરીને તેમના કાન સુધી પહોંચતી નથી.
જીવનનો આ કઠિન તબક્કો છે. પરંતુ આ સમયે અપેક્ષા જેટલી ઓછી રાખી અને તમારી લાગણી અને પ્રેમને બીજાઓ માટે બંધન નહીં પણ આશીર્વાદરૂપ બનાવી લો તો આ તબક્કે પણ ખુશીથી જીવન જીવી શકશો. આ ઉંમરમાં અવગણના અનુભવતા વડીલો વિવિધ શારીરિક, મનોશારીરિક અને માનસિક સમસ્યાઓથી પીડાય છે પરંતુ વ્યસ્ત પેઢી એમને એક કેર ટેકર શોધી આપે છે, કારણ તેમને જોઈતું ધ્યાન અને સંભાળ આપવાનો તેમની પાસે સમય નથી. સામાન્ય રીતે લોકો એવું માને છે કે ઉંમર વધવાની સાથે વ્યક્તિની લાગણીઓ બુઠ્ઠી થતી જાય છે અને કુટુંબીજનો સાથેનો લગાવ ખતમ થતો જાય છે. પરંતુ આ સાચું નથી. હકીકતમાં એ લગાવ ખતમ નથી થતો પણ સામેથી મળતી ઉપેક્ષા વ્યક્તિને પોતાની અંદર સમેટાઈ જવા માટે મજબુર કરે છે. જ્યારે વડીલોને એવું લાગવા માંડે છે કે તેમના શબ્દોની કોઈ કિંમત નથી અને તેમની સલાહને દખલગીરી માનવામાં આવે છે ત્યારે લડીને હક મેળવવાને બદલે ચુપકીદી સેવવાનું પસંદ કરે છે. આજના આ ડીજીટલ યુગમાં વ્યક્તિ એકલી પડે છે ત્યારે બંધરૂમને પોતાનો કિલ્લો બનાવી વ્હોટસએપ અને સોશીયલ મીડિયામાં વ્યસ્ત થઇ જાય છે. કારણ તેમને ખાતરી થાય છે કે હવે તેમને સાંભળનારું કોઈ નથી. મોબાઈલ તેમના માટે દુનિયાથી કપાઈને પોતાની એકલતા છુપાવવાનું એક સાધન બની જાય છે.
હું એવું કહેવા માંગતો નથી કે સંયુક્ત કુટુંબની વ્યવસ્થા હજી પણ ચાલુ રહેવી જોઈએ પણ એટલું ચોક્કસ કહેવા માંગુ છું કે સંયુક્ત લાગણીઓ તો જાળવવી જ જોઈએ. કારણ વધતી ઉંમર એ સૂર્યાસ્ત જેવી હોય છે. આ ઉંમરે જો પરિવારનાં પ્રેમ અને હૂંફનું તેજ મળે તો જીવન જીવવા જેવું લાગે છે. બાકી એકલતાનાં ઘનઘોર વાદળો હોય તો જીવન અંધકારમય બની જાય છે.
ચોથી અવસ્થા જીવનમાંથી શાંતિપૂર્ણ વિદાયની છે. જીવનના આ અંતિમ વર્ષોમાં શરીર ધીમે ધીમે થાકી જાય છે. યાદશક્તિ ઓછી થતી જાય છે. જુના મિત્રો જગત છોડીને ચાલ્યા જાય છે. લોકો સાથેનો સંપર્ક પણ ઘણો ઓછો થવા લાગે છે. પણ આ અવસ્થા ડરવાની અવસ્થા નથી કે ટીકી ટીકીને મોતની સામે જોયા કરવાની પણ અવસ્થા નથી. જેમ સૂર્ય ઉગે છે અને સાંજના સમયે આથમે છે તેમ આ સમય પણ સુંદર સાંજનો હોય છે. આ સમયે સૌથી મહત્વની વસ્તુ છે શાંતિ, સ્વીકાર અને કૃતજ્ઞાતા. તમે આજસુધી જે કંઈ મેળવ્યું છે. તમારા સ્નેહીજનો એ તમને જે કંઈ આપ્યું છે એ બદલ કૃતજ્ઞાતા અનુભવો. જો તમે જીવનમાં અપેક્ષાઓ ઓછી કરી હોય અને પ્રેમથી જીવન જીવ્યા હોવ તો અંતિમ અવસ્થા પણ ભયજનક નહીં પણ શાંત અને સંતોષપૂર્ણ બને છે. જીવનનાં આ આખરી તબક્કાની ભૂમિકા પણ રસપ્રદ રીતે ભજવવી એ આપણા સૌનું કર્તવ્ય છે.
જીવનનાં આ ચારેય તબક્કાઓ આપણને ચોક્કસ પાઠ શીખવીને જાય છે. પ્રથમ તબક્કો શીખવે છે કે અહંકાર છોડવો. બીજો તબક્કો શીખવે છે કે સમયને સ્વીકારવો. ત્રીજો તબક્કો શીખવે છે કે અપેક્ષાઓ ઓછી રાખવી. અને ચોથો તબક્કો શીખવે છે કે શાંતિથી વિદાય લેવી.

