20/08/2025
Gujarat Samachar – Shatdal – Vedana Samvedana Column
અશુદ્ધ કે ધર્મવિરોધી વિચારોનું વળગણ
- વેદના-સંવેદના- મૃગેશ વૈષ્ણવ
********************
વિચારોમાંથી બહાર આવવાના તમે જેમ જેમ પ્રયત્ન કરતાં જતા હતા તેટલા આ વિચારો બહાર નીકળવાને બદલે તમારા ચિત્તનું કેન્દ્ર બની જઈ તમારા મન પર સંપૂર્ણપણે કબજો જમાવી દીધો હોય
********************
ધર્મ વિષે અશુદ્ધ અને ધર્મ વિરોધી વિચારો ખૂબ જ પીડાદાયક હોઈ શકે છે કારણ કે આવા વિચારો જે લોકોમાં આવે છે તેઓ ખરેખર આસ્થા ધરાવનાર, ધાર્મિક અને ભલા સ્વભાવવાળા લોકો હોય છે.
ગતાંકમાં મેં Forbidden sexual thoughts વિશેના કેટલાક ઉદાહરણો આપ્યાં હતાં. શક્ય છે કે તમે આવા વિચાર ધરાવતા હોવ તો તમે ગભરાટ કે ચિંતાનો અનુભવ કરી શકો. કારણ તમે આવા વિચારોને ટાળવા માટે અત્યારસુધી અથાગ પ્રયત્નો કર્યા હશે. મેં કેટલાક ઉદાહરણો આપ્યાં હતાં. એ પાછળનો આશય એ હતો કે તમે તમારા વિચારોને ઓળખો અને એ વિશે કોઈ અપરાધભાવ ન અનુભવો. શક્ય છે કે આ વિચારોમાંથી બહાર આવવાના તમે જેમ જેમ પ્રયત્ન કરતાં જતા હતા તેટલા આ વિચારો બહાર નીકળવાને બદલે તમારા ચિત્તનું કેન્દ્ર બની જઈ તમારા મન પર સંપૂર્ણપણે કબજો જમાવી દીધો હોય. કારણ આવા વિચારો અંગે તમે કોઈની સાથે ક્યારેય વાતચીત કરી શકતા નથી. કદાચ તમે વાત કરી પણ હોય તો વધુ સરળ અને સચોટ રીતે નહીં કહ્યું હોય પણ આખી વાત બીજી જ રીતે સામેના વ્યક્તિને સ્વીકાર્ય બનાવીને રજુ કરી હશે. કારણ આ વિચારો આઘાતજનક અને નિમ્ન કક્ષાના છે અને એની નિખાલસ રજૂઆત સામેના વ્યક્તિ પર તમે એક બહુંજ ખરાબ વ્યક્તિ છો એવી અસર પાડી શકે છે.
પરંતુ તમે એવું ન માનશો કે,
'મારા વિચારો તો બધાંથી અલગ છે.'
'મારા વિચારો વધારે ગંભીર છે'
'હું ખરેખર સૌથી વધારે ખરાબ માણસ છું.'
તમે આપેલા ઉદાહરણોથી મારી વિકૃત લાગણીઓને હું સામાન્ય વિચાર કહી શકું તેમ નથી.
તમારી આ અસ્વસ્થતા સાહજિક છે પરંતુ તમારું ધ્યેય પીડામુક્ત થવાનું છે. એટલે જ થોડું એડજસ્ટમેન્ટ કરીને કે થોડી બેચેની સહન કરીને તમે મારી વાત મનમાં ઉતારતા જશો તો ધીરે ધીરે તમને આરામ અને શાંતિ મળશે કારણ તમે એક સારા, સજાગ અને સંયમિત વ્યક્તિ છો. એટલે જ આ લેખમાળા વાંચવામાં સામેલ છો. અહીં આવા વિચારોમાંથી મુક્ત થવા માટેની ઉપચાર પદ્ધતિઓ અને દવાઓ વિશેની પણ ચર્ચા કરીશું. પરંતુ હવે હું તમને બીજા પ્રકારના અનિચ્છનીય વિચારોના ઉદાહરણો આપું છું.
અશુદ્ધ કે ધર્મવિરોધી વિચારો
આ વિચારો ખૂબ જ પીડાદાયક હોઈ શકે છે કારણ કે આવા વિચારો જે લોકોમાં આવે છે તેઓ ખરેખર આસ્થા ધરાવનાર, ધાર્મિક અને ભલા સ્વભાવવાળા લોકો હોય છે.
શરૂઆતમાં સમજવું મુશ્કેલ હોય છે કે આવા વિચારોને દબાવવાની કોશિશ કરવી એ ધાર્મિકતા નથી, પણ ધાર્મિકતાનું વિકારરૂપ છે.
