IMA Valsad

IMA Valsad THIS IS A CLOSED GROUP, FOR COMMUNICATION BETWEEN IMA-VALSAD BRANCH MEMBERS ONLY.

01/07/2024

હીલિંગ હેન્ડ્સ અને કેરિંગ હાર્ટ્સ

ઉપરનું હેડિંગ એટલેકે મથાળું એટલેકે શીર્ષક એ આજના ડોક્ટર્સ ડેનું થીમ છે.

ડોકટર પાસે સારા જ્ઞાનની સાથોસાથ એમ્પથી અને કંપેશન એમ ત્રણેય સુગુણોની આશા રાખવામાં આવે છે ને આજનો થીમ એ જ છે. Empathy અને compassion આ બે અંગ્રેજી શબ્દોનો સીધો સરળ અર્થ સમજવો અઘરો છે ને અમલમાં મૂકવો એથીય વધુ અઘરો છે.Empathy એટલે સહાનુભૂતિ દાખવવી એટલેકે કોઈકની પીડાનો અનુભવ કરવો જ્યારે compassion એટલે કરુણા કે અનુકંપા જેમાં આપણે કોઈક દુઃખીજનની પીડા અનુભવીએ તો ખરાં જ પણ સહાનુભૂતિ અનુભવ્યા પછી એની પીડા ઓછી કરવાની તત્પરતા રાખવી.

આપણી જિંદગીમાં રોજબરોજ આવા અનેક અનુભવો થતાં હોય. કોઈક માનવ કે પ્રાણી રસ્તે મદદ માટે ટળવળતું હોય ને આપણે એની બાજુમાં પસાર થઇએ ત્યારે એમની સ્થિત જોઈને એમની પીડાની તીવ્રતાનો અનુભવ તો કરી લઈએ પણ ઘણીવાર ઘણા કારણો થકી આપણે એ દુઃખનો અનુભવ કરીને આગળ વધી જઈએ છીએ એ હતું empathy એટલેકે સહાનુભૂતિ જ્યારે તમે તમારું કામ પડતું મૂકીને એ જીવની ચાકરી કરો એ થયું compassion એટલેકે કરુણા કે અનુકંપા.

ડોકટર બનો ત્યારે સમાજ તમારી પાસે ડોકટરી જ્ઞાનની સાથે empathy અને compassion જેવાં ગુણોની પણ આશા રાખે છે.તમે ડોકટર તરીકે ફકત આવડત પર જ આધાર રાખો તો અઢળક ધન અવશ્ય ભેગું કરી શકો છો જ્યારે ઉપર લખ્યા એ ત્રણેય ગુણોનો સમન્વય થાય ત્યારે દોલતની સાથે સોહરત અને દુઆની તિગડી બને ને એ જો બને તો reward રૂપી પરિમાણ એટલેકે કદર અને માન ઉમેરાતાં ચકાચક એવી ચોકડી બનવાની જ.તમે ડોકટર તરીકે અથવા કોઈપણ વ્યવસાયમાં આ ચોકડી બનાવી શક્યા તો તમે સદાચારને રસ્તે ચાલ્યા છો એવું ચોક્કસ કહી શકાય.

સહાનુભૂતિ અને કરુણા કે અનુકંપા એમને એમ નથી આવતી; તમે પોતે જ એ પરિસ્થિતિમાંથી પસાર થયાં હોવ તો જ તમે બીજાની સ્થતિ સુયોગ્ય રીતે સમજી શકો.અમારી પેઢીનાં બધાં ડોકટરો લોઅર મિડલ ક્લાસ કે મિડલ ક્લાસ કુટુંબમાંથી આવેલા તેમજ જિંદગીના ઉતાર ચડાવમાંથી પસાર થઈ ચૂકેલા એટલે દર્દીની વાચા કદાચ સારી રીતે સમજી શકે.ડિજિટલ યુગની પેઢી:ડોકટરી વ્યવસાય હોય કે બીજો કોઈ;ગેજેટ્સ તમારી સંવેદનાને બુઠ્ઠી કરી જ દેતી હોય છે જેથી દરેક વ્યવસાયમાં empathy કે compassion ની આશા રાખવી ઘણીવાર વધુ પડતી હોય છે.બદલાતાં સમાજની સાથે એ સમાજમાંથી આવનાર વ્યવસાયિકો પણ બદલાતાં જતાં હોય છે.