ન્યુરોગ્રાફ :-
જીવનની સૌથી મોટી સિદ્ધિ શાંતિથી જીવવા અને શાંતિથી જવામાં છે.

06/03/2026

સંબંધોમાં સ્વતંત્રતા અને સ્વચ્છંદતા - Dr Mrugesh Vaishnav

Gujarat Samachar – Shatdal – Vedana Samvedana Columnલગ્ન માટેની અવઢવ કે માસ્ક ડીપ્રેશન?- વેદના-સંવેદના- મૃગેશ વૈષ્ણવ****...
05/03/2026

Gujarat Samachar – Shatdal – Vedana Samvedana Column

લગ્ન માટેની અવઢવ કે માસ્ક ડીપ્રેશન?
- વેદના-સંવેદના- મૃગેશ વૈષ્ણવ

*********************
ઉંમર વધતી જાય અને સંતાન લગ્ન કરવાનું ટાળે. પાત્રની પસંદગીમાં વધુ પડતા ચીકણાવેડા કરે તો તેને કોઈ માનસિક સમસ્યા હોઈ શકે છે તેવું પણ માતા-પિતાએ સમજવું પડે
*********************

બધું જ ખાલી ખાલી લાગે છે. ચાલીસ વર્ષ થયાં પણ જીવનમાં કોઈ પણ પ્રકારની સિદ્ધિ મેળવી નથી. ક્યારેક ભવિષ્યની ચિંતા થાય છે. ચોમેર અંધકાર દેખાતાં વિષાદની ઘેરી લાગણીમાં ગરકાવ થઈ જવાય છે. વાત વાતમાં ચિડાઈ જવાય છે. હતાશાની આ પળોમાં એક વિચાર મનને ચેતનવંતુ બનાવે છે -
''દુનિયાની અત્યંત સ્વરૂપવાન સ્ત્રી સાથે જ લગ્ન કરીશ... બધાં મોઢાંમાં આંગળાં નાખી જશે... યાર... દેવેન શું ચીજ લઈ આવ્યો છે!?''
અને દેવેન રમણલાલ શાહ મેરેજ બ્યૂરોમાં મોબાઇલ ડાયલ કરે છે. નેટ પર શાદી ડોટ કોમ જેવી વેબસાઈટો ખૂંદી વળે છે. તેમને પોતાની પણ એક વેબસાઈટ બનાવી છે. આ વર્ષે તો દેવેને લગ્ન કરવાં જ પડે તેમ છે.
લગ્ન કરવાં જ હોય તો દેવેન પાસે ઘણા વિકલ્પો છે. સિંગાપુરમાં પાંચ વર્ષથી જોબ કરતી રક્ષા વેબ કેમેરામાં રૂપાળી દેખાય છે. તેની ઊંચાઈ પાંચ ફૂટ છે. સ્થાયી નોકરી છે. ફોન પર વાત કરવામાં ભારે મીઠી છે.
લુધિયાણાની સુખવિંદર તો અલ્ટ્રામોર્ડન છે. બે વાર રૂબરૂ આવીને ડેટિંગ કરી ગઈ છે. પણ દેવેનને એના ચારિત્ર્ય પર શંકા જાય છે. આટલી સુંદર યુવતી સાડત્રીસ વર્ષ સુધી કુંવારી કેમ રહી?... શું એ ખરેખર કુંવારી હશે ખરી?
ચાલીસ વર્ષની સુલેખા કેનેડામાં સ્થાયી થઈ છે. યુ.એસ.એ.નો એચ-૧ વિઝા પણ મેળવી ચૂકી છે.
બત્રીસ વર્ષની રાધા છે સુંદર પણ રંગે શ્યામ છે. લિસ્ટ તો ઘણું લાંબું છે. હજી લાંબું થતું જાય છે, પણ દેવેન છેલ્લા પંદર વર્ષથી એક જ વિમાસણમાં છે કે,
