Poojan Hospital

Poojan Hospital Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Poojan Hospital, Hospital, Poojan hospital, 63 c vijaynagar , behind KVO , hospital Road, Bhuj.

*રસ્તાનું સ્પીડ બ્રેકર તમને કેટલું નુકસાન કરે છે? આદર્શ સ્પીડ બ્રેકર કેવા હોવા જોઈએ?*https://t.me/DrNehalVaidya/434જ્યાર...
17/07/2025

*રસ્તાનું સ્પીડ બ્રેકર તમને કેટલું નુકસાન કરે છે? આદર્શ સ્પીડ બ્રેકર કેવા હોવા જોઈએ?*
https://t.me/DrNehalVaidya/434

જ્યારે પણ નવા રસ્તા બને ત્યારે સ્પીડબ્રેકરો ગાયબ થાય છે અને ફરી પાછા બિલાડીના ટોપની માફક ફૂટી નીકળે છે. આપણી આસપાસ નજર કરીએ છીએ તો લાગે છે કે સ્પીડબ્રેકર્સ બનાવવા માટે કોઈ ધારા-ધોરણો તો છે પણ સ્પીડબ્રેકર્સ બનાવનારા તેનું પાલન કરતા નથી.

*તમેય સાહેબ, આ હેલ્થનું લખવાને બદલે વળી જાહેર બાંધકામના વિષયમાં ક્યાં માથું મારવા લાગ્યા ?*

આપણી સામાન્ય સમજ એવી છે કે જાહેર બાંધકામના વિષયને જાહેર સ્વાસ્થ્યના વિષય સાથે કોઈ નિસબત નથી. - જો કે હકીકત કંઈક બીજી જ છે.

રોડ રસ્તાની હાલત અને સ્પીડબ્રેકરની બાંધણીની અસર જાહેર સ્વાસ્થ્ય પર પડે જ છે.

*એમ ? તમેય શું વળી! કોઈ મોટો ખાડો હોય તો થોડું પડી જવાય. કોઈ ખરાબ આકારનું સ્પીડબ્રેકર આવે તો થોડી કમર દુઃખી જાય. બીજું તો વળી શું થવાનું હતું ?*

એક યુવાન વ્યક્તિને કદાચ ઉબડ-ખાબડ રસ્તા અને ખરાબ આકારના સ્પીડબ્રેકરથી કદાચ ખાસ નુકસાન ન થાય પણ નાના બાળકો, સગર્ભા માતા અને વડીલોને ઘણું નુકસાન થઈ શકે છે.
અને હા, યુવાનોને પણ યુવા વયમાં લાગતા સ્પીડબ્રેકર્સના ઝાટકાની અસર વર્તાતી નથી પણ જ્યારે પણ તેમની ઉંમર વધે છે ત્યારે તેમના શરીર પર પણ આવા ઝાટકાઓની અસર વર્તાય છે.

*ઓહો, આ વાતનો તો ક્યારેય વિચાર જ નહોતો આવ્યો! અચ્છા ડોક્ટર, સામાન્ય રીતે સ્પીડબ્રેકરના ઝાટકા ખાવાથી શું નુકસાન થઈ શકે છે?*

નુકસાન ટૂંકા ગાળે અને લાંબા ગાળે એમ બન્ને રીતે થાય છે.

ટૂંકા ગાળાની અસરમાં જો કોઈ સૌથી સામાન્ય અસર હોય તો તે છે પીઠ અને ગરદનમાં દુઃખાવો. આવું ખાસ ત્યારે થાય છે જ્યારે અચાનક જ જોરથી ઉછળીને પડવાનું બને છે.

*હા. ડોક્ટર, સામાન્ય રીતે આપણા રસ્તાઓ પર સ્પીડબ્રેકર્સ રંગેલા હોતા નથી. વળી, ચેતવણીનું પાટિયું પણ લાગેલું હોતું નથી એટલે ચાલક જો ઝડપથી વાહન ચલાવતો હોય તો તેણે અચાનક જ સ્પીડબ્રેકરનો સામનો કરવો પડે છે. આવે વખતે ચાલક અને બીજા સહપ્રવાસીઓ ઉછળીને પટકાય છે. આવું થાય ત્યારે શું બને છે?*

જો ઉછાળ સામાન્ય હોય તો મુશ્કેલી થતી નથી પણ જો ઉછાળ વધારે હોય તો ગળાના સ્નાયુઓ, હાડકાં અને લિગામેન્ટ પર ઈજા થાય છે. આને “વ્હિપલેસ ઈન્જરી” કહેવાય છે.

આવી ઈજા બાદ ગરદન અને માથાના પાછળના ભાગે
સખત દુઃખાવો થાય છે. દર્દીને દિવસો સુધી માથાને ટેકો આપતો ગળાનો કોલર પહેરવો પડે છે.

દુઃખાવાની દવાઓ અને ફિઝિયોથેરાપી પણ કરવી પડે છે. આવી તકલીફ મટતા વાર કરે છે.

*આ તો બહુ તકલીફવાળું કહેવાય. આ સિવાય ટૂંકા ગાળે શું તકલીફ થઈ શકે ?*

-જેમ ગરદનના સ્નાયુ અને હાડકાં પર ઈજા થાય છે તેવી જ રીતે કમરના સ્નાયુ અને કરોડરજ્જુના હાડકાંને પણ નુકસાન થઈ શકે છે. આ કારણે કમરની નીચેના ભાગે દુઃખાવો થઈ શકે છે.

અચાનક ઉછળતા-પટકાતા હીપ જોઈન્ટ અને ઘૂંટણના સાંધા પર પણ દબાણ ખેંચાણ આવે છે એટલે ત્યાં પણ ઈજાની શક્યતાઓ રહેલી છે.

આ ઉપરાંત પ્રવાસમાં ઝાટકા લાગવાને કારણે ખૂબ થાક અનુભવાય છે.

બાઈક અને સ્કૂટર જેવા વાહનો અચાનક આવી જતા સ્પીડબ્રેકરને કારણે કાબૂ ગુમાવીને અકસ્માત નોતરી શકે છે. જેમાં જીવ પણ જઈ શકે છે.

*અને લાંબાગાળે શું નુકસાન થાય ?*

લાંબાગાળે એક તો કરોડરજ્જુની ગાદીને નુકસાન થાય છે. આ કારણે ડિસ્ક પ્રોલેપ્સ એટલે કે ગાદીનું ખસી જવું કે ડિસ્ક હર્નીએશન જેવી ગંભીર સમસ્યાઓ થઈ શકે છે.

બીજું, આપણા સાંધાઓને વારે-વારે ઝાટકા લાગવાથી લાંબે ગાળે તેની કાસ્થિઓ એટલે કે કાર્ટીલેજ ઘસાઈ જાય છે. આ કારણે સંધિવા થઈ શકે છે.

આ ઉપરાંત લાંબાગાળે ઝાટકાઓને કારણે માથાનો દુઃખાવો અને ઉઠતા બેસતા ચક્કર આવવાની સમસ્યા પણ થઈ શકે છે.

*માર્યા ઠાર ! આવી તો અમને ખબર જ નહોતી. અચ્છા ડોક્ટર, બાળકો, સગર્ભા માતા અને વડીલોને શું નુકસાન થાય છે?*

- બાળકોના હાડકાં નાજૂક હોય છે અને સામાન્ય ઉછાળ પણ તેમના માટે જીવલેણ બની શકે છે.
- ખાસ તો આજકાલ બાઈક પર પરિવાર સહિત નીકળવાનું ચલણ વધ્યું છે. ઘણા પરિવારો બાઈક પર એક ગામથી બીજે ગામ પણ જતા હોય છે. બાળકો માટે આવો પ્રવાસ ખૂબ જોખમી બની શકે છે.
- સગર્ભા માતાઓને તો ખૂબ કાળજી રાખવાની જરૂર છે. પ્રથમ ત્રણ માસ અને છેલ્લા ત્રણ માસ દરમ્યાન તો તેમણે કોઈ જ પ્રવાસ કરવો જોઈએ નહીં. અણઘડ સ્પીડબ્રેકરને કારણે તેમને એબોર્શન થઈ શકે છે. ક્યારેક ગર્ભાશયની દિવાલ પર ચોંટેલો પ્લેસેંટા ઈજા પામી શકે છે. આથી તેમને લોહી નીકળી શકે છે અને પેટમાં રહેલા બાળકોનો જીવ જોખમમાં આવી શકે છે. આ ઉપરાંત ઝાટકાને કારણે પ્રીમેચ્યોર ડિલિવરી પણ થઈ શકે છે.
- વડીલોનાં હાડકાં મજબૂત હોતાં નથી એટલે સામાન્ય ઝાટકામાં પણ તેમને ફ્રેક્ચર થઈ શકે છે. સાચું પૂછો તો ટુ-વ્હીલર અને રિક્ષામાં પ્રવાસ કરી રહેલા વડીલો માટે અણઘડ આકારના સ્પીડબ્રેકર શાપરૂપ છે.