ડો.જયેશ શાહ🌹

29/10/2023

IMA GARBA

28/09/2023

આજે ફ્રેંચ વૈજ્ઞાનિક લુઇસ પાશ્ચરની મૃત્યુતિથિ “ WORD RABIES DAY” તરીકે ઉજવાય છે , જેણે આ ઘાતક રોગની રસી શોધી લાખો લોકોનાં જાન બચાવ્યા .
આ દિવસનો હેતુ Rabiesના અંત્યંત ઘાતક રોગ અંગે જાગૃતિ ફેલાવવાનો છે.

●WHO મુજબ ,Rabies માટે ભારત endemic છે અને દુનિયાભરમાં 36 % Rabiesના કેસો ભારતમાં થાય છે જેનું એક અને માત્ર એક કારણ , રખડતા કુતરાઓ છે.
● ભારતમાં આશરે 18000 - 20000 મૃત્યુ દરે વર્ષ Rabies થી થાય છે ( જે વધુ પણ હોય શકે).
●Rabies વાયરસ ધરાવનારા કુતરાનાં કરડ્યા બાદ ,વેકશિન લીધા છતાં પણ વ્યક્તિને rabies થઇ શકે એ માટે વેક્સિન સાથે , પ્રથમ દિવસે જ , RABIES IMMUNOGLOBULIN (RIG )લેવું પડે , જે અત્યત ખર્ચાળ છે .
● સંપૂર્ણ રીતે Vaccinated કૂતરાઓ સામાન્ય રીતે સલામત હોય પરંતુ અમુક વર્ષે કૂતરાને બુસ્ટર ડોઝ આપવા પડે , એ ન અપાયા હોય તો , કૂતરાને Rabies થઇ શકે અને એ ફેલાવી પણ શકે .
●Rabiesનો રોગ માનવીમાં 99 ટકા કરતાં વધારે માત્રામાં જીવલેણ નીવડે છે. આજ સુધી ઘણાં ઓછાં Rabiesનાં દર્દીઓ બચેલ છે.
●ફક્ત થોડા પગલાંઓ લેવાય તો આ ઘાતક બીમારી જેનું ભારત કેપિટલ છે એ નિવારી શકાય:

- રખડતા કૂતરાઓને ખવડાવવાવનું બંધ કરવું જોઈએ.
- રખડતા કૂતરાઓને અલગ કરી યોગ્ય જગ્યા ,જયાં માનવ વસ્તી ન હોઈ ત્યાં ખસેડવા.
- કૂતરાની નસબંધી કરી વધુ પેદા થતા અટકાવવા.
- કૂતરાનું રસીકરણ ફરિજયાત કરી , ન કરનાર સામે કડક કાર્યવાહી કરવી
- કોઈ પણ રખડતા કૂતરાં માંદા જણાય તો સરકારી વિભાગ માં જાણ કરવી.

●આશા છે કે આપણે આ રોગની ગંભીરતા સમજી , સમજદાર નાગરિક તરીકે યોગ્ય વર્તન કરીએ.

→Rabies ઉપરાંત રખડતાં કૂતરાંઓ અન્ય પ્રાણીજન્ય રોગો પણ ફેલાવી શકે , ઉપરાંત એની અડચણ થકી વાહન અકસ્માત થઈ , ગંભીર ઈજા થવાની ઘટનાઓ પણ વારંવાર નોંધાય છે.