''કોઈ એક છોકરી સાથે લગ્ન કર્યા પછી એનાથી સુંદર છોકરી મળતી હોય તો જીવનનું ધ્યેય નક્કી કર્યું છે તેનું શું? મનમાં વસવસો રહી જાય કે રૂપાળી મળતી હતી તો પણ સાવ આવીને પરણ્યો?... આવું થાય તો જીવન ઝેર જેવું બની જાય. સમાજમાં કોઈને મોં ન બતાવી શકાય. આના કરતાં તો ઢાંકણીમાં પાણી લઈને ડૂબી જવું સારું.''
દેવેનને તલાશ છે એક સુંદર પત્નીની. છોકરીની શોધમાં મોટાભાગનો સમય ફાળવતા અને પછી એની સાથે લગ્ન કરાય કે નહીં એનો નિર્ણય લેવામાં સતત માનસિક કસરત કર્યા કરતા દેવેને અનિયમિતતા અને કામમાં એકાગ્રતાના અભાવને કારણે ઘણી નોકરી પણ બદલવી પડી છે.
દેવેન એમ.બી.એ. થયો છે, પરંતુ આ ડિગ્રીથી તેને સંતોષ નથી. એચ.એસ.સી.માં થોડાક માર્ક્સ ઓછા આવ્યા અને તે ડોક્ટર બનતાં રહી ગયો. પોતાના મોટા ભાગના સ્કૂલના મિત્રો ડોક્ટર થયા. સ્પેશિયાલિસ્ટ થયા અને પોતે પાછળ રહી ગયો. આ વાતનો તેને ભારોભાર વસવસો છે. આ વિચારો હજી પણ તેનામાં આત્મવિશ્વાસનો અભાવ લાવી તેને લઘુતા અને હતાશામાં ધકેલી મૂકે છે. પોતાની આ લઘુતાની ક્ષતિપૂર્તિ માટે જ તેણે નક્કી કર્યું હતું કે સ્વરૂપવાન સ્ત્રીને પરણવું અને પરદેશ સ્થાયી થવું.
પરદેશ સ્થાયી થવાની વ્યવસ્થા મોટી બહેને કરી આપી હતી. દેવેનને ગ્રીનકાર્ડ મળી ગયું હતું.
પરંતુ પરદેશ જવું કે કેમ?
લગ્ન કરીને જવું કે લગ્ન કર્યા વગર જવું.
લગ્ન કરીને જાય તો પત્નીને પણ બે-ચાર મહિનામાં સાથે લઈ જવાય અને લગ્ન કર્યા વગર જાય તો બે-ચાર વર્ષ સુધી પત્ની ઇન્ડિયામાં જ રહે.
એટલે લગ્ન કરવા જરૂરી હતા.
પણ લગ્ન કરવાં કોની જોડે?
એક છોકરી સાથે નક્કી કરે અને એનાથી વધારે સુંદર છોકરી ભવિષ્યમાં મળે તો?...
જીવનના આખરી ધ્યેયમાં પણ નિષ્ફળતા જ ને?
પછી પોતે રહે એક જીવનમાં ધારેલું કશું જ ન મેળવી શકેલો, સતત સમાધાનો કરતો એક કમનસીબ, નિષ્ફળ, હારેલો, અધૂરો નકામો માણસ!?