જ્યારે હું મારી પ્રાર્થનાઓ બોલતો હોઉં છું, ત્યારે મને એવું લાગશે કે હું યોગ્ય મનસ્થિતિમાં નથી અને ભગવાન જાણી શકે છે કે હું જે કહું છું એમાં મને સાચો વિશ્વાસ નથી. અત્યારે પણ જ્યારે હું પ્રાર્થના કરું છું, ત્યારે પણ પાપ સંબંધી વિચારો આવતા રહે છે, અને એ વિચારો વધુ ભયાનક બનતા જાય છે. હું મારૂ ધ્યાન એમાંથી હટી ના જાય એ માટે વધારે ભારથી પ્રાર્થના કરું છું, પણ પછી મારા મનમાં ધર્મવિરોધી અવાજો ઊભા થાય છે.
મને લાગે છે કે કદાચ કોઈ જૂના પાપ માટે મને સજા મળે છે, પણ એ પાપ શું હતું એ જ ખબર નથી...
અને હું સાચી રીતે માફી માટે પ્રાર્થના પણ કરી શકતો નથી. તેથી હું વધુ અને વધુ પ્રાર્થના કરું છું.
મને લાગે છે કે મારો આત્મા ખોવાઈ ગયો છે. મેં મારા ધર્મ ગુરુ સાથે વાત કરવાનો પ્રયાસ કર્યો, પણ એમને મારી વાત સમજાઈ નહીં.
થોડા મહિના પહેલા જ્યારે હું મંદિરમાં દાખલ થતો હતો, ત્યારે મારી અંદરથી અચાનક વિચાર આવ્યો - 'તને ખરેખર ભગવાનમાં વિશ્વાસ છે જ નહી , તું કોની સાથે ગમ્મત કરે છે? હવે તો હું જે કંઈ માનતો હતો - એ બધામાં તને શંકા થવા લાગી છે,
સાચું શું છે અને ખોટું શું છે -
એ બધા પર શંકા થાય છે
મારા ગુરુજી કહે છે કે સંતોને પણ શંકાઓ થતી હોય છે એટલે એમાં ગભરાવા જેવું કશું જ નથી , પણ હું ભગવાન વિશેના આવા શંકાશીલ વિચાર સહન કરી શકતો નથી.
જ્યારે હું કોઈ પવિત્ર જગ્યાએ હોઉં છું, જેમ કે મંદિર કે મસ્જીદમાં - ખાસ કરીને જ્યારે શાંતિ હોય - ત્યારે મને એવું લાગવા લાગે છે કે હું હવે કોઈ દુષિત કે ઘૃણાસ્પદ વાત વિચારીશ કે મન માં બોલી નાખીશ.
અહીં એક 50 વર્ષના કુસુમબેનની કેઈસ હિસ્ટ્રી ઉદાહરણ સ્વરૂપે રજુ કરુ છું.
કુસુમબેન તેમની તકલીફનું વર્ણન કરતા જણાવે છે કે ભગવાન કે કથાકાર જે કહે છે એ વાત એ ન માને તો તેના બાળકોને કંઇ ખરાબ થશે એવું એમને લાગે છે
તેમના સપનામાં જાતીય બાબતો અને અન્ય પુરુષો સાથેના સંબંધો આવે છે. રસ્તા પર ચાલતી વખતે તેઓ માથું નીચે રાખે છે કેમ કે માથું ઊંચું કરવાથી તેમની નજર પુરુષના જનનાન્ગો તરફ જશે. તેઓ કથાકારની વાતોમાં ખુબ જ શ્રદ્ધા રાખે છે. મૃત્યુ, નરક-સ્વર્ગ અને ધામક બાબતો વિશે સતત વિચારે છે. કોઇ તેમના વિચારની વિરુદ્ધ વાત કરે તો એના પર ગુસ્સે થાય છે.
તેમના સગા સ્નેહીઓ તેમની તકલીફ જણાવતા કહે છે કે , તેમને રાતે અતિશય ધર્મસંબંધિત અને જાતીય સ્વપ્નો અને વિચારો આવે છે, જેના કારણે તેમની ઊંઘ પૂરી થતી નથી. આવા વિચારોને કારણે તેઓ ઘણા જ દુખી થાય છે અને આવા વિચારો કરવા બદલ સતત ભગવાન પાસે માફી માંગે છે.
છેલ્લા બે મહીનામાં જાતીય વિચારો કરવાના અપરાધભાવ અને ગુનાહ ને કારણે તેમને ત્રણ વાર આત્મહત્યાનો પ્રયાસ કર્યો છે અને હજુ પણ પોતાને નુકસાન પહોંચાડવાની ઇચ્છા ધરાવે છે.