-ડો. કલ્પેશ જોશી.
લોટસ હોસ્પિટલ, વલસાડ.

10/07/2023

*સુરક્ષાત્મક મેડિકલ પ્રેક્ટિસ એટલે શું અને તે કઈ રીતે તમને અને તમારા પરિવાર ને અસર કરે છે?*
ડો પ્રણવ કોડિયાલ ની અંગ્રેજી પોસ્ટ નું ગુજરાતી ભાષાંતર અને સંક્ષેપ આલેખન ડૉ પ્રદીપ જોશી એમડી દ્વારા

આ લેખ ડોક્ટર ના હોય તેવા સામાન્ય જનતા માટે લખાયો છે. હેતુ છે પ્રજા માં સુરક્ષાત્મક પ્રેક્ટિસ એટલે શું એ વિશે જાગૃતતા લાવવી કારણકે બહુ ટૂંકા સમય માં આજે નહીં તો કાલે દરેક પ્રજાજન નો એની સાથે પનારો પડવાનો છે!!

જોખમ તરફ ફાંટી આંખે જોવું હમેશા કષ્ઠ આપે પણ આંખો બંધ કરી દેવાથી પણ જોખમ નામશેષ નથી થઇ જવાનું, તે ચોક્કસ તમારો વિનાશ નોતરશે
-ઇઝાક આસિમોવ

થોડા સમય પહેલા મેં મારાં એક મિત્ર સર્જન ના કન્સલટિંગ રૂમ માંથી એક નિરાશ વદને બહાર આવતા મહિલા ને જોયા. મેં મારા મિત્ર ને પૂછ્યું તમે આ મહિલા નું ઑપરેશન કરવા હું સક્ષમ નથી એવુ કઈ શા માટે તેમને બીજા કોઈ સર્જન પાસે જવા કહ્યું? હું જાણું છું કે આ ઑપરેશન મુંબઈ માં તારા થી શ્રેષ્ઠ કોઈ કરી જ ના શકે!
મારા મિત્ર એ ફીકા સ્મિત સાથે કહ્યું તું એ નથી જાણતો કે એ મહિલા શ્રીમાન ABC ના સગા છે. એ શ્રીમાન કે જેમણે આપણા એક ગાયનેક મિત્ર પર ટોળા ભેગા કરી હુમલો કરાવેલો, કારણ હતું તેની દીકરી ના સીઝેરિયન ઑપરેશન માં કોઈ નાનું કોમ્પ્લીકેશન ઉભું થયેલું.
મારા મિત્ર ડોકટરે કહ્યું તે મહિલા નું ઑપરેશન કરવા હું સંપૂર્ણ સક્ષમ પણ છું અને આત્મવિશ્વાસુ પણ છું પરંતુ મને ભય છે કે જો એ મહિલા ના ઑપરેશન માં કોઈ તકલીફ ઉભી થઇ તો એ શ્રીમાન ના ગુંડાઓ ના ટોળા મારી હોસ્પીટલ સળગાવી મુકશે અને મને પણ મારશે કે મારી નાખશે.....

હું નિશબ્દ બની ગયો. હું મારા ડોક્ટર સર્જન મિત્ર ને દોષી માનવા તૈયાર નહોતો. તેણે પોતાની સુરક્ષા ને દર્દી ની સારવાર થી વધુ જરૂરી માનેલી. સર સલામત તો પગડી હજાર..... તે મહિલા માટે મેં સહાનુભૂતિ અનુભવી. તેમની સારવાર મુંબઈ ના એક શ્રેષ્ઠ સર્જન કરી શક્યા હોત પરંતું મારા મિત્ર ડિફેન્સીંવ પ્રેક્ટિસ યાને કે સુરક્ષિત પ્રેક્ટિસ કરી રહ્યા હતા..