*ડોક્ટર, તમારી વાત વાંચ્યા પછી તે એવું લાગે કે સ્પીડબ્રેકર્સ જ કાઢી નાખવા જોઈએ. ન હોય વાંસ અને ન વાગે વાંસળી ! કેમ, બરાબર ને ?*

ના. આ વાત બરાબર નથી. જો સ્પીડબ્રેકર જ ન હોય તો રોજ અનેક રાહદારીઓના જીવ, વિદ્યાર્થીઓના જીવન જોખમમાં મૂકાય.

- એ વાત બરાબર સમજો કે સાચી સમસ્યા સ્પીડબ્રેકર્સ નથી. સાચી સમસ્યા તો સ્પીડબ્રેકર્સ અને રસ્તો બનાવવાની રીત છે.

*તો શું તમે એમ કહેવા માંગો છો કે જે ઈજનેરે રસ્તા બનાવે છે અને જે લોકશાહીની સંસ્થાઓ તેમને કામ સોંપે છે. તેમને યોગ્ય રીતે રસ્તા અને સ્પીડબ્રેકર બનાવતા નથી આવડતા એમ ?*

બિલકુલ. આપણા શહેરો અને ગામડાઓમાં આપણે જે રસ્તાઓ ભોગવી રહ્યા છીએ તે ખૂબ જ પ્રાથમિક કક્ષાના છે.

કહો કે જૂના જમાનાની ગાડાવાટથી બે ડગલાં જ આગળના છે.

*એમ ? તો ખરેખર શું થવું જોઈએ ?*

- યોગ્ય રીતે રસ્તા અને સ્પીડબ્રેકર્સનું નિર્માણ થવું જોઈએ. જે દેશોમાં રસ્તા અને સ્પીડબ્રેકર્સ યોગ્ય રીતે બનાવેલા હોય ત્યાં વાહનચાલકો અને રાહદારીઓ એમ બંનેને ફાયદો મળે છે.

આપણે ત્યાં જ્યારે રસ્તાની વાત આવે ત્યારે રાજકીય પક્ષો પેરિસ જેવા રસ્તા બનાવી દઈશું કે યુરોપિયન સ્ટાન્ડર્ડના રસ્તા બનાવી દઈશું તેવું કહેતા હોય છે.

*તો શું આવા સ્ટાન્ડર્ડ વિદેશમાં જ બનાવવામાં આવ્યા છે? ભારત દેશનું પોતાનું રોડ રસ્તાની યોગ્ય બનાવટ માટે કોઈ સ્ટાન્ડર્ડ છે ખરું ?*

બિલકુલ છે. ભારતના રોડ રસ્તા અને સ્પીડબ્રેકર્સને નીતિનિયમો જે સંસ્થા બનાવે છે તેનું નામ છે : ઇન્ડીયન રોડ કોંગ્રેસ

આ સંસ્થા ભારતના રસ્તા અને સ્પીડ બ્રેકર્સ કેવા હોવા જોઈએ. તેની ગાઈડલાઈન બહાર પાડે છે.

*અચ્છા ? અહીં જ્યુબિલી ગ્રાઉન્ડ પાસે વીસ ફુટના અંતરે બે સ્પીડ બ્રેકર લગાયેલા છે એને કોર્ટ પાસેના ઢાળ પર તો ચાર-પાંચ ત્રીસ-ત્રીસ મીટરન અંતરે મૂકી દીધેલા છે તો ઈન્ડિયન રોડ કોંગ્રેસની ગાઈડલાઈન મુજબ બે સ્પીડ બ્રેકર વચ્ચે ઓછામાં ઓછું કેટલું અંતર રાખવું જોઈએ ?*

- આઈઆરસીની ગાઈડલાઈન મુજબ બે સ્પીડબ્રેકર વચ્ચે ઓછામાં ઓછું ૧૦૦ મીટરનું અંતર હોવું જોઈએ.
- શાળાઓ અને હોસ્પિટલો હોય તો આ નિયમમાં જરૂર મુજબ છૂટ લઈ શકાય છે.

*લ્યો કરો વાત. અહીં તો ક્યાંય આવી ગાઈડલાઈનનું પાલન થતું હોય તેવું લાગતું નથી. ગમે તે અંતરે ગમે તેવા સ્પીડબ્રેકર ઊભા કરી દેવાય છે. અચ્છા ડોક્ટર, ઈન્ડિયન રોડ કોંગ્રેસ મુજબ એક આદર્શ સ્પીડબ્રેકર કેવું હોવું જોઈએ ?*

સરસ સવાલ. સામાન્ય રીતે નગરપાલિકા વિસ્તારમાં વપરાતા સ્પીડબ્રેકર રાઉન્ડેડ હંપ (Rounded Hump) પ્રકારના હોય છે. તેમની વચ્ચેના ભાગની ઉંચાઈ મૂળ રસ્તાથી ૧૦ સે.મી. હોય છે અને પહોળાઈ ૩.૭ મીટર રાખવામાં આવે છે.

આવા સ્પીડબ્રેકર પરથી ૨૫ કિ.મી./કલાકની ઝડપે જો ગાડી કે સ્કૂટર ચલાવવામાં આવે તો ચાલક અને સહપ્રવાસીઓને કોઈ જ નુકસાન થતું નથી.

*સ્પીડબ્રેકર તો આદર્શ બની જાય પણ ચાલકને ખબર કેમ પડે કે રસ્તામાં આગળ સ્પીડબ્રેકર છે? તેની કોઈ આઈ.આર.સી.ની ગાઈડલાઈન છે ?*

ચોક્કસ છે. સ્પીડબ્રેકર બન્યાથી ૪૦ મીટર દૂર ચેતવણી આપતું બોર્ડ મૂકાવું જોઈએ.

આ ઉપરાંત ચાલકને રોડ પર દૂરથી જ સ્પીડબ્રેકર દેખાઈ જાય તે માટે તેના પર સફેદ પટ્ટા કરવા ફરજિયાત છે.

*શું સ્પીડબ્રેકર ગમે ત્યાં ગમે તે લોકો બનાવી શકે ?*

- બિલકુલ નહીં. આઈ.આર.સી.ની ગાઈડલાઈન મુજબ સ્પીડબ્રેકર્સ માત્ર યોગ્ય સત્તાવાળા બનાવી શકે અને એ પણ યોગ્ય ધારાધોરણો મુજબ જ બનાવી શકે. સત્તાવાળા પણ પોતાની મરજીથી ગમે ત્યાં સ્પીડબ્રેકર બનાવી શક્તા નથી.

*આઈ.આર.સી. મુજબ ક્યાં-ક્યાં સ્પીડબ્રેકર બનાવવાની મંજૂરી છે?*


(૧)નાના રસ્તાઓ પર જ્યાં તેઓ મોટા રસ્તાને મળતા હોય
(૨) શાળા-કોલેજો, હોસ્પિટલો અને આંગણવાડી કેન્દ્રો પાસે બાળકો અને દર્દીઓની સુરક્ષા માટે
(૩) દરેક રેલવે ક્રોસિંગ પહેલાં
(૪) ગ્રામિણ રસ્તાઓ હાઈવેને મળતા હોય ત્યાં
(૫) અકસ્માત સંભવિત વિસ્તારમાં.

*તો શું આ સિવાય સ્પીડબ્રેકર પાલિકા વાળા કે પંચાયતવાળા પણ ન બનાવી શકે એમ ?*

હા, ગુજરાત હાઈકોર્ટ સ્પીડબ્રેકર્સ બનાવવાના નિયમોનું સખત પાલન કરવા સૂચના આપેલી છે. ગેરકાયદેસર અને ર્નિયમોનું પાલન કર્યા વગર બનાવેલા સ્પીડબ્રેકર્સને દૂર કરવાના આદેશ પણ થયેલા છે.

*અચ્છા, શું કોઈ એવા રોડ હોય જ્યાં સ્પીડબ્રેકર બનાવવાની મનાઈ હોય?*

હા, નેશનલ હાઈવે, એક્સપ્રેસ-વે જેવા રસ્તાઓ પર સ્પીડબ્રેકર્સ બનાવવાની મનાઈ છે. એટલે જ તેમને મળતા રસ્તાઓ પર યોગ્ય અંતરે સ્પીડબ્રેકર્સ મૂકવાની ભલામણ કરવામાં આવી છે.

*વિદેશોમાં રસ્તાઓ પર સરસ સાઈનબોર્ડ હોય છે, સૂચનાઓ હોય છે, નિશાનીઓ અને ચિહ્નો હોય છે. રસ્તા પર પણ સરસ પટ્ટાઓ દોરેલા હોય છે. આપણે ત્યાં આવું કેમ નથી ?*

– કેમ નથી એ તો બનાવનારા જ કહી શકે પણ રસ્તાઓ યોગ્ય રીતે વપરાય અને ઓછા અકસ્માત થાય તે માટે તેમને રંગવા, સૂચનાઓ મૂકવી, સફેદ પટ્ટાઓ કરવા વગેરે ખૂબ જરૂરી છે.