બસ આ અનિર્ણાયકતાને કારણે જ દેવેને પંદર વર્ષ પહેલાં જાનકી સાથે સગાઈ કર્યા પછી પંદર દિવસમાં જ તોડી નાખી હતી. જાનકીને એ સમજાતું ન હતું કે તેના કયા વાંકની સજા તેને મળી? જીવનમાં એક જ પુરુષની કલ્પના કરાય એ વિચારોમાં પ્રતિબદ્ધ જાનકી માટે આ કારમો આઘાત હતો. વિવાહ વિચ્છેદનું કારણ જાણવા માંગતી જાનકીને દેવેને જણાવ્યું હતું કે, તેનો લગ્નનો નિર્ણય કૌટુંબિક દબાણને કારણે હતો. તેને આટલી ઉતાવળ ન હતી. કારણ કદાચ હજી તેને વધારે સુંદર છોકરી મળી પણ શકે છે. જો કે જાનકી ઘણી દેખાવડી અને નમણી હતી એટલે જ દેવેને એકસો છોકરી જોયા પછી તેને હા પાડેલી, પરંતુ સમસ્યા એ હતી કે તેનાથી પણ વધારે રૂપાળી છોકરી મળી શકતી હોય તો ખોટી ઉતાવળ શા માટે કરવી?
દેવેન જેટલો અનિશ્ચિત હતો તેટલી જ જાનકી ઇરાદાની પાકી હતી. તેણે નક્કી કરી નાખ્યું હતું કે પરણીશ તો દેવેનને જ. તેણે દેવેનને સ્પષ્ટ કહી દીધું હતું કે,
''મને પણ ઉતાવળ નથી. તું રૂપાળી છોકરીની શોધ ચાલુ રાખ, મન જ્યાં માને તેની જોડે લગ્ન કરી નાંખજે અને જો ન માને તો મારી પાસે આવી જજે. હું તારી રાહ જોઈશ. તારાં લગ્ન થશે પછી જ હું લગ્ન કરીશ.''
તે દિવસથી દેવેન અને જાનકી મિત્રો બની ગયા હતા. બંનેને એકબીજા સાથે વાત કર્યા વગર ચાલતું ન હતું. દેવેનને છોકરી અને નોકરી માટે પ્રોત્સાહિત કરતાં કરતાં જાનકી પોતે જ હતોત્સાહ થઈ ગઈ હતી. સંબંધો ઘસડાતા હતા. ક્યારેક મહિનાઓ સુધી તૂટી જતા હતા. જાનકીને લાગતું હતું કે તેને કંઈ સ્વમાન જેવું છે કે નહીં... શા માટે તે દેવેનને સહન કરી લે છે? પરંતુ થોડોક સમય જાનકી સાથે વાત ન થાય તો દેવેન બેચેન બની જતો. જીવન ખાલી ખાલી લાગતું. તે જાનકી પાસે દોડી જતો અને કહેતો ''બસ... દુનિયાની સૌથી સુંદર સ્ત્રી તું જ છે... ચાલ આપણે લગ્ન કરી લઈએ.''
જાનકી ખીલી ઊઠતી. બંને વચ્ચે મનામણાં થઈ જતાં... બંનેય એકબીજાને પેટ ભરીને પ્રેમ કરી લેતાં પણ ફરી પાછું લગ્ન કરવાની વાત આવે ત્યાં એ જ અનિર્ણાયકતા આવી જતી.
લગ્ન કરવાનો નિર્ણય લેવામાં વર્ષો કાઢી નાખતા. અનિર્ણાયકતાને કારણે નોકરીમાં સ્થિર ન થઈ શકતા ઘણા લોકો છે. વધારે સારું મળવાની ઝંખનાથી તેમનું મન કોઈ વાતમાં સ્થિર થઈ શકતું નથી તેથી અનિર્ણાયકતાને કારણે જિંદગી સ્થગિત થઈ જાય છે.