તમે કદાચ આ શબ્દ પહેલા નહીં સાંભળ્યો હોય! સુરક્ષાત્મક પ્રેક્ટિસ એટલે એવી પ્રેક્ટિસ જેમાં ડોક્ટર દર્દી ની સારવાર કરે ત્યારે પોતાની સુરક્ષા ને દર્દી ની સારવાર કરતા વધુ મહત્વ આપે.

આ પરિણામ છે લોકો ના ડોક્ટર પર ના શારીરિક માનસિક શાબ્દિક હુમલાઓ નું, આ પરિણામ છે ડોકટરો કાયમ લૂંટે છે જેવી માનસિકતા માં ફસાયેલી પ્રજા ના અવિશ્વાસ નું , આ પરિણામ છે દર્દી માટે શ્રેષ્ઠ કરી છૂટવા છતાં ડોક્ટર ને ઘણીવાર મળતી ગાળો, આપશબ્દો, માર, અપમાન અને અપજશ નું....

ચાલો આ જાણે સમજ્યા પણ એક સામાન્ય નાગરિક તરીકે મને કે મારા સગા સબંધી ને આના થી શું ફેર પડવાનો એવો સવાલ જો તમને થાય તો.....

સુરક્ષિત પ્રેકસ્ટિસ બે પ્રકાર ની હોય છે 1) હકારાત્મક 2) નકારાત્મક

સામાન્ય રીતે કોઈપણ ડોક્ટર પોતાના જ્ઞાન, કૌશલ્ય અને આવડત પ્રમાણે સામાન્ય રોગ નું નિદાન અને સારવાર બને તેટલા ઓછા રિપોર્ટ ના સહારે કરવાનો પ્રયત્ન કરતા હોય છે. જો સામાન્ય રોગ ના ચોકઠાં માં લક્ષણો અને નિદાન ફિટ ના થાય તો જ તે લાંબા રિપોર્ટ કરાવી અસામાન્ય રોગ વિશે વિચારતા થાય છે અથવા પોતાના કાર્યક્ષેત્ર કે આવડત ની બહાર નો કેસ ગણી બીજા તજાજ્ઞ તબીબ ને બીજો અભિપ્રાય લેવા કેસ રીફર કરતા હોય છે.

હકારાત્મક સુરક્ષિત પ્રેક્ટિસ માં ડોક્ટર કોઈ જોખમ લેવા નથી માંગતા કે જેમાં કોઈ નિદાન ચૂક થાય જેને લોકો પાછળ થી શરત ચૂક કે ગફલત માની ઉપાધિ ઉભી કરે. જેમ આક્રમકે ક્રિકેટર ડિફેન્સીંવ રમે તેમ ડોક્ટર પણ કઈ મીસ ના થઇ જાય એ ડરે લાંબા લિસ્ટ ના રિપોર્ટ કરાવે અને ઘણીવાર બીજા ડોક્ટર નો ઓપીનીયન પણ લે. પણ આ બધા રિપોર્ટ અને બીજા ડોક્ટર ના અભિપ્રાય ની ફી નું આર્થિક ભારણ અંતે કોને માથે? તમારા ને તમારા પરિવાર માથે જ.......

હવે નકારાત્મક અભિગમ વાળી સુરક્ષિત પ્રેક્ટિસ સમજીએ
ડોક્ટરો હવે પ્રસિદ્ધ, હોશિયાર, લીડિંગ જેવા વિશેષણ ધરાવી માનસિક રીતે તણાવગ્રસ્ત અને શારીરિક રીતે ઈજાગ્રસ્ત થવા કરતા ખપ પૂરતું કમાઈ, સામાન્ય ડોક્ટર માં ગણાઈ ચીલા ચાલુ પ્રસિદ્ધિ સાથે સારુ અને લાબું જીવવાની કામના કરતા થઇ ગયા છે!!