🌸🌸🌸

એરોપ્લેન ક્રેશ જેવી ઘટના બાદ કેવી રીતે કરાય છે મૃતકો ની ઓળખ? શું છે તેનું વિજ્ઞાન?https://t.me/DrNehalVaidya/431આપણે ક્ય...
03/07/2025

એરોપ્લેન ક્રેશ જેવી ઘટના બાદ કેવી રીતે કરાય છે મૃતકો ની ઓળખ? શું છે તેનું વિજ્ઞાન?

https://t.me/DrNehalVaidya/431

આપણે ક્યારેય ધાર્યું ન હોય તેવો ગમખ્વાર અકસ્માત અમદાવાદમાં બની ગયો. વિમાન ઉપર ચડવાને બદલે ટેક ઓફ બાદ નીચે પટકાયું, એટલે તરત અગનગોળો બની ગયું. તેમાં ભારોભાર ફ્યુઅલ હતું એ સળગી ગયું.

વિમાનના યાત્રીઓ તો બળ્યા જ, પણ તેની સાથે સાથે વિમાન જ્યાં પડ્યું, એ મેડિકલ કોલેજની હોસ્ટેલ અને મેસમાં જમી રહેલા ડોક્ટર્સ પણ ચપેટમાં આવી ગયા. અત્યારે આખો દેશ આ ઘટનાથી સ્તબ્ધ છે.

જો કે, બચાવકાર્ય તરત જ ચાલુ થયું હતું. કોઈ એક વ્યક્તિ બચી જવા પામી છે, જ્યારે અનેક લોકોનાં મોત એવી રીતે થયાં છે કે તેમની ઓળખ કરવી પણ મુશ્કેલ બની ગઈ છે.

આવે વખતે મૃતદેહોની ઓળખ કરવી ખૂબ અગત્યની અને માનવીય વાત બની જાય છે.

સામાન્ય મોતના કિસ્સામાં આપણે ચહેરો જોઈને જ મૃતકને ઓળખી જઈએ છીએ, પણ જ્યારે આવી રીતે બળીને મૃત્યુ થયું હોય ત્યારે આમ કરવું અશક્ય બની જાય છે.

આવે વખતે વ્યક્તિની ઓળખ કરવા માટે વિજ્ઞાનનો સહારો લેવામાં આવે છે.

વિજ્ઞાન કેવી રીતે આ કાર્યમાં મદદ કરે છે, તે ટૂંકમાં સમજીએ :

*છાપામાં એવું વાંચ્યું કે મૃતદેહની ઓળખ કરવા માટે ફોરેસિક લેબોરેટરીની મદદ લેવામાં આવશે. ડી.એન.એ.ની તપાસથી આ ઓળખ કરવામાં આવશે. આ ડી.એન.એ.ની તપાસ એટલે શું?*

આપણું શરીર હજારો કોષોનું બનેલું છે. આ દરેક કોષનાં કેન્દ્રમાં એક કોષકેન્દ્ર હોય છે. આ કોષકેન્દ્રમાં આપણાં રંગસૂત્રો હોય છે. આ રંગસૂત્રો જે રસાયણથી બને છે, તેને કહેવાય છે ડી ઓક્સી રિબો ન્યુક્લિક એસિડ. એટલે કે, ટૂંકમાં ડી.એન.એ.

કોઈપણ વ્યક્તિનાં શરીરમાં માતા અને પિતામાંથી રંગસૂત્રો એટલે કે ડી.એન.એ. આવે છે. આનો અર્થ એ થયો કે જો બાળક અને માતા - પિતાનું ડી.એન.એ. સરખાવવામાં આવે તો માતા - પિતાનાં ડી.એન.એ. પરથી બાળકનું ડી.એન.એ. કયું છે તે ઓળખી શકાય છે.

બીજા શબ્દોમાં બાળકનો ચહેરો જોયા વગર જ નક્કી કરી શકાય છે કે તેનાં માતા - પિતા કોણ છે.

*પણ અકસ્માતની આગમાં તો બધું જ બળી જાય છે. આવે વખતે ડી.એન.એ.સેમ્પલ મળે કેવી રીતે ?*

તમારી વાત બિલકુલ સાચી છે. જો સંપૂર્ણ વિનાશ થયો હોય તો સેમ્પલ મળવું મુશ્કેલ બનશે, પણ સામાન્ય સંજોગોમાં નિષ્ણાતો હાડકાં, દાંત કે બચી ગયેલી માંસપેશીમાંથી ડી.એન.એ. ટેસ્ટ માટે સેમ્પલ મેળવી લે છે.

*સેમ્પલ મળી ગયા બાદ શું કરાય છે?*

ડી.એન.એ. સેમ્પલ મળી ગયા બાદ તેનું શુદ્ધીકરણ કરવામાં આવે છે. આ સાથે તેનાં સંભવિત માતા - પિતા કે ભાઈ -બહેનનાં સેમ્પલ પણ લેવામાં આવે છે.

આ બધાં સેમ્પલમાંથી ડી.એન.એ. મેળવીને પછી તેની સરખામણી કરવામાં આવે છે.

સરખામણી કરવાથી ક્યાં સેમ્પલ સાથે ક્યાં સગાં-સંબંધીનું સેમ્પલ મેચ થાય છે,તે ખબર પડે છે. આવી રીતે ફાઈનલ ઓળખ શક્ય બને છે.

*આ તો બહુ જટિલ પ્રક્રિયા હશે, નહીં?*

હા. આવી પ્રક્રિયા કરવામાં નિષ્ણાતોને સાતથી ૧૪ દિવસનો સમય લાગી જતો હોય છે. જો કેસ ઘણા વધારે હોય તો વધુ વાર પણ લાગી શકે છે.

*પણ શું ડી.એન.એ. ટેસ્ટિંગથી થતી ઓળખમાં ભૂલ ન થઈ શકે ?*

-આધુનિક વિજ્ઞાન અને ટેસ્ટની પદ્ધતિ એટલી સચોટ થઈ ચૂકી છે કે આ ટેસ્ટમાં ભૂલની શક્યતા માત્ર ૦.૦૧ ટકા જેટલી કે તેનાથી પણ ઓછી છે.

- જો કે, ડી.એન.એ.નો નમૂનો લેવામાં ભૂલ હોય, નમૂનામાં ભૂલથી કોઈ બીજાનું ડી.એન.એ. ભળી ગયું હોય તો ભૂલ થવાની શક્યતા ઊભી થાય છે.
- આ ભૂલ ડી.એન.એ. ટેસ્ટિંગને કારણે નહીં, પણ ઓફકોર્સ, માનવીય ભૂલ ને કારણે થાય છે.

*ક્યારેક ડી.એન.એ. સેમ્પલ ખૂબ ઓછાં પ્રમાણમાં મળે, તો શું થાય?*

ઓછાં પ્રમાણમાં મળતા ડી.એન.એ.ના જથ્થાને વધારવાની પ્રક્રિયા એટલે જ પી.સી.આર...! યાદ કરો, કોરોનાનો ટેસ્ટ.

અત્યારે પણ કોરોના માટે પી.સી.આર. પ્રક્રિયાથી થતો ટેસ્ટ જ વપરાય છે. પી.સી.આર. એ પોલીમરેઝ ચેઈન રિએકશનનું ટૂંકું છે. આ એક એવી રાસાયણિક પ્રક્રિયા છે, જેના દ્વારા ઓછાં પ્રમાણમાં મળેલા ડી.એન.એ.ના જથ્થાને વધારી શકાય છે.

જથ્થો વધે એટલે તેને અલગ અલગ ટેસ્ટમાં સહેલાઈથી વાપરી શકાય છે.

*જબરદસ્ત વિજ્ઞાન છે આ તો! અચ્છા, આ ડી.એન.એ. ટેસ્ટ સિવાય કોઈ બીજી રીત ખરી મૃતકની ઓળખ માટે ?*

હા, બીજી પણ રીતો છે. સાચું પૂછો તો મૃતકની ઓળખ માટે એક સાથે અનેક - રીતોનો ઉપયોગ કરવામાં આવે છે. આ બધી રીતોનો સરવાળો થાય એટલે ઓળખ ઘણી પાકી બને છે.

ઘણી વખત મૃતકના દાંતના એક્સ -રે મળી આવતા હોય છે. ભૂતકાળમાં જ્યારે કોઈ ડેન્ટલ પ્રોસીજર કરવામા કરવામાં આવી હોય ત્યારે આવો રેકોર્ડ ઊભો થાય છે.

તમને જાણીને નવાઈ લાગશે કે જેમ દરેક વ્યક્તિની ફિંગર પ્રિન્ટ એકસરખી નથી હોતી, તેવી જ રીતે દાંતની ગોઠવણ પણ એક સરખી નથી હોતી. આ ઉપરાંત, કાળક્રમે દાંતમાં ધાતુ ભરી હોય, દાંત કઢાવ્યા હોય વગેરેના એક્સ–રે રેકોર્ડ પણ હોય છે.

શંકાસ્પદ મૃતકના આવા રેકોર્ડ સરખાવવામાં આવે છે. આવી રીતે તે વ્યક્તિ કોણ હતી તેની ઓળખ કરવામાં આવે છે.