દેવેન મિત્રોની સરખામણીમાં પાછળ રહી ગયો છે એવું માને છે એટલે જ લઘુતાની ક્ષતિપૂર્તિ માટે તે સૌથી રૂપાળી પત્ની અને પરદેશમાં સ્થાયી થવું એ બે વિચારનો ઉપયોગ કરે છે. આનાથી તે લઘુતામાંથી બહાર આવી શકે છે પણ કોઈ નિર્ણય લઈ શકતો નથી. કારણ 'પોસ્ટ ડિસિઝનલ ડિસસેટિસ્ફેક્શન' નિર્ણય લીધા પછીના અસંતોષની કલ્પના તેને બેચેન કરી મૂકે છે અને પત્ની સુંદર નહીં પુરવાર થાય તો પોતે જીવનમાં નિષ્ફળ પુરવાર થશે તેવું માની અનિર્ણાયકતાનો શિકાર થઈ ગયો છે.
લાંબા સમયની અનિર્ણાયકતા વ્યક્તિને 'મૂડ ડિસ ઓર્ડર'નો શિકાર બનાવે છે. તેથી નિર્ણય લેવામાં વધારે વિલંબ થાય છે. નકારાત્મક વિચાર પ્રક્રિયા અને તેને કારણે મગજમાં થતાં રાસાયણિક ફેરફારો અને આ ફેરફારોને કારણે વધતા નકારાત્મક વિચારના વિષચક્રમાં વ્યક્તિ એવો ફસાય છે કે ગમે તેવી સાચી સલાહ તેને મગજમાં ઊતરી શકતી નથી. મગજના આ રસાયણોને બેલેન્સ કરી યોગ્ય સાયકોથેરપીથી અનિર્ણાયકતાને દૂર કરી શકાય છે અને વ્યક્તિ એક વાત સ્વીકારે છે કે લગ્નના દસ વર્ષ પછી ભલે પોતાને પાડોશીની પત્ની સારી લાગે અને એ વખતના લગ્ન કરવાના પોતાના ઉતાવળા નિર્ણય બદલ પસ્તાવો થાય. પણ પોતાની પત્નીમાં શું ખૂબીઓ છે એની ઇર્ષા પાડોશી પણ એટલી જ કરતો હોય છે.
હા... નિર્ણય લેતાં પહેલાં બધાં પાસાંનો વિચાર જરૂર કરવો પણ આખરે અમુક સમય મર્યાદામાં નિર્ણય તો લેવો જ પછી ભલે પાછળથી થોડું પસ્તાવું પડે. જિંદગીમાં જે જગ્યાએ હોઈએ ત્યાં સ્થગિત થવા કરતાં ધીમી ગતિએ પણ આગળ વધવું જરૂરી છે.

ન્યુરોગ્રાફ :
''માસ્ક ડીપ્રેશન'' એવા પ્રકારનું ડીપ્રેશન છે જેમાં વ્યક્તિની હતાશા વર્તન લક્ષી લક્ષણો કે શારીરિક લક્ષણોનો નકાબ પહેરી લે છે, જેથી ડીપ્રેશન હોવાની ખબર પડતી નથી.

03/03/2026

Exam Phobia - Fear of Exam By Dr Mrugesh Vaishnav

28/02/2026

Mobile Addiction in Kids - Dr Mrugesh Vaishnav

Address

3rd Floor Satya One Complex, Opp Manav Mandir Helmet Circle Memnagar
Ahmedabad
380052

Alerts

Be the first to know and let us send you an email when Samvedana Happiness Hospital posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share

Share on Facebook Share on Twitter Share on LinkedIn
Share on Pinterest Share on Reddit Share via Email
Share on WhatsApp Share on Instagram Share on Telegram

Category