ઉપર ના સર્જન મિત્ર ના દાખલા ની જેમ ડોકટરો ને હવે અઘરા, હઠીલા, માથાભારે દર્દીઓ કે સગાઓ સાથે પનારા નથી પાડવા હોતા. આજ કારણે દર્દી ના સગાઓ નું વર્તન જોઈ ઘણીવાર ડોકટરો સાદા કોઈ કોમ્પ્લીકેશન્સ વગર ના કેસ ને પણ બીજે રીફર કરી દેતા હોય છે. ડોકટરો હવે સારવાર કરવાનો નિર્ણય પર આવતા પહેલા સેફટી ચેક કરતા થઇ ગયા છે...

તો આ બિનજરૂરી એક હોસ્પીટલ થી બીજા ની ભાગમભાગ ખર્ચા અને મુશ્કેલી માં સહન કોણે કરવાનું? તમારે જ....

હવે તમે મન માં વિચારશો કે શું આ મામલો આટલો ગંભીર છે કે ખાલી સોશિયલ મીડિયા પર ની એક માત્ર પોસ્ટ?

જવાબ છે સુરક્ષાત્મક પ્રેક્ટિસ ભારત માં સતત વધતી જાય છે અને ડોકટરો પર ના હુમલાઓ આક્ષેપો તેને સતત વધારતા જવાનાં છે

તો એક સમજદાર જાગૃત ભારતીય તરીકે મારે શું કરવું જોઈએ જેના કારણે ડોકટરો કોઈ ભય ડર કે પૂર્વગ્રહ વગર અમને સારવાર આપે તેવો સવાલ મન માં થાય તો આગળ વાંચો...

સાચી સમજણ એજ ઉપાય

મીડિયા સોશિયલ મીડિયા અને ગોસીપ માં ડોકટરોને જેટલાં બેહુદા ચીતરી માર્યા છે તેવા એ છે નહીં.... સિક્કા ની હમેશા બે બાજુ હોય છે અને આ બઘી કુથલીખોરી માં ડોક્ટર બાજુ ની વાત કોઈ ક્યારેય કરતું જ નથી!!

સમાજસેવકો, રાજકારણીઓ ને સેલિબ્રિટીસ તો પાછા સૌથી ખરાબ તેઓ ડોકટરો વિશે ખોટી ભ્રમણા ફેલાવી પોતાનો સ્વાર્થ સાધી લેતા હોય છે. એક ટીપ આપું? જરા જુઓ એ કેવી ભાષા અને શબ્દો વાપરી ડોકટરો ની બદનામી કરે છે? એ પણ પોતાની શેતાનિયત ઢાંકી.....

એક સામાન્ય વાત સમજો કે કોઈપણ ડોક્ટર તમને મારી નાખવા કે નુકશાન કરવા માં રસ ધરાવતા નથી. કોઈ પણ દર્દી ને સારુ થાય તો જ ડોક્ટર ની નામના વધે ને?
જયારે કોઈ દર્દી ને સારુ પરિણામ ના મળે ત્યારે ડોક્ટર પણ દર્દી ના સગાઓ જેટલાંજ દુઃખી ને વિચલિત થતા હોય છે.

સમજો કે તબીબી વિજ્ઞાન સંપૂર્ણ નથી તેની પણ ઘણી મજબૂરીઓ છે. એક સામાન્ય માનવી બીજા સામાન્ય માનવી નો પોતાના સીમિત જ્ઞાન અને કૌશલ્ય ના આધારે સારવાર કરે છે અને તેનું પરિણામ નિયતિ પર આધારિત હોય છે. જો તમે આસ્તિક હો તો તેને ઈશ્વર કૃપા નામ આપો ને નાસ્તિક હો તો સદનસીબ.....

સમજો કે કોમ્પ્લીકેશન્સ અને મૃત્યુ એ અનિવાર્ય હોય છે. કોઈ પણ સારવાર માં એ થઇ શકે અને થવાના જ... હા કોઈપણ સારવાર માં

તો જયારે સારુ પરિણામ મળે ત્યારે ઈશ્વર નો આભાર માનો ડોક્ટર નો નહીં તેમ જયારે કંઈક અજુગતું બને ત્યારે ડોક્ટર ને ભાંડવા કે આપજશ દેવા કરતા કુદરત અને ઈશ્વર ની મરજી કેમ નહીં??