_દાંતની મદદથી કાયદાકીય ગૂંચ ઉકેલવાનાં વિજ્ઞાનને ફોરેન્સિક ઓડોન્ટોલોજી કહેવાય છે._

*શું આવી જ રીતે ફિંગર પ્રિન્ટ કામ લાગી શકે?*

ચોક્કસ લાગી શકે. મૃતકની ફિંગર પ્રિન્ટને તેના આધારકાર્ડની ફિંગર પ્રિન્ટ કે અન્ય જગ્યાએ લેવાયેલી ફિંગર પ્રિન્ટ સાથે સરખાવી શકાય. જો કે, વિમાન અકસ્માતમાં સામાન્ય રીતે ખૂબ આગ લાગી હોય છે. આથી ચામડી જ બળી જતી હોય છે. આવે વખતે ફિંગર પ્રિન્ટ બચી જાય તેવું ભાગ્યે જોગે બને છે.

*જેમ દાંતના જૂના એક્સ - રે કામ લાગે, તેવી રીતે શરીરના અન્ય ભાગોના જૂના એક્સ-રે શું કામ લાગી શકે ?*

સરસ સમજ્યા તમે. શરીરના કોઈપણ ભાગના જૂના એક્સ - રે સરખામણી માટે કામ લાગી શકે. આ ત્યારે ખાસ ઉપયોગી થાય, જ્યારે મૃતકને ભૂતકાળમાં કોઈ ફ્રેક્ચર થયાં હોય, પ્લેટ બેસાડેલી હોય કે સાંધો બદલાવેલો હોય.

*ડોક્ટર, હવે વાત સમજાય છે. બળી ગયેલા મૃતકના ડી.એન.એ. ટેસ્ટ ઉપરાંત તેના જ બીજા મેડિકલ રેકોર્ડ હોય, તે મેળવીને તેની સરખામણી કરવામાં આવે છે, જેથી મૃતકની ઓળખ પાકી થાય, બરાબરને ? આ ઉપરાંત શું કંઈ કરવામાં આવે છે?*

આ ઉપરાંત, ઘણીવાર મૃતકનાં કપડાંનો ટુકડો અથવા તો મૃતકની આસપાસથી મળેલાં ઘરેણાં, પાસપોર્ટ, ઘડિયાળ વગેરે જેવી વસ્તુઓ મૃતકને ઓળખવામાં મદદરૂપ થાય છે.

આમ,મૃતકને ઓળખવાનું વિજ્ઞાન એક વિશિષ્ટ વિષય છે. ફોરેન્સિકના નિષ્ણાતો તેમની કાબેલિયતથી આ વિજ્ઞાન વાપરીને મૃતકોની ઓળખ કરી આપે છે.

*ડોક્ટર, ઘણીવાર અજાણી લાશ મળે, તો ? ઘણીવાર તો લાશ સ્ત્રીની છે કે પુરુષની, તે પણ ખબર પડે તેમ હોતું નથી. એવે વખતે ફોરેસિક વિજ્ઞાનના નિષ્ણાતો શું કરે છે ?*

- વિમાન અકસ્માતમાં તો મુસાફરોનું એક લિસ્ટ હોય છે, તે ઉપરાંત પણ ઘણા આનુષંગિક પુરાવાઓ મેળવી શકાય છે, પણ જ્યારે અજાણી, કહોવાયેલી કે કટકા કરેલી લાશ મળે છે, ત્યારે ફોરેન્સિક ડોક્ટરની સાચી કસોટી થઈ જાય છે.

તમને જાણીને નવાઈ લાગશે કે આજનું ફોરેન્સિક વિજ્ઞાન એટલું આગળ વધી ગયું છે કે એક હાડકું મળે તો પણ તેના પર વિવિધ પરીક્ષણ કરીને નિષ્ણાતો એ કહી શકે છે કે તે હાડકું મનુષ્યનું છે કે નહીં, તે સ્ત્રીનું છે કે પુરુષનું, તેની ઉંમર કેટલી રહી હશે, તેનાં મોતને આશરે કેટલો સમય થયો હશે… આ બધી માહિતીથી કેસની તપાસ કરતી ટીમને ખૂબ મહત્ત્વની વિગતો હાથ લાગે છે અને તેઓ આરોપી સુધી પહોંચી શકે છે.

*અમે એવું સાંભળ્યું છે કે કોઈ ટચ ડી.એન.એ. નામનો ટેસ્ટ પણ થાય છે. એ શું છે વળી ?*

ટચ ડી.એન.એ. એ ડી.એન.એ. ટેસ્ટિંગની ખાસ રીત છે. આ ટેકનિકમાં ગુનાનાં સ્થળેથી પરસેવો કે મૃત ત્વચા જેવા નાના નમૂનાઓ લેવામાં આવે છે. આવા નમૂનાઓમાંથી પણ ડી.એન.એ. તારવી લેવાય છે.

ગુજરાતમાં ગાંધીનગરની ફોરેન્સિક લેબમાં આવા ટેસ્ટ કરવાની વ્યવસ્થા છે.

ઘણીવાર ગુનેગાર ગુનાનાં સ્થળે પોતાની ફિંગર પ્રિન્ટ પણ છોડતો નથી. આવે વખતે તેનો પરસેવો, વાળ કે નખની મદદથી પણ ટચ ડી.એન.એ. ટેસ્ટ થઈ શકે છે.

ગુજરાતમાં ટચ ડી.એન.એ. ટેસ્ટિંગની મદદથી પોલીસને ઘણા કેસ ઉકેલવામાં મદદ મળી છે.

*અચ્છા ડોક્ટર, ફોરેસિક નિષ્ણાત બનવું હોય તો શું કરવું પડે છે ?*

એ માટે સૌ પ્રથમ તો એમ.બી.બી.એસ. કરવું પડે છે. અન્ડર ગ્રેજ્યુએટ લેવલે સેકન્ડ એમ.બી.બી.એસ.માં ફોરેન્સિક મેડિસીન શીખવવામાં આવે છે. આ કારણે દરેક એમ.બી.બી.એસ. ડોક્ટર પોસ્ટમોર્ટમ કરવા સક્ષમ બને છે.

જેમ મેડિસીન, સર્જરી, ગાયનેકોલોજી જેવી બ્રાન્ચમાં પોસ્ટ ગ્રેજ્યુએશન થાય છે, તેવી જ રીતે એમ.બી.બી.એસ. બાદ ફોરેન્સિક મેડિસીનમાં પણ પોસ્ટ ગ્રેજ્યુએશન એટલે કે એમ.ડી. થઈ શકાય છે.

આ ઉપરાંત, અમુક યુનિવર્સિટીમાં બી.એસસી. પણ ફોરેન્સિક સાયન્સના વિષય સાથે થઈ શકાય છે.

_તમને જાણીને નવાઈ લાગશે કે ગુજરાતમાં વિશ્વની સર્વપ્રથમ એવી ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી છે. ભારતની તે એકમાત્ર એવી સંસ્થા છે કે જ્યાં માત્ર ફોરેન્સિક સાયન્સ જ ભણાવવામાં આવે છે_.

અહીં બી.એસસી. + એમ.એસસી. એમ પાંચ વર્ષનો ઈન્ટિગ્રેટેડ કોર્સ કરાવવામાં આવે છે.

અહીં પ્રવેશ લેવા માટે ૧૨ સાયન્સમાં ઓછાંમાં ઓછા ૬૦ ટકા ગુણ હોવા જરૂરી છે. જો તમે પછાત વર્ગમાંથી આવો છો, તો ૫૦ ટકા ગુણ જરૂરી છે. અહીં પણ પ્રવેશ પરીક્ષા લેવામાં આવે છે. આ પરીક્ષાને “નેશનલ ફોરેન્સિક એડમિશન ટેસ્ટ' કહેવાય છે.

આ ઉપરાંત, ગુજરાતમાં ગુજરાત યુનિવર્સિટી, સરદાર પટેલ યુનિવર્સિટી અને ભાવનગરની જ્ઞાનમંજરી યુનિવર્સિટી પણ ફોરેન્સિક સાયન્સમાં બી.એસસી. તેમજ આગળના અભ્યાસો કરાવે છે.

*ટેક કેર* : ગયેલા પાછા આવવાના નથી, પણ તેમની યોગ્ય ઓળખથી પરિવારને સાંત્વન મળવામાં મદદ મળે છે. આ ઉપરાંત, સરકારી પ્રક્રિયાઓ અને મદદમાં પણ તે કામ લાગે છે.

🌸🌸🌸

ઇન્જેક્શન લેતા પહેલાં આટલું જાણો !
19/06/2025

ઇન્જેક્શન લેતા પહેલાં આટલું જાણો !