ભગવાન ઘરમાં પધાર્યા હોય તેમ લાગે છે, સ્પર્શ થાય છે અને તેની સુગંધ આવતી હોય એવું અનુભવાય છે.
તેઓ બહાર જવાનું ટાળે છે, જો જાય તો રસ્તા પર ચાલતી વખતે નીચે જોઈને ચાલે છે કારણ કે તેમને ડર લાગે છે કે જો કોઇ પુરુષ દેખાય તો તેના વિષે નકારાત્મક લાગણી આપોઆપ થઇ શકે છે.
તેઓ વારંવાર મંદિર જવા માગે છે અને ઘરને છોડી દેવાની વાત કરે છે. પતિ કહે છે કે તે ખૂબ કથા સાંભળે છે અને 'બાપા'ના બોલેલા દરેક વાતમાં ઊંડો વિશ્વાસ રાખે છે, અલગ અલગ દેવતાઓને પૂજે છે, ઉપવાસ રાખે છે.
તેમને મૃતપ્રાય જેઠ ઉપર શંકા થાય છે - 'મને એ હેરાન કરે છે અને સપનામાં આવે છે' - તેઓ પોતાના હાલના બધાં દુ:ખો માટે મૃતપ્રાય જેઠને જવાબદાર માને છે. શંકાને લીધે જેઠાણી સાથે વારંવાર ઝઘડા કરે છે. ધર્મ અને આધ્યાત્મિક બાબતોમાં અતિશય વિશ્વાસ રાખે છે. મોબાઇલમાં સતત ધાર્મિક વિડીયો જુએ છે અને તેમાંથી જે ઉપદેશ મળે એને અનુસરે છે.
ક્યારેક પોતાને ભગવાન સમાન માને છે -આ તેમનો મિથ્યા ભ્રમ છે. ક્યારેક તેઓ ખુબજ ગુસ્સે થાય છે. ખુબજ હઠ કરે છે છે તો ક્યારેક ખુબ જ બેચેન બની જાય છે. તેમના મૂડમાં ઉતર ચઢાવ આવ્યા કરે છે ક્યારેક એકદમ શાંત હોય છે તો ક્યારેક અત્યંત ગુસ્સા માં. કોઇ તેમ ને સલાહ આપે તો તે ઝઘડાળુ બને છે અને તેના તરફ દુશ્મનાવટ રાખતા થઇ જાય છે. પહેલા તેમને એવું લાગતું કે ફોનમાંથી કોઇ તેમની વાતો સાંભળે છે - પણ એ iPhone લીધા પછી ઓછો થયો છે.
આ લક્ષણો છેલ્લા 6-7 મહીનાથી વધારે છે. કુલ સમયગાળો : લગભગ ૨ વર્ષ જેટલો છે લક્ષણોની શરૂઆત ધીમે ધીમે થઇ હતી જે ઉત્તરોત્તર બગડતા જાય છે.
કુસુમબેનની હાલની માનસિક સ્થિતિનું મૂલ્યાંકન કરતા જણાય છે કે તેઓ ઓબ્સેસ્સીવ કમ્પલ્સિવ ડીસઓર્ડર જેવા લક્ષણો, ખોટા વિચારો (delusions), મૂડના ઊતાર-ચઢાવ અને અતિશય ધાર્મિક લાગણીઓ ધરાવે છે, જેની રોજીંદી જીંદગી અને સંબંધો પર નકારાત્મક અસર થઈ છે.
કુસુમ્બેનનો પૂર્વ ઈતિહાસ તપાસતા જણાય છે કે પાંચ -છ વર્ષ પહેલાં પતિની સેક્સ સમસ્યાને કારણે પોતે અસંતોષ અનુભવો શરૂ કર્યો હતો. ચાર વર્ષ પહેલાં ટૂર દરમ્યાન ટૂર મેનેજર માટે આકર્ષણ થયું, જે પછી ખૂબ અપરાધભાવના લાગવા માંડયો અને તેઓ ધાર્મિકતામાં ગરકાવ થઇ ગયા. સતત પ્રાર્થનાઓ, ધાર્મિક કથાઓ જોવાનું અને ભગવાન સાથે સપનામાં વાત થવાની શરૂ થઈ. કથાકાર પ્રત્યે ગંભીર લાગણી ધરાવતા થઈ ગયાં અને તેની દરેક વાત માનવા લાગ્યા. જુદા જુદા દેવી દેવતાઓના વ્રત, તપ, ઉપવાસ અને બાધા- માનતા રાખવા લાગ્યા. પરિવારને એમના બદલાતા વર્તન અને માનસિક સ્વાસ્થ્ય અંગે શરુઆતમાં ખ્યાલ ન આવ્યો.(ક્રમશ:)