હોસ્પીટલ એ કોઈ ફાસ્ટફૂડ રેસ્ટોરા નથી કે જ્યાં ઝડપી ધાર્યું બધું મળે. પરિણામ ને ખર્ચા સાથે ના સરખાવો. આટલા ખર્ચ્યા તો ઈચ્છીત પરિણામ મળવું જ જોઈએ એવી ભ્રમણા ના રાખો. દર્દી ગ્રાહક અને ડોક્ટર ને વેપારી બનાવી દીધા પછી હાલ સૌ ને પૈસા વસુલ પરિણામ સારવાર માં જોઈતું હોય છે.....

કોઈપણ ડોક્ટર પોતાના જ્ઞાન કૌશલ્ય અને આવડત ની ફી લેતો હોય છે. હોસ્પીટલ અને ક્લિનિક ના ખર્ચ રૂપે ફી લેતો હોય છે નહિ કે પરિણામ 100% આપવા માટે....

તમે જે ફી વધુ ગણો છો તેમાં ડોક્ટર ઉપરાંત હોસ્પીટલ ના ખર્ચા, સ્ટાફ ના પગાર, મોટા રોકાણ ના હપ્તા, આધુનિક મશીનો ની ખરીદી ને જાળવણી ના ખર્ચા વગેરે વગેરે સાથે સરકાર ને ભરવાના જાત જાત ના ટેક્સ.... જો તમારે સારવાર સાવ મફત જ કરાવી હોય તો સરકારી હોસ્પિટલ માં એ થાય જ છે પણ સરકારી મફત સારવાર માં લક્ઝરી સગવડો કે પ્રાઇવેટ લક્ઝરી સગવડો સરકારી હોસ્પીટલ ની જેમ મફત થાય એ તો શક્ય નથી ને???

આરોગ્ય પર થયેલા ખર્ચા ને વ્યર્થ કેમ ગણો છો? ફોન કાર ફ્લેટ અને ફેશન પાછળ થતો ખર્ચો જો લક્ઝરી છે તો આરોગ્ય ની જાળવણી અને રખરખાવ પાછળ ના ખર્ચા નું પણ આગોતરું આયોજન કેમ ના કરી શકાય??

જો ડોક્ટર ની સારવાર માં ભૂલ તમને લાગતી હોય તો ગ્રાહક સુરક્ષા કે કોર્ટ નો સહારો લો પણ કોઈ સામાજિક કાર્યકર કે રાજકારણી ની ચડામણી થી ડોકટરો પર શારીરિક હુમલાઓ ધમકીઓ નો શું મતલબ? તમારી ક્ષણિક મદદે આવેલા એ બધા કરતા તમારા દર્દ અને દર્દી નું હિત ડોક્ટર ના હૈયે વધુ હતું એ ના ભૂલશો....
પ્રજા ના સહયોગ અને ડોકટરો ની સાચી નીતિ ખોટું કરવાની વૃત્તિ નો ત્યાગ જ પ્રજા અને ડોકટરો વચ્ચે સતત વધતી ખાઈ ને પુરી શકશે..

આશરે 75% ભારતીય ડોકટરો એ ક્યારેક ને ક્યારેક હુમલા કે તોડફોડ નો ભોગ બનવું પડેલું છે. મોટાભાગ ના કિસ્સાઓ બહાર નથી આવતા ઘરેલુ હિંસા ના કિસ્સા ની જેમ. ભારત માં કાયદા ની પ્રક્રિયા ખુબ સમય લેતી હોવાથી લોકો અને મીડિયા પોતેજ ચુકાદો આપી કાયદો હાથ માં લઇ લેતા હોય છે અને હુમલો કરનાર તત્વો ને પણ કોઈ ખાસ નમૂના રૂપ સજાઓ થતી નથી હોતી.