ગરમી ની મોસમ માં તડકા થી કેવી રીતે બચવું એ તો ઘણી જગ્યાએ વાંચ્યું હશે. પણ શું તમે જાણો છો કે સવાર નો કુણો નહીં પણ બપોર ન...
14/05/2025

ગરમી ની મોસમ માં તડકા થી કેવી રીતે બચવું એ તો ઘણી જગ્યાએ વાંચ્યું હશે. પણ શું તમે જાણો છો કે સવાર નો કુણો નહીં પણ બપોર નો કાળઝાળ તડકો આપણા સારા સ્વાસ્થ્ય માટે કામનો છે?

માત્ર વિટામિન ડી જ નહીં પણ આપણા જીવન માટે જરૂરી બીજા અનેક તત્વો નું પ્રમાણ તડકા ને કારણે આપણા શરીર માં વધે છે.

વાંચો વૈજ્ઞાનિક માહિતી :

https://whatsapp.com/channel/0029VaFQOZC2UPBPX8OGj91K/419

અત્યારે અછબડા ની મોસમ ચાલી રહી છે ત્યારે વાંચો અગત્યની માહિતી: - ઓરી અછબડા માં શું ફેર છે?- અછબડા કેવી રીતે થાય છે? કેમ ...
11/04/2025

અત્યારે અછબડા ની મોસમ ચાલી રહી છે ત્યારે વાંચો અગત્યની માહિતી:

- ઓરી અછબડા માં શું ફેર છે?
- અછબડા કેવી રીતે થાય છે? કેમ બચી શકાય?
- અછબડા થાય તે બાળક ના નખ શા માટે કાપી નાખવા જોઈએ?
- સગર્ભા માતા ને અછબડા થાય તો શું થાય? તેનાથી કેવી રીતે બચી શકાય?

વાંચો અને આગળ શેર કરો:
https://whatsapp.com/channel/0029VaFQOZC2UPBPX8OGj91K/397

એસી વાપરવાની આવી વૈજ્ઞાનિક ગાઈડ તમે વાંચી નહીં હોય !જાણો એર થર્મોડાયનેમિકસ્ અને  હ્યુમન થર્મોડાયનેમિકસ્ ના આધારે એસી વાપ...
27/03/2025

એસી વાપરવાની આવી વૈજ્ઞાનિક ગાઈડ તમે વાંચી નહીં હોય !

જાણો એર થર્મોડાયનેમિકસ્ અને હ્યુમન થર્મોડાયનેમિકસ્ ના આધારે એસી વાપરવાની પરફેક્ટ ગાઈડ..!

https://whatsapp.com/channel/0029VaFQOZC2UPBPX8OGj91K/387

શું છે વેજીટેબલ ક્લીનર મશીનો ની સચ્ચાઈ ? શું ગટરમાં ઉગાડેલા શાકભાજીને તે પૂરેપૂરા સાફ કરી શકે છે ? શું શાકભાજી અને ફળોમા...
19/03/2025

શું છે વેજીટેબલ ક્લીનર મશીનો ની સચ્ચાઈ ? શું ગટરમાં ઉગાડેલા શાકભાજીને તે પૂરેપૂરા સાફ કરી શકે છે ? શું શાકભાજી અને ફળોમાં ભળી ગયેલા પેસ્ટીસાઈડ અને અન્ય રસાયણોને તે દૂર કરી શકે છે ?

જાણો >>>>
https://whatsapp.com/channel/0029VaFQOZC2UPBPX8OGj91K/383

*જાણો રોગપ્રતિકારક શક્તિ સારી કરવાના 10 મંત્ર !*https://t.me/DrNehalVaidya/398લ્યો બધાને ભાવતું ગયું! આવી ગયો છે હ્યુમન ...
30/01/2025

*જાણો રોગપ્રતિકારક શક્તિ સારી કરવાના 10 મંત્ર !*

https://t.me/DrNehalVaidya/398

લ્યો બધાને ભાવતું ગયું! આવી ગયો છે હ્યુમન મેટા ન્યૂમો વાયરસ એટલે કે એચ.એમ.પી.વી.! ચારે કોર અત્યારે એની જ ચર્ચા ચાલે છે: ફરી કોરોના વખતે થયું એવું થશે શું? ચીનનો છે ફરી પાછો ? કેટલા કેસ થયા? કેટલાં મોત થયાં ? ભારતમાં કેટલાં થયાં ? ચીન શું છુપાવે છે? આ ગરમાગરમ ચર્ચાઓ વચ્ચે વૈજ્ઞાનિકો અને ડોક્ટર્સ સમજાવી રહ્યા છે : અરે, આ તો જૂનો વાયરસ છે અને ભારતમાં પણ પહેલેથી જ હાજર છે. તેની મારક ક્ષમતા બહુ ઓછી છે. તેનાથી ખાસ તો નાનાં બાળકો અને મોટી ઉમરના લોકોને અસર થાય છે.

આ ઉપરાંત જેમની રોગપ્રતિકારક શક્તિ ઓછી હોય તેમના પર પણ અસર થાય છે. એટલે સામાન્ય જનતાને આ રોગથી ડરવાની કોઈ જ જરૂર નથી.

વિશ્વ આરોગ્ય સંસ્થાએ કોઈ જ ઈમર્જન્સી જાહેર કરી નથી. એટલે શાંતિ કરો... તો પણ શેરબજાર તૂટ્યું, મીડિયા અને સોશિયલ મીડિયા પર ચર્ચાઓ ચાલુ રહી.

_આ ચર્ચાઓની સાથેસાથે ફરી પાછી રોગપ્રતિકારક શક્તિ પણ ચર્ચાનાં કેન્દ્રમાં આવી ગઈ. કેમ કે આ વાયરસ સામે તેમજ અન્ય બીમારીઓ સામે લડવા માટે રોગપ્રતિકારક શક્તિ ખૂબ અગત્યનો ભાગ ભજવે છે._

કોરોનાકાળમાં આપણે રોગપ્રતિકારક શક્તિનું મહત્ત્વ સમજી ગયા છીએ.

*હા, સાચી વાત છે. રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે અનેક નુસખાઓ અને દવાઓ સોશિયલ મીડિયામાં ફરવા લાગ્યા છે. શું આવા કોઈ નુસખાઓ કે દવાઓથી રોગપ્રતિકારક શક્તિ વધારી શકાય ?*

- ના, એવા કોઈ જ નુસખા કે દવાઓ નથી જેને લેવાથી રોગપ્રતિકારક શક્તિ વધે.

*તો શું અરધું પાનું ભરીને જે દવાની જાહેરાત આવે છે તે પણ ખાસ રોગ-પ્રતિકારક શક્તિ વધારવા માટે એ ખોટી ?*

હા, બિલકુલ ખોટી !

*હદ કરો છો, ડોક્ટર તમે તો! જો આ બધું ખોટું હોય તો સાચું શું છે તે તમે જ કહો. તમે જ કહો કે ઈમ્યુનિટી વધારવા કઈ દવા-લેવી?*
- ઈમ્યુનિટી એટલે કે રોગપ્રતિકારક શક્તિ કેવી રીતે સારી કરવી તે વાત સમજવા માટે પહેલાં તો તમે એ સવાલનો જવાબ આપો કે તમારી કાર ચલાવવા માટે શું કરવું પડે ?

*લ્યો વળી એમાં શું મોટી વાત છે ! પેટ્રોલ નાખો એટલે કાર ચાલુ બરાબર ને ?*

એ કહો કે પેટ્રોલ હોય પણ ઓઈલ ન હોય તો કાર ચાલે ?

*હા, ઓઈલ પણ જોઈએ.*

કારના ટાયર્સમાં પૂરતી હવા ન હોવી જોઈએ ?

*હવા પણ હોવી જોઈએ.*

અચ્છા રાતના ચલાવવા માટે લાઈટ બરાબર ન જોઈએ ?

*કેવી વાત કરો છો ? કાર યોગ્ય રીતે ચાલે એ માટે પેટ્રોલ ઉપરાંત ઓઈલ, ટાયરમાં હવા, લાઈટ્સ, વરસારામાં વાઈપર્સ, ઉનાળામાં એસી એમ બધું જ સારી રીતે કામ કરતું હોય તો જ કાર સરસ ચાલે. આ તો કોમન સેન્સની વાત છે.*

અચ્છા કાર એકદમ રેડી હોય અને વીમો ન હોય તો ? પીયુસી ન હોય તો ?

*અરે ડોક્ટર આ બધું જોઈએ. તમે તો મગજ ખાઈ ગયા. એ તો કહો કે, આ વાતને અને રોગપ્રતિકારક શક્તિને શું લેવા-દેવા છે ?*

- કાર સરસ રીતે ચાલે એ માટે જેમ એક સાથે ઘણી બધી વસ્તુઓ યોગ્ય જોઈએ તેવી જ રીતે તમારી રોગપ્રતિકારક શક્તિ સરસ રીતે કામ કરે એ માટે એક સાથે ઘણી બધી વસ્તુઓ યોગ્ય જોઈએ.
- કહેવાનો અર્થ એ છે કે રોગપ્રતિકારક શક્તિ સારી કરવા માટે કોઈ એકાદો નુસખો કે એકાદી દવા કામ કરતી નથી.

*તો હવે કઈ કઈ દવાઓ લેવી જોઈએ એ જ કહી દો ને?*

રોગપ્રતિકારક શક્તિ સરસ કામ કરે એ માટે કોઈ જ દવાની જરૂર નથી.

*કોઈ દવાની જરૂર નથી એમ કહો છો? સાચે જ ? તો શેની જરૂર છે ?*

- રોગપ્રતિકારક શક્તિ સારી રીતે કામ કરે એ માટે કોઈ જ દવાની જરૂર નથી.
- હા, તમારા શરીરમાં કોઈ વિટામીનની ખોટ હોય, કોઈ તત્ત્વોની ખોટ હોય તો ડોક્ટરની સલાહ પ્રમાણે તમે કોઈ દવા લઈ શકો છો. આ સિવાય કોઈ જ દવાની જરૂર નથી.

*ઓહો, આ તો નવી વાત કરી તમે. ડોક્ટર, રોગપ્રતિકાર શક્તિ સારી કરવા શું-શું કરવું પડે એ નહીં કહો ?*

બસ હવે એ જ વાત કરીએ.

_યાદ રાખજો કે જેમ કાર સરસ ચાલે એ માટે ઘણી બધી વસ્તુઓ યોગ્ય રીતે કરવી પડે તેવી જ રીતે આપણી રોગપ્રતિકારક શક્તિ સરસ રીતે ચાલે એ માટે ઘણી બધી શરતો પૂરી થવી જોઈએ. આ માટે કોઈ જ શોર્ટકટ નથી._

રોગપ્રતિકારક શક્તિ સારી ચાલે એ માટે આટલું ખૂબ જરૂરી છે :

(૧) સમતોલ આહાર : શાકભાજી, ફળો, પ્રોટીન, ફણગાવેલા કઠોળ ખાસ લેવા. બજાર અને મોલમાં મળતા રંગરંગીન નાસ્તાના પેકેટો, ખાખરાઓ, ખાંડથી અને માલ્ટોડેક્સટ્રીનથી ભરપૂર મીઠાઈ, ઠંડાપીણાં, કહેવાતા એનર્જી ડ્રિંક અને અલ્ટ્રા પ્રોસેસ્ડ ફૂડ્સથી દૂર રહેવું.

(૨) કસરત : શારીરિક શ્રમ અને કેસરતથી રોગપ્રતિકરક શક્તિને ઘણો ફાયદો થાય છે.

(૩) પૂરતી ઊંઘ : તમારી ઊંમર પ્રમાણે યોગ્ય ઊંઘ લેવી. ૭-૮ કલાકની ઊંઘ ખૂબજરૂરી છે. અપૂરતી ઊંઘ રોગપ્રતિકારક શક્તિને અવળી અસર કરે છે.

(૪) સ્ટ્રેસ એટલે કે ચિંતા અને તાણથી દૂર રહો : આ કામ સહેલું નથી પણ એ માટે પણ હવે ઘણી બધી ટેકનિક્સનો ઉપયોગ કરી શકાય છે. પ્રાર્થના, પૂજા, યોગ ઉપરાંત પ્રોગ્રેસિવ રિલેક્સેશન, સંગીત, મસ્ક્યુલર રિલેક્સેશન, સેલ્ફ હિપ્નોસીસ, ધ્યાન, બ્રીધિંગ ઓબ્ઝર્વેશન વગેરેમાંથી તમને જે ફાવે તે ટેકનિક્નો ઉપયોગ કરી શકો છો.

(૫) પૂરતું પ્રવાહી લ્યો ઃ ૧૦ કિલોના બાળકને ૨૪ ક્લાક્માં લગભગ ૧ લિટર, ૨૦ કિલોનાં બાળકને દોઢ લિટર, ૩૦ ક્લિોનાં બાળકને પોણા બે લિટર પ્રવાહીની જરૂર પડે છે.
ખાસ તો બીમારીમાં આ વાત પર ખૂબ ધ્યાન આપવું અને બીમારી વખતે _ડબલ્યુએચઓના માર્કાવાળું ઓઆરએસ_ પીવડાવતા રહેવું.

આવી જ રીતે વયસ્ક સ્ત્રી-પુરુષને લગભગ બેથી અઢી લિટર પ્રવાહીની જરૂર પડે છે.

(૬) તમાકુ સેવન અને ધૂમ્રપાનથી દૂર રહો : તમાકુનું કોઈ પણ પ્રકારનું સેવન નુકસાનકારક છે.

(૭) આલ્કોહોલવાળાં પીણા અને દારૂથી દૂર રહો

(૮) યોગ્યવજન જાળવો : તમારી બોડી માસ ઈન્ડેક્સ એટલે કે બી.એમ.આઈ. ૩૦થી વધુ ન હોવી જોઈએ. તમને જાણીને નવાઈ લાગશે કે જો વધુ વજન હશે તો અમુક પ્રકારની રસીઓની અસરકારકતા પણ ઓછી થાય છે, ફ્લુ, હિપેટાઈટીસ બી અને ધનુરની રસીની અસર વધુ વજનવાળા લોકોમાં ઓછી થાય છે.

(૯) રસીકરણ : યોગ્ય રસીકરણ બાળકો અને મોટેરાઓને સક્ષમ રોગપ્રતિકારક શક્તિ ઉભી કરવામાં મદદ કરે છે.

(૧૦) સામાન્ય બીમારી આવવા દો : નવાઈ લાગીને ? પણ સામાન્ય બીમારીઓ જરૂરી છે કેમ કે તે આપણી રોગપ્રતિકારક શક્તિને રોગો સામે લડવા માટે ‘નેટ પ્રેક્ટિસ' કરાવાતી રહે છે. કહેવાનો અર્થ એ છે કે, સામાન્ય શરદી-ખાંસીમાં ડરવું નહીં. હા, લક્ષણો વધે તો ડોક્ટરની સલાહ લઈ લેવી.

*ઓ હો, આ તો આખી લાઈફસ્ટાઈલ સુધરે તો રોગપ્રતિકારક શક્તિ સારી થાય એમ લાગે છે. અચ્છા ડોક્ટર, એ કહો કે બજારમાં અલગ-અલગ દવાઓ ઈમ્યુનિટી બૂસ્ટર તરીકે વેચાય છે તે શું છે?*

આ સવાલનો એક શબ્દ નો જવાબ છે. : માર્કેટિંગ!

હા, આગળ વાત થઈ એ પ્રમાણે એવી કોઈ જ દવા નથી, જેનાથી ઈમ્યુનિટી 'બૂસ્ટ' થતી હોય એટલે કે વધતી હોય.

અહીં બીજી વાત પણ સમજવા જેવી છે. ધારો કે જો કોઈ દવા એવી છે કે, જેનાથી ખરેખર રોગપ્રતિકારક શક્તિ વધે છે એટલે કે 'બૂસ્ટ’ થાય છે તો આવી દવા ફાયદો કરેકે નુકસાન?

ઈમ્યુનિટી વિશે જરા પણ વૈજ્ઞાનિક સમજ રાખનાર વ્યક્તિ જાણે છે કે, વધુ પડતી ઈમ્યુનિટી સારી નથી અને એ મોતનું કારણ પણ બની શકે છે.

_યાદ કરો કોવિડ, એ વખતે પ્રથમ તબક્કામાં વાયરસનો હુમલો થતો હતો અને બીજા તબક્કામાં પોતાના જ શરીર પર પોતાની જ ઈમ્યુનિટીનો હુમલો થતો હતો. જેનું શરીર ઈમ્યુનિટીના વધુ હુમલો કુમલા કરતુ હતું તેનું મોત થતું હતું અને એટલે જ કોવિડના બીજા તબક્કાની સારવારમાં ઈમ્યુનિટીને દાબવાની દવાઓ જેવી કે સ્ટીરોઈડ્સ આપવા પડતા હતા. યાદ આવ્યું ? ટૂંકમાં કહીએ તો એવી કોઈ જ દવા નથી કે જેનાથી ઈમ્યુનિટી 'બૂસ્ટ' થાય અને ખરેખર જો એવી દવા હોય તો એવી દવા લેવાય પણ નહીં !_

*તો પછી આપણે આ લેખમાં રોગપ્રતિકારક શક્તિ વધારવાની શા માટે વાત કરી રહ્યા છીએ ?*

પહેલાં તો આ લેખ ફરીથી વાંચી જાવ. આ લેખમાં આપણે ક્યાંય પણ ઈમ્યુનિટી વધારવાની કે બૂસ્ટ કરવાની વાત કરી જ નથી.

આપણે વાત કરી છે ઈમ્યુનિટી સરસ રીતે કામ કરે એની. મતલબ કે શરીર પર જ્યારે કોઈ જંતુઓનો હુમલો થાય ત્યારે એ સમતોલ રીતે કામ કરે.
ન તો ઓછું કે ન તો વધારે. જેટલું જરૂર હોય તેટલું જ. એને જ સરસ કામ કર્યું કહેવાય.