ઓકે ઓકે ચાલો કબૂલ પણ ડોકટરો પણ કેટલું ખોટું કરે છે? પછી લોકો ગુસ્સે જ થાય ને?

આપણે એવા સમાજ માં છીએ જેના મોરલ નું અધઃ પતન થઇ રહ્યું છે અને ડોકટરો એ જ સમાજ ના ભાગ છે. આવા કૃત્ય માટે મેડિકલ કાઉન્સિલ કડક શિક્ષત્મક પગલાં ભરી દાખલો બેસાડવો જરૂરી છે અને સારા સાચા ડોકટરો એ પણ આવા લેભાગુ તબીબો ને છાવરવાના બંધ કરવાની જરૂર છે

દસ ને દસ વિશ ની જેમ ડોક્ટર કાયમ ખરાબ ને ખોટા જ હોય એ માનસિકતા સમાજ નહીં છોડે તો આ સુરક્ષાત્મક પ્રેક્ટિસ વધતી જશે અને આરોગ્ય સેવા ને લુણો લાગતો જશે.

19/05/2023
17/05/2023

વર્લ્ડ હાયપરટેન્શન ડે

આજે વર્લ્ડ હાયપરટેન્શન ડે.ભારતની વાત કરીએ તો આશરે ત્રીસેક ટકા લોકો ઉચ્ચ રક્તદાબ એટલેકે હાઈબ્લડપ્રેશર થકી પીડાઈ રહ્યાં છે.સાદા શબ્દોમાં કહીએ તો ત્રણમાંથી એક વ્યક્તિને હાઈબ્લડપ્રેશર છે.જોવાની ખૂબી એ છે કે આટલાં બધાં લોકોમાં ફકત સત્તરેક ટકા જ "ગુડ કંટ્રોલ" ધરાવે છે. આઇડિયલ બ્લડ પ્રેશર કેટલું રહેવું જોઈએ એ વિશે વિવિધ ગાઈડલાઇન્સ વિવિધ પ્રકારના મેડિકલ સંગઠન સમયાંતરે બહાર પાડતું હોય છે.આ બધી ગાઇડલાઇન્સનો આધાર સંશોધનાત્મક અભ્યાસ પર હોય છે.જયાં એવું જોવામાં આવે છે કે અમુક હદ કરતાં વધુ પ્રેશર શરીરમાં કેવા પ્રકારની આડઅસર પહોંચાડે છે.

આમ જનતામાં ખાસ કરીને એલોપથીના વિરોધીઓમાં એલોપથી એટલે બોગસ ને પ્રજાને ઉલ્લુ બનાવવાની પ્રવૃત્તિ.વિજ્ઞાન ખોટું ન હોય પણ એનું અર્થઘટન કરવાવાળા ઇરાદાપૂર્વક અથવા બિનઇરાદે દર્દીનું અહિત કરતા હોઈ શકે જે માણસ સહજ નબળાઈનું લક્ષણ છે.આ બધી વૈજ્ઞાનિક સ્ટડિ્ઝમાં કોઈ દવા થકી કેટલાં ટકા લોકોમાં રોગ થકી થતાં કોમ્પ્લીકેશન ઓછાં કરી શકાયા કે કેટલાં ટકા લોકોમાં આયુષ્ય વધ્યું એ સ્ટેસ્ટિક્સનાં ગણિત થકી ગણી કાઢવામાં આવે છે અને નક્કી કરવામાં આવે છે કે ફલાણા લેવલથી નીચું બ્લડપ્રેશર કે સુગર રાખવાથી અમુક તમુક ટકા ફાયદો થયો.