એટલે જ આગળ જે ૧૦ મુદ્દાઓ આપ્યા છે તેનાથી ઈમ્યુનિટી કે રોગપ્રતિકારક શક્તિ વધતી નથી, 'બૂસ્ટ' નથી થતી પણ તે યોગ્ય રીતે કહો કે પ્રમાણસર અને સરસ રીતે કાર્ય કરે છે જેથી દરેક રોગ સામે શરીરનું યોગ્ય રક્ષણ થાય છે.

*ગુજરાતીમાં કહેવત છે : અતિની ગતિ નથી. રોગપ્રતિકારક શક્તિ માટે પણ આ જ કહેવત લાગુ પડે છે ખરું ને ડોક્ટર ?*

- હા, તમે બરાબર સમજ્યા. એટલે જ મીડિયાની જાહેરાતો અને સોશિયલ મીડિયાના નુસખાઓથી બચો.
- આજથી જ લાઈફસ્ટાઈલ સુધારવા મંડી પડો.

*ટેક કેર* : સપ્રમાણ રોગપ્રતિકારક શક્તિ જ શ્રેષ્ઠ છે. તેના કોઈ ‘બૂસ્ટર' છે નહીં હોય તો લેવાય નહીં. સાચવજો !

🧬🧬🧬

17/01/2025

नशे को स्टेटस सिंबल न समझे !
-- डो जीतेन्द्र पारिक

*રશિયા ની કેન્સર વિરોધી રસી : સાચી કે ખોટી?*https://t.me/DrNehalVaidya/395શું કેન્સરની રસી શોધાઈ ગઈ ? મિડિયામાં ગાજતા સમ...
14/01/2025

*રશિયા ની કેન્સર વિરોધી રસી : સાચી કે ખોટી?*

https://t.me/DrNehalVaidya/395

શું કેન્સરની રસી શોધાઈ ગઈ ? મિડિયામાં ગાજતા સમાચારોનું માનીએ તો રશિયાના વૈજ્ઞાનિકોએ આવી રસી શોધી લીધી છે. એટલું જ નહીં, આ રસી ૨૦૨૫થી રશિયાના નાગરિકોને મફત મૂકવામાં આવશે. આ રસીના એક ડોઝની કિંમત લગભગ ૨,૮૭૦ ડોલર એટલે કે રૂપિયા અઢી લાખ જેટલી થશે.

*આ તો કમાલ વાત છે. અમે પણ છાપામાં આ વિશે વાંચ્યું. શું આ રસી બધા જ કેન્સરને થતાં અટકાવી દેશે ?*

રશિયાના સ્વાસ્થ્ય વિભાગના દાવા સાચા માનીએ તો આ રસી લગભગ દરેક કેન્સર માટે ઉપયોગી થશે.
_જો કે, એક વાત અહીં ફોડ ખાડીને સમજાવી દઈએ : સામાન્ય રીતે કોઈપણ રસી રોગને થતાં અટકાવે છે. રશિયાએ શોધેલી આ રસી કેન્સર અટકાવવા માટે, એટલે કે કેન્સર થતું જ રોકવા માટે કામ લાગતી નથી, પણ કેન્સર થયા બાદ તેની સારવારમાં કામ લાગે છે_.

*ઓહો. કેવી રીતે કામ કરે છે આ રસી ?*

આપણાં શરીર પર જ્યારે કોઈ બહારનું જંતુ હુમલો કરે છે, ત્યારે તેને આપણી રોગપ્રતિકારક શક્તિ મારી નાખે છે. કેન્સરના કોષો સામે આપણી રોગપ્રતિકારક શક્તિ લડતી નથી, કેમ કે આ કોષો આપણાં પોતાનાં શરીરના જ હોય છે. રશિયાની કેન્સર વિરોધી રસી તેની કરામતથી આપણાં શરીરની કેન્સરની ગાંઠના કોષોને 'પરાયા' બનાવી દે છે. બીજા શબ્દોમાં કહીએ, તો રસીને કારણે કેન્સરના કોષો આપણી રોગપ્રતિકારક શક્તિને દુશ્મન તરીકે દેખાવા લાગે છે, એટલે હવે તે આ કોષો પર હુમલો કરીને તેનો નાશ કરવા કોશિશ કરે છે.

*આ તો ગજબ કહેવાય ! શું દરેક કેન્સરમાં આ રસી કામ લાગશે ?*

રશિયાના હેલ્થ વિભાગનું માનીએ તો આ રસી દરેક દર્દી માટે અલગ અલગ બનાવવામાં આવશે. જેનું જેવું કેન્સર, એની એવી રસી. જેનું જેવું શરીર અને શરીરના કેન્સરગ્રસ્ત કોષો, એવી તેની રસી. આવી રસી તૈયાર કરતાં ખૂબ બધી ગણતરીઓ અને કોમ્પ્યુટેશન કરવું પડે છે. પહેલાં આ કામ માટે કોમ્પ્યુટર્સને પણ ઘણો વખત લાગતો, પણ હવે આર્ટિફિશિયલ ઈન્ટેલીજન્સના ન્યુરલ નેટવર્ક કોમ્પ્યુટિંગનો ઉપયોગ કરવામાં આવશે.

આ કારણે ગણતરીની આ પ્રક્રિયા હવે માત્ર એકાદ કલાકમાં જ પૂરી થઈ શકશે. આ માટે ઈવાનીકોવ ઈન્સ્ટિટ્યૂટની ખાસ મદદ લેવામાં આવશે.
આમ, કેન્સરના દરેક દર્દી માટે 'પર્સનલાઈઝ્ડ' વેક્સિન બનાવવામાં આવશે.

*શું આ ટેક્નોલોજી માત્ર રશિયા પાસે જ છે ?*

રશિયાના વૈજ્ઞાનિકોએ જેવી રસી બનાવી છે, કંઈક તેવી જ રસી દુનિયાના બીજા દેશોમાં પણ બની રહી છે. જો કે, તેમાં ધારી સફળતા મળી નથી.

ફ્લોરિડા યુનિવર્સિટીમાં આવી એક રસી પર પ્રયોગ ચાલી રહ્યા છે. આ રસી ગ્લાયોબ્લાસ્ટોમા નામનાં મગજનાં કેન્સર વિરોધી છે. જો કે, આ સંશોધન હજી શરૂઆતના તબક્કામાં છે.

તેવી જ રીતે, યુકેમાં મેલેનોમા નામનાં ચામડીનાં કેન્સર વિરોધી રસી માટે પ્રયોગો થઈ રહ્યા છે.

*મતલબ, રશિયાવાળા આવી રસી બનાવવામાં બીજા કરતાં આગળ નીકળી ગયા, એમ ને ?*

ના. ધીરજ કરો. ગુજરાતીમાં કહેવત છે : નીવડે વખાણ.

*કેમ આમ કહો છો ? શું રશિયાના વૈજ્ઞાનિકોએ જોઈતાં પરીક્ષણ કર્યા નથી ?*

પરીક્ષણો ચાલુ હશે એમ કહેવું વધારે યોગ્ય છે. 'હશે' એટલા માટે કે રશિયાએ આટલી મોટી જાહેરાત કરી હોવા છતાં તેમનાં કામ વિશેનો વૈજ્ઞાનિક ડેટા દુનિયાને દેખાડ્યો નથી. વિજ્ઞાનમાં શોધ અચાનક જ નથી દેખાતી.

પહેલાં તે શોધ વિશેના અભ્યાસલેખો અલગ અલગ જર્નલમાં દેખાવા લાગે છે.

ન્યૂઝવીકમાં પ્રસિદ્ધ થયેલા અહેવાલ મુજબ આયરલેન્ડના અગ્રણી ઈમ્યુનોલોજિસ્ટ પ્રોફેસર કિંગ્સટન મીલસ કહે છે કે જ્યાં સુધી આ શોધ વિશેનો ડેટા મળતો નથી, ત્યાં સુધી આ શોધ વિશે શંકા રાખવી જરૂરી છે.

_*વિજ્ઞાનીઓ માટે એક બ્રહ્મવાક્ય છેઃ ‘ઈન ગોડવી ટ્રસ્ટ, રેસ્ટ શુડ કમ વિથ ડેટા.' આનો ભાવાર્થ કંઈ આવો થાય : જો તમે ભગવાન છો, તો તમે કહેશો એ વાત અમે માની લઈશું, પણ જો તમે ભગવાન નથી તો તમારે યોગ્ય ડેટા (સંશોધનો / પ્રયોગો) દ્વારા તમારી વાત સાબિત કરવી પડશે !*_

વિજ્ઞાનનો મૂળ આધાર શંકા અને સાબિતી છે.

*લ્યો તમે તો કોથળામાંથી બિલાડું કાઢ્યું. તે આટલા બધાં છાપામાં બધું આવ્યું, તે શું ખોટું હતું ?*

ખોટું હતું તેમ કહેવાનો અહીં બિલકુલ આશય નથી, પણ સાચું જ છે તેમ કહેવા માટે પૂરતા વૈજ્ઞાનિક આધારો હજી સુધી વિશ્વના વૈજ્ઞાનિકોને મળ્યા નથી, એટલે થોભો અને રાહ જુઓ.