સ્ટેસ્ટિક્સ ગણિતમાં p વેલ્યુ મહત્વની ગણાય છે.p વેલ્યુ એટલે પ્રોબેબિલિટી વેલ્યુ.જો દર્દીઓના બે ગ્રુપ પાડી એક ગૃપને A દવા આપી હોય ને બીજા ગૃપને B દવા આપી હોય અથવા B ગૃપને ફકત પ્લેસેબો મતલબ ફકત સોના મેં સે આલુ બનાયેંગે કે પંદર લાખ તમારા ખાતામાં જમા કરાવીશું એવા ઠાલા વચનો મળે ને જ્યારે સ્ટડી પૂરો થાય ત્યારે બેઉ ગ્રુપમાં દવા થકી થનાર ફેરફારોને નોંધીને p વેલ્યુ કાઢવામાં આવે અને જો એ p વેલ્યુ 0.05 કરતાં ઓછી આવે તો એનો મતલબ સોમાંથી પંચાણું વખત આલુમાંથી સોનું બનવાનું નથી અથવા પહેલાં ગ્રુપમાં આપવામાં આવેલી A દવા સોમાંથી પંચાણું વખત અસરકારક રહે.જે સ્ટેસ્ટિક્લી સિગ્નીફિકન્ટ એટલે કે A દવા B દવા કરતાં ચડિયાતી છે એવું પુરવાર થાય.ઉપરનું લખાણ ન સમજણ પડે તો પાંચ વખત વાંચજો.

ટૂંકમાં જેમ આપણું બંધારણ કે કાયદો એવું કહે છે કે ભલે સો ગુનેગાર બચી જાય પણ એક નિર્દોષને સજા ન થવી જોઈએ તેમ ભલે દવા થકી કે સરસ બ્લડ પ્રેશર કે સુગર કંટ્રોલ થકી અમુક ટકાને જ ફાયદો થાય તો પણ જો p વેલ્યુ એવું કહે કે આ દવા આપવાથી કે આટલું કે તેટલું સુગર કે પ્રેશર રાખવાથી ફાયદો થશે તો દર્દીઓમાં એ દવા કે એટલું બ્લડ પ્રેશર અને સુગર કાબૂમાં રાખવાની સલાહ આપી શકાય.આમ p વેલ્યુમાં પાસ થયેલી દવા કે ગાઇડલાઈન સાર્વત્રિક ઉપયોગ માટે ભલામણ પામે.આવા સમયે એવી દલીલ ન ચાલે કે ફલાણા કે ઢીકણાનું તો બીપી કે સુગર કંટ્રોલમાં નથી તો પણ એને તો કંઈ જ ન થયું.

કોને કઈ દવાથી ફાયદો થશે કે કોને સુગર કે બીપી નુકશાન ન કરશે એ આવનાર સમયમાં જાણી શકાશે ને જરૂરિયાત વાળા દર્દીઓને જ દવા આપવાની રહેશે જેને કહેવાય છે પ્રિસિશન મેડિસન...જોકે ત્યાં સુધી બધાં દર્દીઓને p વેલ્યુના સહારે એક લાકડીએ હાંક્યા સિવાય છૂટકો નથી.

અંતે: ઊંચા બીપી થકી મારા સહિત ડોક્ટરના ધ્યાનમાં જો સૌથી વધુ ધ્યાનમાં આવી એવી આડઅસર હોય તો તે છે લકવો. લકવાનાં સોમાંથી નવ્વાણું ટકા દર્દીઓને હાઈબ્લડપ્રેશરની સમસ્યા હોય ને એમાંથી નવ્વાણું ટકાને ખબર હોય કે એને હાઈ બીપી છે ને દવા લેવી જોઈએ પણ તેઓએ દવા બંધ કરી દીધી હોય ને લકવાગ્રસ્ત થાય.

ડો. જયેશ શાહ🌹

Address

Valsad

Telephone

9825120392

Website

Alerts

Be the first to know and let us send you an email when IMA Valsad posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Practice

Send a message to IMA Valsad:

Share