વાત સાચી હશે તો આવતાં થોડાં વર્ષોમાં એ સ્પષ્ટ થઈ જશે અને ખોટી હશે તો અનેક ખોટી હેડલાઈન્સ માફક આ કેન્સર વિરોધી રસીની શોધ વિશેની હેડલાઈન્સ પણ આપણે ભૂલી જઈશું.

*તો આટલી મોંટી જાહેરાત કેમ કરી હશે ?*

કદાચ તેમની પાસે આધારભૂત અભ્યાસો હોય અને તેને હવે પ્રકાશિત કરવાના હોય.

કદાચ એમાં રાજકારણ પણ હોય. અત્યારે રશિયા - યુક્રેન યુદ્ધ ચાલી રહ્યું છે. આવે વખતે એક સામાન્ય રશિયન નાગરિક માટે મુશ્કેલ સમય ચાલી રહ્યો છે. આવા મુશ્કેલ સમયમાં અઢી લાખની રસી મફત મળવાની જાહેરાત થાય તો સ્વાભાવિક રીતે તેમને સારું લાગે. પુતિન સરકાર માટે જો કોઈ અસંતોષ હોય તો ઓછો થઈ જાય.

*મતલબ, હેલ્થ કેર વિશેની ગમે તેટલી મોટી હેડલાઈન્સ મીડિયાવાળા બતાવે તો પણ ભરમાવું નહીં, એમ જ ને ?*

- હા. તમે બરાબર સમજ્યા. મીડિયાને મસ્ત હેડલાઈન જોઈએ છે, એટલે હેડલાઈન વાંચીને નિર્ણય ન બાંધવો. હેલ્થ વિશેના નિષ્ણાતો શું કહે છે તે જોવું. વખત જતાં હેડલાઈન પ્રમાણે કોઈ ઘટનાઓ બને છે કે નહીં તે જોવું.

*ઓકે સાહેબ, સમજાઈ ગયું. અચ્છા, કેન્સર વિરોધી બીજી કોઈ રસી છે ?*

સરસ સવાલ. કેન્સર વિરોધી એક નહીં, પણ બે રસી આપણા પાસે ઘણા વખતથી છે.

એક છે *હિપેટાઈટિસ બી* વાયરસ વિરોધી રસી.

બીજી છે *હ્યુમન પેપીલોમા* વાયરસ વિરોધી રસી.

*હિપેટાઈટિસ બી વાયરસ વિરોધી રસી તો જન્મથી જ શરૂ કરવામાં આવે છે, નહીં ?*

હા. જન્મ વખતે જ બાળકને બીસીજી, ઝીરો ડોઝ પોલિયોનાં ટીપાં અને હિપેટાઈટિસ બી વાયરસ વિરોધી રસી મૂકવામાં આવે છે.

*આ હિપેટાઈટિસ બી વાયરસ વિરોધી રસી ક્યું કેન્સર રોકે છે ?*

ભારતમાં લિવરનાં કેન્સરનું એક મોટું કારણ હિપેટાઈટિસ બી વાયરસ છે. લિવરમાં આ વાયરસનો ચેપ લાગે તો તેવાં લિવરમાં લિવરનું કેન્સર થઈ શકે છે. જો હિપેટાઈટિસ બી વાયરસ વિરોધી રસીનો પૂરો કોર્ષ લીધો હોય તો આ વાયરસનો ચેપ થતો જ નથી. આ કારણે કેન્સર પણ થતું નથી.

*શું હિપેટાઈટિસ બી વાયરસ વિરોધી રસી ખૂબ મોંથી છે ?*

ના. આ બહુ જ સસ્તી રસી છે અને કેટલાંય વર્ષોથી સરકાર દ્વારા દરેક બાળકને તે મફત મૂકવામાં આવે છે. જન્મ વખતે પહેલો ડોઝ લાગે છે. એ પછી દોઢ મહિને, અઢી મહિને અને સાડા ત્રણ મહિને અપાતી પેન્ટા વેક્સિનમાં એક તત્ત્વ હિપેટાઈટિસ બી વાયરસ વિરોધી રસીનું પણ હોય છે.

જો દેશનાં દરેક બાળકને આ રસી મૂકવામાં આવે તો હિપેટાઈટિસ બીના ચેપને કારણે થતું લિવરનું કેન્સર લગભગ નાબૂદ થઈ જાય.

*વાહ ડોક્ટર, હું આજે જ અમારાં કુટુંબમાં કોઈ આ રસી લેવામાં રહી તો નથી ગયું ને તેની ખાતરી કરું છું. જે આ રસી લેવાની રહી ગઈ હોય તો શું કરવું?*

આ રસી ગમે તે ઉંમરે આપી શકાય છે. જન્મ વખતેથી જ તેનો કોર્ષ ચાલુ કરવો શ્રેષ્ઠ છે, પણ જો કોઈ રહી ગયું હોય તો પાછળથી પણ ડોક્ટરની સલાહ પ્રમાણે આ રસીનો કોર્ષ લઈ શકાય છે.

*અને તમે કોઈ બીજી રસીની વાત કરતા હતા, તે કઈ હતી ?*

હા. એ રસી એટલે *હ્યુમન પેપીલોમા વાયરસ વિરોધી રસી.* આ રસી ગર્ભાશયનાં મુખનાં કેન્સરને થતું રોકે છે. લિવરમાં જો હિપેટાઈટિસ બીનો ચેપ થાય તો લિવરનું કેન્સર થાય છે. કંઈક આવી જ રીતે ગર્ભાશયનાં મુખ એટલે કે સરવિક્સમાં હ્યુમન પેપીલોમાં વાયરસનો ચેપ થાય તો ત્યાં સરવાઈકલ કેન્સર થાય છે.

*શું આ રસી પણ સરકાર મફત મૂકે છે ?*

- કેન્દ્રીય ફાઈનાન્સ મિનિસ્ટર નિર્મલા સીતારમણે ફેબ્રુઆરીમાં બજેટ રજૂ કર્યું હતું. તેમની બજેટ સ્પીચમાં તેમણે સરકાર વહેલી તકે આ રસી મૂકશે તેમ જણાવ્યું હતું. હવે આ વાતને એક વર્ષ થવા આવશે એટલે હવે કદાચ આ રસી મફત મૂકવાની ચાલુ થશે.

*સરકારમાં ન મૂકાતી હોય તો શું પ્રાઈવેટમાં આ રસી મૂકાવી શકાય ? શું આ રસી પણ સસ્તી છે?*

પ્રાઈવેટમાં ઘણાં વર્ષોથી આ રસી મળે છે. તેના ત્રણ ડોઝ લેવાતા હોય છે. જો કે, તેનો એક ડોઝ લગભગ ચાર હજારનો મળે છે.

છેલ્લા થોડા વખતથી ભારતની કંપની સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયાએ આ રસી બનાવવાની શરૂ કરી છે અને તેના એક ડોઝની કિંમત લગભગ અડધી એટલે કે બે હજાર જેટલી છે.

*આ રસી કોને મૂકવાની હોય છે?*

સરકારી યોજનામાં નવથી ૧૪ વર્ષની દરેક દીકરીને આ રસી મૂકવામાં આવશે તેમ કહેવાય છે. જો કે, આ રસી નવથી ૪૫ વર્ષની ઉમર સુધી મૂકી શકાય છે.

*શું છોકરાઓએ આ રસી મુકાવવી જોઈએ ?*

- હ્યુમન પેપીલોમા વાયરસ છોકરાઓ અને પુરુષોમાં એનલ કેન્સર, પેનાઈલ કેન્સર અને ગળાનું કેન્સર કરી શકે છે. આ કારણે હવે આ રસી છોકરાઓને પણ મૂક્વાની ભલામણ કરવામાં આવે છે.

*ડોક્ટર, વાત હતી રશિયાની કેન્સર વિરોધી રસીની અને તમે વાત કરી આપણી પાસે જે હાજર જ છે તેવી બે કેન્સર વિરોધી રસીની. આમ કેમ?*

કેમ કે, આ જ મોકો હતો કેન્સર વિરોધી રસી વિશે વાત કરવાનો. રશિયાની રસી જ્યારે આવે ત્યારે ખરી, પણ આપણી પાસે જે રસી હાજર જ છે, તેના વિશે દરેકને જાણકારી હોવી જોઈએ. તો જ આપણે કેન્સર સામે લડી શકીશું.

*ટેક કેર* : રસી મુકાવા જાવ ત્યારે રસી વિશે તમારા ડોક્ટર સાથે વાત કરો. કઈ રસી શેના માટે છે તેની માહિતી મેળવો. તમારાં બાળક અને કુટુંબને રસીકરણથી ભયંકર બીમારી સામે રક્ષણ મળી શકે છે.

💉💉💉💉💉

Address

Poojan Hospital, 63 C Vijaynagar , Behind KVO , Hospital Road
Bhuj
370001

Telephone

02832229797

Website

Alerts

Be the first to know and let us send you an email when Poojan Hospital posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share

Category